- Gujarat
- જામીન પર બહાર ફરતો આસારામ પોતાના સાધકોના ઘરે જઈ-જઈને મળી રહ્યો છે, મીડિયાને જોઈને ભાગ્યો
જામીન પર બહાર ફરતો આસારામ પોતાના સાધકોના ઘરે જઈ-જઈને મળી રહ્યો છે, મીડિયાને જોઈને ભાગ્યો
દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલો આસારામ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં આસારામની ઓચિંતી ઉપસ્થિતિ નોંધાઇ હતી, જેને કારણે અનેક સવાલો ઉભા થયા છે. જેલમાંથી પેરોલ પર બહાર આવેલો આસારામ જ્યારે પોતાના અનુયાયીઓને મળવા પહોંચ્યો, ત્યારે ત્યાં ભારે ઉત્સાહ સાથે-સાથે તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વલસાડમાં આસારામના આગમન સાથે જ તેના સાધકો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. એક તરફ કાયદાકીય દૃષ્ટિએ તે દુષ્કર્મનો દોષી છે. છતા તેની પૂજા કરાય એ તો કેવું કહેવાય નહીં. અનુયાયીઓએ આસારામનું ફૂલોના હાર પહેરાવીને અને પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દૃશ્યોએ સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે કે એક ગુનેગાર પ્રત્યે આ પ્રકારનો આદર કેટલો યોગ્ય છે?
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વલસાડના સરદાર હાઇટ્સ બિલ્ડિંગ, પાલીહિલ, પ્રમુખ પાર્ક, ભકગડાવાડા, રામજી મંદિર પાછળ, કોસંબા રણછોડજી મંદિર પાછળ સહિતના વિસ્તારોમાં અનુયાયીઓના ઘરે-ઘરે જઇને આસારામે મુલાકાત લીધી હતી, જોકે, આ દરમિયાન મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા.
સાધકોએ મીડિયાકર્મીનો મોબાઇલ છીનવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મીડિયાને જોઇ છત્રીમાં છુપાઇને આસારામ કારમાં બેસી ગયો હતો. જો કે, આસારામનું આ રીતે અનુયાયીઓ પાસે પહોંચવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આસારામના આ પ્રવાસ અને જાહેર દેખાવથી અનેક નૈતિક સવાલો ઉભા થયા છે. દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં દોષિત ઠરેલી વ્યક્તિ જ્યારે જાહેરમાં આ રીતે ફરે અને તેનું સ્વાગત થાય, ત્યારે સમાજમાં કેવો સંદેશ જાય છે તે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસની ભૂમિકા સામે પણ સીધા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આસારામ અને તેના પરિવારના કાળી કરતૂતો 2013માં સામે આવી હતી. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેની સારવાર કરી શકે છે. યુવતીના માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઇ ગયાં.
આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. સગીરા પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે.

