- Gujarat
- વિવાદમાં રહેતી કીર્તિ પટેલે મહાશિવરાત્રીની રાતે મૃગીકુંડમાં કર્યું સ્નાન, સાધુ-સંતોમાં રોષ, પોલીસનું...
વિવાદમાં રહેતી કીર્તિ પટેલે મહાશિવરાત્રીની રાતે મૃગીકુંડમાં કર્યું સ્નાન, સાધુ-સંતોમાં રોષ, પોલીસનું પણ અપમાન કર્યું
સુરતની લેડી ડોન અને વિવાદાસ્પદ એન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરીથી વિવાદમાં આવી છે. જૂનાગઢ મહાશિવરાત્રિના છેલ્લા દિવસે રાતે મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ સર્જાયો છે. મહિલા પોલીસે કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કાઢી હતી.
સામાન્ય રીતે સાધુસંતો મોટી સંખ્યામાં આવીને મૃગીકુંડમાં ડૂબકી લગાવતા હોય છે. આ મેળો સાધુસંતો માટે ખૂબ જ આસ્થાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં વિવાદીત ચહેરો કીર્તિ પટેલે સાધુસંતો જેવો વેશ ધારણ કરીને મહાશિવરાત્રીના દિવસે જ મહાપવિત્ર મૃગીકુંડમાં ડૂબકી લગાવતા વિવાદ સર્જાયો છે.
https://www.instagram.com/p/DUyiIywjUrs/
મૃગીકુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલની દાદાગીરી સામે આવી હતી અને સાધુસંતોએ વિરોધ કરતા નફ્ફટાઇભર્યું વર્તન કર્યું હતું અને ‘શું હું સનાતની નથી? તેમ કહી કીર્તિ પટેલે રૂઆબ બતાવ્યો હતો અને મીડિયા પર આક્ષેપ લગાવતા કહ્યું હતુ કે, TRP લેવા પાછળ પડી જાવ છો, તમને કવર કોણે આપ્યા છે. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જાહેરમાં કહ્યું છે કે, 'હું સનાતની છું હું તો સ્નાન કરીશ જ.' જોકે, બીજી બાજુ કીર્તિ પટેલના આવવાથી સાધુસંતો ભારે ગુસ્સે ભરાયા છે.
સાધુઓનું કહેવું છે કે, કયા અખાડાએ કિર્તી પટેલને સ્નાન માટે આમંત્રણ આપ્યું અને કિર્તી પટેલ ઘણીવાર સુધી મૃગી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. સાધુ સંતોના વિરોધ બાદ કિર્તી પટેલને બહાર કરવામાં આવી હતી.
કિર્તી પટેલના સ્નાન બાબતે નાયબ કલેકટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, કિર્તી પટેલના સામે સાધુ સંતોમાં નારાજગી હતી અને ધાર્મિક લાગણી દુભાશે તો કિર્તી પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
SDM, ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે કે, કીર્તિ પટેલે સાધુના રૂપે છૂપી રીતે અહીં સાધુસંતોની વચ્ચે પ્રવેશ કર્યો છે. સાધુસંતોની વચ્ચે ભળી જઈને મૃગીકુંડમાં ડૂબકી લગાવી છે. સાધુસંતોએ અમારું ધ્યાન દોર્યું એટલે અમે તરત જ તેને બહાર કરી હતી. આ બાબતે ત્રણેય અખાડાના સાધુસંતોને પૂછીને જે પણ કાર્યવાહી આગળ કરવાની હશે તે કરવામાં આવશે. એ સાધુના કપડાં પહેરીને આવી હતી અને સાધુઓના ટોળાંની વચ્ચે છૂપી રીતે અંદર આવી ગઈ હતી એટલે પ્રશાસનને જાણ ન થઈ. આ બાબતે તંત્ર દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે કરવામાં આવશે.
https://www.instagram.com/p/DUyhn9Kjax0/
ખાખી મઢીના મહંત સુખરામદાસનું કહ્યું કે, ‘કેટલાક સાંસારિક લોકોએ મૃગી કુંડને દૂષિત કર્યો છે અને વિવાદ થતા તંત્રએ કિર્તી પટેલને દૂર કરી હતી અને હું તંત્રનો આભાર માનું છું.’

