- Gujarat
- સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા...
સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા
થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સામાજિક સુધારા માટે એક મોટું પગલું ભર્યું હતું. ઓગડધામ યોજાયેલા બંધારણ મહાસંમેલનમાં નવા સામાજિક બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનોએ તેના અમલ માટે શપથ લીધા હતા. આ બંધારણમાં લગ્ન, સગાઈ, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે લગભગ 16 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ નિયમોનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દેવું કરીને ખોટા ખર્ચ કરતા અટકાવવાનો છે.
હાલમાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોર પર આરોપ છે કે તેમણે DJ સાથે વરઘોડો કાઢી તેમણે સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે ભારે ચર્ચા જાગી છે કે શું આ કલાકારોએ સમાજના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કર્યું છે?
આજે જાબડીયા ગામે આ મામલે સમાજની બેઠક યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પહોંચ્યા હતા. બંધારણના ઉલ્લંઘન બાદ જાબડીયા ખાતેની બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર મુકાયા છે. આ ઉપરાંત લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરાયા છે. ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા છે. એક વર્ષ બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને પરત લેવાનો વિચાર કરશે. ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકી અને ગુણદોષને આધારે યોગ્ય દંડ પણ કરવામાં આવશે. સામાજિક આર્થિક અને ધંધાકીય કોઈપણ બાબતોનો સાથ સહકાર સમાજ આપશે નહીં, જો સાથ આપશે તો તે પણ દોષિત ગણાશે. ગબ્બર અને અર્જૂન ઠાકોરને સોશિયલ મીડિયામાંથી ઠાકોર સમાજમાંથી અનફોલો કરવા કહેવામાં આવ્યું છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે વીડિયો કોલના માધ્યમથી બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અર્જૂન અને ગબ્બર ઠાકોર સાથે કોઈ વ્યવહાર નહીં કરવામાં આવે અને સમાજના આગેવાનો જે કહે તે પ્રમાણે કરવાનું રહેશે. સમાજ સારું બંધારણ બનાવ્યું હતું. DJનો ઉપયોગ ન કરવાનું હતું. તમામ સમાજોય અનુકરણ કર્યું છે છતા નિયમો તોડ્યા છે. ગબ્બર અને અર્જૂનને સમાજ બહાર મૂકી અને બરાબર એક વર્ષ બાદ અભિપ્રાય બાદ વિચારણા કરવામાં આવશે.’
ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે આ વાતોને કલાકારોએ આ બાબતને સદંતર નકારી કાઢી છે. ગબ્બર ઠાકોરે જણાવ્યું હતું કે, ‘અમે બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. 42 ગોળ ઠાકોર સમાજના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જાનમાં DJ લઈને જવું નહીં. અમે જાનમાં DJ લઈ ગયા નથી. બંધારણ મુજબ, DJ માત્ર ઘરે વગાડી શકાય છે, અને તેમણે તે જ નિયમનું પાલન કર્યું છે. આટલો વિરોધ જો દારૂ કે અન્ય બદીઓ સામે કરવામાં આવ્યો હોત, તો સમાજને મોટો ફાયદો થયો હોત. 150 મકાનો તૂટ્યા ત્યારે કોઈ ન બોલ્યું, અને અત્યારે DJના નામે વિવાદ કરવામાં આવી રહ્યો છે.’ તો અર્જૂન ઠાકોરે કહ્યું કે, તેઓ ક્યારેય સમાજની વિરુદ્ધ ન જઈ શકે. સમાજ અમારો મા-બાપ છે. આજે લાઈવ DJ અને પ્રોગ્રામો બધે જ ચાલુ છે, પરંતુ લોકોને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોર જ કેમ દેખાય છે?’
ગબ્બર અને અર્જૂન ઠાકોરના પરિવારો દ્વારા ઠાકોર સમાજના સામાજિક બંધારણનું ઉલ્લંઘનના મામલે સમાજના આગેવાન મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે બંધારણ તોડનારાઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક કાયદા મુજબ લગ્ન પ્રસંગોમાં DJ રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતા ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે DJ વગાડીને આ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટનાથી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મુકેશ ઠાકોરે સમાજની એકતા જાળવી રાખવા માટે દરેક વ્યક્તિને આ 16 નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી.

