- Gujarat
- મહેસાણાના આ ગામમાં 5-10 રૂપિયાના નાસ્તાના પડિકા પર લગાવાયો પ્રતિબંધ, જાણો પંચાયતે આવો નિર્ણય કેમ લીધ...
મહેસાણાના આ ગામમાં 5-10 રૂપિયાના નાસ્તાના પડિકા પર લગાવાયો પ્રતિબંધ, જાણો પંચાયતે આવો નિર્ણય કેમ લીધો?
બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્યને પ્રાધાન્ય આપતા મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે એક પ્રશંસનીય અને મોટો નિર્ણય લીધો છે. સરપંચ મંજૂલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ગામમાં 5 અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ અને કુરકુરે જેવા પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ દુકાનદાર આ પ્રકારનાં ફૂડ પૅકેટ્સ વેચાતા પકડાય તો તેને દંડ ફટકારવાની વાત પણ કરી છે.
કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો, ખાદ્ય પદાર્થોના ધારાધોરણ અને વેચાણનું નિયમન ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટેન્ડર્ડ્સ ઍક્ટ,2006 (FSSAI) હેઠળ આવે છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. કાયદેસર રીતે ઉત્પાદિત થતી કોઈપણ વ્યાપારી પ્રોડક્ટ પર સ્વતંત્ર રીતે કાનૂની પ્રતિબંધ લાદવાની કે દંડ કરવાની સત્તા ગ્રામ પંચાયત પાસે નથી.
જોકે, પંચાયતી રાજ કાયદા હેઠળ ગ્રામસભાને જાહેર આરોગ્ય, સામાજિક કલ્યાણ અને ગામના હિતમાં નિર્ણયો લેવાનો અધિકાર છે. વ્યવહારમાં આ પ્રતિબંધો કાનૂની આદેશ કરતાં સામાજિક સંકલ્પ અને નૈતિક કરાર તરીકે કામ કરે છે. તેને કાયદાકીય રીતે કોર્ટમાં પડકારી શકાય, પરંતુ ડાવોલમાં દુકાનદારો કે કોઈ લોકોએ એનો વિરોધ કર્યો નથી.
BBC ગુજરાતીના અહેવાલ મુજબ, ડાવોલ ગામમાં આશરે પાંચ જેટલી દુકાનો છે. એ દુકાનો પર પંચાયતની નોટિસ ચોંટાડેલી છે. દુકાનદારોએ પણ પંચાયતના નિર્ણયને આવકાર્યો છે. ગામમાં દુકાન ચલાવતા નિકુંજભાઈ મોદીએ જણાવ્યું હતું કે, "બાળકોના આરોગ્ય માટે ગ્રામ પંચાયતે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. મારી દુકાનમાં એવું એક પણ પડીકું રાખ્યું નથી. નિકુંજભાઈએ ગામના જ કંદોઈ પાસે બનતા ગાંઠીયા, ચેવડાના ડબ્બા ભરીને પોતાની દુકાનમાં રાખ્યા છે. પાંચ કે દસ રૂપિયાનો નાસ્તો કોઈ માગે તો તેઓ છૂટકમાં વસ્તુ વેચે છે.
અન્ય દુકાનદાર કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દુકાનદાર તરીકે અમને થોડી ખોટ જશે, પરંતુ બાળકોના આરોગ્યનો સવાલ હોય તો અમે ખોટ ખમવા તૈયાર છીએ. આ નિર્ણયને ખુશીથી આવકારીએ છીએ. ગામના દુકાનદારોએ પણ આ ઠરાવને આવકારીને દુકાનમાં તેનું વેચાણ બંધ કરી દીધું છે. ભૂંગળા, વેફર્સ વગેરે નાસ્તાના જે તૈયાર પડીકાં દુકાનદારો વેચતા હોય છે તેના પર હવે આ ગામમાં પ્રતિબંધ મૂકાયો છે.
આ વિશે ગામના ડેપ્યુટી સરપંચ કીર્તિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અવારનવાર અમારા વડીલોની ફરિયાદ હતી કે બાળકોનું આરોગ્ય આ પડીકાંને લીધે જોખમાય છે. તેથી 11 ઑગસ્ટે ગ્રામસભાએ નિર્ણય લીધો હતો કે આ પડીકાં પર પ્રતિબંધ મૂકવામાં આવે. એ દિવસે જ ગ્રામ પંચાયતે ઠરાવ બહાર પાડ્યો હતો. ગામની દુકાનોને જે નોટીસ પાઠવવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે, 15 ઑગસ્ટ સુધી આપની પાસે રહેલાં નાના પડીકાંનો જથ્થો પૂરો કરી 16 ઑગસ્ટથી તેનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવા જણાવવામાં આવે છે. તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ એમ નહીં કરે અને આ પડીકાંનું વેચાણ કરતા કોઈ દુકાનદાર પકડાશે તો તેને દંડ કરવામાં આવશે. આ પ્રકારે પહેલી વખત કોઈ દુકાનદાર પકડાય તો 1000 રૂપિયાનો દંડ કરવાનો અને બીજી વખત પડકાય તો દુકાનનો સામૂહિક બહિષ્કાર કરવાની વાત પણ આ નોટિસમાં કરવામાં આવી છે.
ડાવોલ ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય જેષંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શાળા છૂટ્યા પછી બાળકો આ પ્રકારનો બિનઆરોગ્યપ્રદ નાસ્તો આરોગતા હતા તે હવે નહીં આરોગે. એવી પણ ફરિયાદ હતી કે પડીકાઓ ખાવાને લીધે બાળકો ઘરે પુરતું ભોજન નહોતાં લેતાં. તેથી હવે એ પ્રશ્ન પણ ઊભો નહીં રહે.
પંચાયતીરાજના તજજ્ઞ યાકુબભાઈ કોઠારીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત પાસે એ સત્તા હોય છે કે નિયમ બનાવી શકે છે. સામાન્ય ઉપવિધી અનુસાર તે નિયમ ગામમાં લાગૂ કરી શકે છે. દુકાનદારોને જે જાહેર નોટીસ આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ દુકાનદાર પડીકા વેચાતા પકડાશે એક હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. યાકુબભાઈએ જણા્ય હતું કે, આ પ્રકારના કિસ્સામાં દંડ કે સજાની જોગવાઈ ન હોઈ શકે. પંચાયત પાસે એવી સત્તા નથી હોતી.
પાંચ કે દસ રૂપિયાના તૈયાર મળતાં પૅકેજ્ડ ફૂડ બાળકોના આરોગ્યને કેવી રીતે નુકસાન કરે છે? એ સવાલનો જવાબ આપતાં અમદાવાદનાં પીડિયાટ્રિશિયન ડૉ. ઉન્મેષભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પૅકેજ્ડ ફૂડમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારના ફૂડ વધારે તૈલી હોય છે તેથી અનસેચ્ચ્યુરેટેડ ફૅટ કે જે શરીરને નુકસાન કરે છે તેવા ફેટનું પ્રમાણ તેમાં વધારે હોય છે. પોષકતત્ત્વો તેમાં નહીવત્ હોય છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ નથી હોતું. જે શરીરને લાંબા સમયે નુકસાન કરે છે. લાંબા ગાળે તેનાથી સ્થૂળતા-ઓબેસીટી વગેરે સમસ્યા સર્જાઈ શકે છે.
નોંધનીય છે કે આ ગામમાં વર્ષ 2012થી શાળાના કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક પેકિંગ પર પ્રતિબંધ છે અને માત્ર સ્ટીલના વાસણો જ વપરાય છે. ત્યારે હવે બાળકોને પોષણક્ષમ આહાર તરફ વાળવા અને દાંત તથા પેટની બીમારીઓથી બચાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયનો 1 ઓગસ્ટથી કડક અમલ શરૂ કરી દેવાયો છે.
ગામના સ્થાનિક કીર્તિ ચૌધરીના જણાવ્યા મુજબ, ટીવી, સોશિયલ મીડિયા તેમજ ગામના ઉદ્યોગપતિઓ, શિક્ષકો અને કેન્સર હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા જંક ફૂડના નુકસાન વિશે સતત મળતી જાગૃતિને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણયને ગામના વેપારીઓએ પણ સહર્ષ આવકાર્યો છે. સ્થાનિક દુકાનદાર કિરણ સિંહે જણાવ્યું હતું કે, બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ગ્રામ પંચાયતના આદેશ મુજબ તમામ દુકાનદારોએ પડીકાનું વેચાણ સ્વૈચ્છિક રીતે બંધ કરી દીધું છે. ડાવોલ ગામની આ અનોખી પહેલ આજે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા પામી રહી છે.

