- Opinion
- નાની મોટી ભૂલો જીવનમાં ઘણું શીખવાડે છે
નાની મોટી ભૂલો જીવનમાં ઘણું શીખવાડે છે
(ઉત્કર્ષ પટેલ)
જીવન એક યાત્રા છે જેમાં પુસ્તકો કરતાં ભૂલો વધુ અગત્યના પથદર્શક બને છે. નાનીમોટી ભૂલો આપણને ઘણું બધું શીખવાડે છે. ક્યારેક દુઃખ આપીને, ક્યારેક શરમાવીને અને અંતે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની હિંમત આપીને.
બાળપણની યાદોમાં ઘણી વાર એવું થતું કે સ્લેટ પર પહેલો અક્ષર લખતી વખતે ‘ક’ ને બદલે ‘ગ’ થઈ જતો. કે પછી ‘૨’ ને બદલે ‘૩’ લખાઈ જતું ત્યારે શિક્ષકની ફૂટપટ્ટી હથેળીમાં પડતી! પણ એ જ ભૂલોએ આપણને હાથની યોગ્ય પકડ, અક્ષરોનો આકાર અને ધીરજ શીખવાડતી. ભૂલ કરવી એ માનવ સ્વભાવનો અભિન્ન ભાગ છે અને એ પ્રકૃતિ છે. કોઈ પણ બાળક પહેલી જ વારમાં સાયકલ ચલાવતું નથી શીખતું. પડે છે, વગાડે છે, રડે છે પણ પછી ફરી ઉભું થાય છે. એ પડવું જ એને પ્રથમ સંતુલન શીખવે છે.
માત્ર ભૂલ કરવી પૂરતું નથી. ભૂલ સ્વીકારવી એ સાચા સંસ્કાર છે. “મારાથી ભૂલ થઈ” એ વાક્ય બોલવામાં મોટાભાગે ઘણાને શરમ આવે છે. મોટા ભાગના લોકો ભૂલ સંતાડવાના પ્રયત્નમાં વધુ ઊંડા ફસાઈ જાય છે. જ્યારે સ્વીકાર કરી લઈએ ત્યારે મન હળવું થાય છે અને સુધારાનો રસ્તો ખુલે છે. એક વાક્ય છે કે “જે માણસ ક્યારેય ભૂલ નથી કરતો એ ક્યારેય નવું કંઈ કરતો નથી.” એટલે ભૂલને શરમનું કારણ નહીં પણ જીવન માટે પ્રગતિનું માધ્યમ ગણવું જોઈએ.

સૌથી મહત્વનું છે ભૂલ સુધારવી. એ સાચી પ્રગતિ છે. એક વાર જે ભૂલ થઈ તેનું વિશ્લેષણ કરી, કારણ સમજી અને આગળ વધતી વખતે એ જ ભૂલ ન કરવાની સભાનતા રાખવી એ જ સાચી શીખ છે.
આજના સમયે મોબાઈલમાં યુગમાં સોશિયલ મીડિયા પર મોટાભાગે સૌ પોતાની સફળતાઓ જ બતાવે છે, ભૂલોને સંતાડે છે. પણ સાચી પ્રેરણા તો એ છે કે જે લોકો પોતાની ભૂલો ખુલ્લેઆમ કહીને બીજાને ચેતવે. ભૂલ કરજો, પણ તેમાંથી શીખજો. સ્વીકારજો, સુધારજો અને સૌથી મોટી વાત... એ જ ભૂલ વારંવાર ન કરવાનું દ્રડ મનોબળ રાખજો. જીવનમાં માનવસહજ ભૂલો ટાળી શકાતી નથી પણ એનાથી ડરીને બેસી રહેવું એ સૌથી મોટી ભૂલ છે. ભૂલોને માર્ગદર્શક બનાવી લો કારણ કે એ જ તમને સફળતાના સીડીના પગથિયાં બનાવશે.
અગત્યનું:
ભૂલ કરજો, સ્વીકારજો અને શીખજો પરંતુ કરેલી ભૂલ વારંવાર ના કરતા એની કાળજી રાખજો.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

