- Gujarat
- ગુજરાતની કલ્પસર યોજના હજી 20 વર્ષ સુધી તો કલ્પના જ છે
ગુજરાતની કલ્પસર યોજના હજી 20 વર્ષ સુધી તો કલ્પના જ છે
ગુજરાતના છ મુખ્યપ્રધાનો બદલાઈ ચૂક્યા હોવા છતાં ખંભાતના અખાતની બહુહેતુક કલ્પસર યોજના માટે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. યોજના સાથે જોડાયેલા તજજ્ઞોના મતે એકવાર યોજના શરૂ થાય તે પછી 10 વર્ષે તેનો લાભ મળી શકે છે. એટલે કે બે ચૂંટણી પસાર થઈ જાય.
સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અભ્યાસ તેમજ શક્યતાદર્શી અહેવાલો પાછળ 100 કરોડ રૂપિયાની માતબર રકમનો ખર્ચ કર્યો છે. ખંભાતના અખાતના બંને કિનારાને જોડતું 30 કિલોમીટર લાંબુ મીઠા પાણીનું સરોવર એ આ યોજનાની પ્રાથમિકતા છે. એ ઉપરાંત સરકારનું બીજું ધ્યેય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને માર્ગથી નજીક લાવવાનું છે.
કોંગ્રેસના ભૂતકાળના શાસનમાં બંધ થયેલી કલ્પસર યોજનાની ફાઇલ 1995મા રિ-ઓપન કરી તત્કાલિન મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલે પ્રાથમિક મંજૂરી અપાવી હતી, ત્યારબાદ 2002મા નરેન્દ્ર મોદીની સરકારે યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી તેને 2011મા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
1999માં કલ્પસર યોજનાનો અંદાજિત ખર્ચ 25 હજાર કરોડ અંદાજવામાં આવ્યો હતો પરંતુ વિવિધ તબક્કાના અભ્યાસમાં વિલંબ થતાં યોજનાનો ખર્ચ વધીને 90 હજાર કરોડ થયો છે અને હવે આ પ્રોજેક્ટમાં ચાઇના અને સાઉથ કોરિયાની કંપનીઓએ રસ દાખવ્યો છે.
એક સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજના પૂર્ણ થતાં...
- સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર જમીને સિંચાઈનું પાણી મળશે.
- ભાવનગર અને દક્ષિણ ગુજરાતના અંતરમાં 136 કિલોમીટરનો ઘટાડો થશે.
- પવન અને સૌર ઉર્જા પાર્ક બની શકશે.
- સૌરાષ્ટ્રની જનતાને પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.
- સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કાંઠા વિસ્તારમાં ખારા પાણી મીઠા થશે.
કલ્પસર યોજના 46 વર્ષ પછી પણ ફાઇલોમાં...
- 1969 – ગુજરાત રાજ્ય ગેઝેટમાં ધરતી પરના પાણીને સમુદ્રમાં જતા રોકવા છાજલી બનાવી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન.
- 1975 – સંયુક્ત રાષ્ટ્ર મિશનના પ્રાધ્યાપક એરિક વિલ્સને ભરતીજન્ય ઉર્જા વિના અને સાથેનો બંધ બનાવવાનો અહેવાલ કેન્દ્રીય વીજ સત્તામંડળને રજૂ કર્યો.
- 1980 – ડો. અનિલ કાણે કે જેઓ આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા હતા તેમણે સંભવિત પ્રોજેક્ટને કલ્પસર નામ આપ્યું.
- 1988 – રિકોનીસન્સ અહેવાલ બનાવવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે ટેકનિકલ રીતે બંધ બનાવી શકાય છે.
- 1999 – કલ્પસર યોજનાને સરકારે મંજૂરી આપી છ વિશિષ્ટ અભ્યાસો શરૂ કર્યા.
- 2002 – સરકારે જાહેર કર્યું કે 2011માં યોજનાનું બાંધકામ શરૂ કરાશે.
- 2012- કલ્પસરનું કામ આ વર્ષમાં શરૂ કરી દેવામાં આવશે.
- 2015 – તમામ મંજૂરીઓ મળ્યે વહેલાસર યોજના પૂર્ણ કરાશે.
- 2018- માત્ર ભાડભૂતનું કામ શરૂ થયું છે, યોજનામાં કોઈ પ્રગતિ નથી.

