- Gujarat
- પહેલા જે દીકરી તમારી સામે વાત કરતી હતી તે બાજુના રૂમમાં જઈને ધીમે-ધીમે વાત કરવાનું શરૂ કરે તો તેમાં
પહેલા જે દીકરી તમારી સામે વાત કરતી હતી તે બાજુના રૂમમાં જઈને ધીમે-ધીમે વાત કરવાનું શરૂ કરે તો તેમાં શંકા છે જ: આનંદીબેન પટેલ
હરિદ્વારમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમને ગુજરાતમાં ચૂંટણી ખર્ચ કેમ ઓછો થાય છે તેને લઈને પણ વાત કરી હતી.
આનંદીબેન પટેલે કહ્યું કે, ઘણા મને પૂછે છે કે, તમે આટલી વખત ચૂંટણી લડ્યા તો કેટલો ખર્ચ થતો હતો? તો હું કહેતી કે, મારે ગુજરાતમાં ચૂંટણીનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ થતો હતો, જ્યારે અહી ઉત્તર પ્રદેશમાં ચૂંટણીખર્ચનો આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે. રહસ્ય એક જ છે કાર્યકર્તાઓ. તેમને પ્રેમ કરો, મિલન સમારોહ ગોઠવો, તેમના ઘરે જાવ, તેમના પરિવાર વિશે જાણો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થવું એ જ સાચી પદ્ધતિ છે. માત્ર વોટ લઈને 'રામ-રામ' કરી લેવા તે યોગ્ય નથી.
આનંદીબેને વધુમાં જણાવ્યું કે, ‘મારે કોઈ દિવસ ગામમાં જમાડવાનો કાર્યક્રમ નથી કરવો પડ્યો. ઘાટલોડિયામાં તો આનાથી પણ ઓછો ખર્ચો થતો. કયા મામલે કેટલો ખર્ચો થયો તેનું ફોર્મ ભરતા ત્યારે કલેક્ટર આટલો ઓછો ખર્ચ માનવા તૈયાર નહોતા. તો એ જશ ગામના સરપંચ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતનાને નગરપાલિકાના સદસ્યો તેમજ કઠોર પરિશ્રમ કરવાનારા કાર્યકર્તાઓને જાય છે. સતત 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર બને છે તેનું કારણ એ છે કે તેના મુળમાં સંસ્કાર, વિશ્વાસ, પરિશ્રમ અને દેશભક્તિ છે. આ બધાનો સરવાળો ગુજરાતમાં જોવા મળે છે.
આનંદીબેન પટેલે દીકરા-દીકરીઓના સંસ્કાર પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘આપણે આપણા દીકરા-દીકરીને સાચવવાની હવે ખાસ જરૂરિયાત છે. બહેનોને ખાસ કહેવું છે કે, આપણી નજર દીકરા-દીકરી પર પણ હોવી જ જોઈએ. હું શંકાની વાત કરતી નથી. મિત્રો હોઈ શકે, પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામા-કાકા-ભાઈ કે મિત્રોનો ફોન આવે તો એ તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે, પરંતુ દિવસે ફોન આવે અને એ બાજુના રૂમમાં જઈને વાત કરવાનું શરૂ કરી દે ત્યારે તેના પર શંકા કરજો. અત્યાર સુધી તે બાજુમાં બેસીને વાત કરતી હતી પણ હવે તે બાજુના રૂમમાં જઈને કેમ ધીમે-ધીમે વાત કરે છે? આમાં શંકા છે જ એટલા માટે ધ્યાન રાખજો કે, એ ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય, કથાઓમાં આવી વાતો ભલે ન થતી હોય, પરંતુ મારી કથા તો આજ છે.

