- Gujarat
- પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ
પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ
પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બિનવારસી હાલતમાં મળી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને આ સાથે જ તંત્રની ઘોર બેદરકારી છતી થઇ ગઇ છે.
મળતી માહિતી મુજબ, શહેરના મધ્યમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ઉપરાંત અનેક મહત્ત્વની સરકારી ફાઈલો અને રેકર્ડ પણ વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા. જે દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે રાખવા જોઈએ, તે અહીં ધૂળ ખાઈ રહ્યા છે. આ સંવેદનશીલ દસ્તાવેજો ખુલ્લી હાલતમાં હોવાથી તેની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
મોટો પ્રશ્ન એ છે કે બિલ્ડિંગની અંદર ચૂંટણીકાર્ડ કોણે અને કયા હેતુસર નાખ્યા? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ ગંભીર ગેરરીતિનો ભાગ છે? આ મુદ્દે તંત્ર તરફથી હજી સુધી સ્પષ્ટ જવાબ મળ્યો નથી. જૂવર્ષોથી બિનઉપયોગી બનેલી આ ઇમારતમાં સંવેદનશીલ દસ્તાવેજો મળતા તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે.
જો આ કાર્ડ્સનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થશે તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે.આ ઘટના અંગે જવાબદાર વિભાગને આટલા મોટા જથ્થામાં પડેલા રેકર્ડની જાણ ન હોવા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ રેકર્ડને સુરક્ષિત સ્થળે ખસેડી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
આ અંગે માહિતી મળતા મમામલતદાર બી. વી. સંચાણિયાએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂંટણીકાર્ડ 1996-97ના છે. શરૂઆતમાં 2 નકલમાં બનાવવામાં આવતા હતા, એક નકલ મતદારને અને બીજી નકલ કચેરીમાં O/C તરીકે રાખવામાં આવતી હતી. કચેરીમાં એકત્ર થયેલી ચૂંટણીકાર્ડની નકલોનો ટૂંક સમયમાં નાશ કરવાનો હોય છે, પરંતુ જે-તે સમયે આ થયું નથી.
હવે તમામ ચૂંટણીકાર્ડ એકત્ર કરીને અત્રેની કચેરીમાં રાખવામાં આવ્યાં છે અને મંજૂરી માંગી નાશ કરવામાં આવશે. આ સિવાય જૂની ફાઈલો અને જૂના 7/12ના કાગળોને એકત્ર કરી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે. જે જીર્ણ થઈ ગયેલો રેકર્ડ છે, જે બિનઉપયોગી છે તેને પણ મંજૂરી માંગી નાશ કરવામાં આવશે. આ કચેરી હાલ સ્ટેટ હસ્તક છે. જૂના ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પેક કરીને અમારી હસ્તક લેવામાં આવ્યાં છે.
આ અંગે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ પોરબંદરની જૂની કોર્ટના બિલ્ડિંગ જેવી ઐતિહાસિક વિરાસતોની દુર્દશા માટે સરકારી તંત્ર અને નેતાઓની નીતિઓને જવાબદાર ઠેરવી છે. રાજુ ઓડેદરાના જણાવ્યા મુજબ, રોડ અને બિલ્ડિંગ (R&B) વિભાગ અને સરકારી તંત્ર આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
જો આ જૂની ઇમારતોનું પુરાતત્વીય દૃષ્ટિકોણથી નવીનીકરણ કરવામાં આવ્યું હોત, તો પોરબંદર વિશ્વ કક્ષાએ એક મોટું પ્રવાસન કેન્દ્ર બની શક્યું હોત. આ સ્થળો પર ગાંધીજીના વિચારો અથવા ટૂરિઝ્મને લગતા અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ, જેથી વિદેશી વિદ્યાર્થીઓ પણ પોરબંદર તરફ આકર્ષાય. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હોત, તો સ્થાનિક સ્તરે કુશળ ગાઈડ્સ તૈયાર થયા હોત અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ હોત.
સ્થાનિકોના મતે, બિલ્ડિંગની જાળવણીના અભાવે અહીં અવારનવાર આવારા તત્વોનો જમાવડો રહે છે અને બારી-દરવાજા જેવી કિંમતી વસ્તુઓની ચોરી પણ થઈ છે. હવે જ્યારે નાગરિકોના વ્યક્તિગત અને મહત્ત્વના દસ્તાવેજો આ રીતે બિનવારસી મળ્યા છે, ત્યારે તેનો દુરુપયોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, ચૂંટણીકાર્ડ નાખનારા જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં, કે પછી આ ગંભીર મામલો પણ દબાવી દેવામાં આવશે.

