- Gujarat
- મોરબીમાં રાકેશ ટિકૈતની ખેડૂતોને સલાહ- વિરોધ કરવા જાઓ ત્યારે ટ્રેક્ટર લઈને જ જજો, સરકારને ચેતવણી, ગુજ...
મોરબીમાં રાકેશ ટિકૈતની ખેડૂતોને સલાહ- વિરોધ કરવા જાઓ ત્યારે ટ્રેક્ટર લઈને જ જજો, સરકારને ચેતવણી, ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...
મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટના રોજ યોજાયેલી 'ખેડૂત મહાસભા'માં ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવશે તો તેના ઘેરા પ્રત્યાઘાત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પડશે, અને જો ત્યાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા ગુજરાતમાં જોવા મળશે.
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવા અને હાઇટેન્શન વીજલાઇન નાખવાની કામગીરી સામે યોગ્ય વળતરની માગ સાથે 1 મે, 2026થી આંદોલન ચાલી રહ્યું છે.

શરૂઆતમાં કામગીરી અટકાવવા પહોંચેલા ખેડૂતો, કંપનીના કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. આ ઘટના બાદ ખેડૂતોએ વિરોધ ઉગ્ર બનાવી ટ્રેક્ટર રેલી યોજી હતી તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિરોધના ભાગરૂપે 9 જેટલા ખેડૂતોએ સતત 20 દિવસ સુધી આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા.
સરકારે 4 જુલાઈ, 2026ના રોજ વળતર માટે નવી નીતિનો પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ ખેડૂતોએ આ વળતરને સાવ અપર્યાપ્ત ગણાવીને નીતિનો અસ્વીકાર કર્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી ખેડૂતોની એક જ મુખ્ય માગ છે કે વીજ કંપનીઓ પાસેથી ખેડૂતોને તેમની જમીનનું પૂરતું અને યોગ્ય વળતર મળે.
રવાપર ખાતે યોજાયેલી મહાસભા પહેલાં રાકેશ ટિકૈત અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ યદુવીરસિંહ ચૌધરી સહિતના અગ્રણી નેતાઓએ આંદોલન સ્થળ જેતપર પહોંચીને ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમના આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ રવાપર ખાતે મહાસભાને સંબોધતા રાકેશ ટિકૈતે તીખા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે આ સરકાર ટ્રેક્ટરથી ડરે છે, એટલે જ્યારે પણ વિરોધ કરવા જાઓ ત્યારે ટ્રેક્ટર લઈને જ જજો. આ માત્ર પૂંજીપતિઓની સરકાર છે જે ખેડૂતોને લૂંટી રહી છે.
તેમણે 8 ઓગસ્ટના 'ભારત છોડો આંદોલન'ના ઐતિહાસિક દિવસનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, આ સરકારી તાનાશાહીમાંથી ગુજરાતને મુક્ત કરાવવા માટે તેઓ વારંવાર અહીં આવતા રહેશે. સાથે જ તેમણે ચિમકી આપી હતી કે જો ગુજરાતમાં ખેડૂતો પર કોઈ પણ પ્રકારનું દમન કે લાઠીચાર્જ થશે, તો ઉત્તર ભારત સુધી તેની અસર પહોંચશે અને પંજાબ, હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશમાં પોલીસ સ્ટેશનો અને DM ઓફિસોનો ઘેરાવ કરવામાં આવશે.

