બનાસકાંઠા જિલ્લાના ઓગડના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને દેશવટો આપવો અને પ્રસંગોમાં થતા બિનજરૂરી આર્થિક ખર્ચને અટકાવવાનો હતો. સમાજે 7 વિભાગોમાં વહેંચાયેલા 15 મુખ્ય મુદ્દાઓ સાથેનું એક નવું સામાજિક બંધારણ જાહેર કર્યું છે.

સામાજિક બંધારણના મુખ્ય નિયમો:
સગાઈ અને લગ્ન પ્રસંગના નિયમો:
- સગાઈ: દીકરા-દીકરીની સગાઈમાં માત્ર એક દાગીનો, સાડી અને શ્રીફળ આપવું. પહેરામણી તરીકે મહત્તમ 2100 રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ છે અને સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોએ જવું.
- ભેટ-સોગાદ: વરરાજાને એક વીંટી, ઘડિયાળ અને કપડાંની સાથે ચાંદલામાં માત્ર 1100 રૂપિયા લેવા-આપવા. લગ્નમાં 11 જોડી કપડાંની મર્યાદા રાખવી.
- પ્રથાઓ પર પ્રતિબંધ: લગ્નમાં હલ્દી પ્રથા, વરઘોડામાં ઘોળ પ્રથા અને ઝાપા શીખની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. બારણું રોકવા માટે દાગીનાને બદલે મર્યાદિત રોકડ આપવી.
- મનોરંજન અને શિસ્ત: લગ્ન પ્રસંગે ડીજે, બેન્ડ કે કલાકારો લાવવા નહીં. તેમજ પ્રસંગોમાં જુગાર રમવા પર કડક પ્રતિબંધ મુકાયો છે.
મરણ પ્રસંગના નિયમો:
- મરણ પ્રસંગે ભાતી, બારા કે તેરસની લેવડ-દેવડ કરવી નહીં.
- આવતા મહેમાનોને ભાડા આપવા નહીં અને સાડી આપવાને બદલે માત્ર 20 કે 50 રૂપિયા આપવા.
- અસ્થિ વિસર્જન માટે માત્ર કુટુંબના સભ્યોએ જ જવું જેથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાય.

નિયમ ભંગ બદલ કડક સજા
સમાજના અગ્રણીઓએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ આ સામાજિક બંધારણના નિયમોનો ભંગ કરશે, તો તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. નિયમ તોડનારના ઘરે કોઈએ જવું નહીં તેવો સામૂહિક નિર્ણય લેવાયો છે.
આ ઐતિહાસિક પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરથી દેવાનો બોજ ઘટશે અને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.