- Gujarat
- 'ખામ જેવી હાલત થશે...' વરૂણ પટેલે ભાજપને લખ્યો પત્ર, બિન-અનામત વર્ગને હક નહીં મળે તો...
'ખામ જેવી હાલત થશે...' વરૂણ પટેલે ભાજપને લખ્યો પત્ર, બિન-અનામત વર્ગને હક નહીં મળે તો...
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના કન્વીનર અને ભાજપના નેતા વરૂણ પટેલે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને ગંભીર ચેતવણી આપી છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, જો બિન-અનામત વર્ગને હક નહીં મળે તો આગામી દિવસોમાં ગુજરાતમાં સામાજિક અને રાજકીય સ્તરે મોટી અરાજકતા સર્જાશે અને 'ખામ' જેવી હાલત થવાનો ભય પણ વ્યક્ત કર્યો છે.
વરૂણ પટેલે પત્રમાં લખ્યું છે કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ છે. જે OBC અનામત પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા હતી તે વધીને 27 ટકા થઈ ગઈ છે, જે ખૂબ આનંદના સમાચાર છે. તેનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC સમાજને પ્રતિનિધિત્વ અત્યાર સુધી 10 ટકા મળતું હતું તે ગુજરાત રાજ્ય સરકારે વધારીને 27 ટકા કરી દીધું છે. જેના કારણે 50 ટકા જેટલી બેઠકો અનામત વર્ગ માટે રિઝર્વ થઈ ગઈ છે. અને 50 ટકા બેઠકો બિન-અનામત વર્ગ માટે બચી છે.

વરૂણ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખને નમ્ર અરજ કરી છે કે, જે 50 ટકા બિન-અનામત વર્ગની બેઠકો છે તેમાં બિન-અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, અને જે ઓપન બેઠકો છે તેમાં મહત્તમ બેઠકો બિન-અનામત વર્ગને મળે તેના માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેઓએ ચેતવણી આપી છે કે, જો એવું નહીં થાય અને બિન-અનામત વર્ગની બેઠકોમાં પણ અનામત વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવશે, તો આગામી દિવસોમાં ગુજરાતમાં ખૂબ મોટું સામાજિક અને રાજકીય ક્ષેત્રે અરાજકતા અને અસમન્વયનું બીજ રોપાશે.

વરૂણ પટેલે ભાજપના કાર્યકર તરીકે અને બિન-અનામત વર્ગના સિપાહી તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ ભાર મૂક્યો છે કે, બિન-અનામત વર્ગ ભાજપનો આધાર સ્તંભ અને કરોડરજ્જુ છે. ટૂંકા ગાળાના ફાયદા માટે આ કરોડરજ્જુને તોડવાથી જે સ્થિતિ કોંગ્રેસની 'ખામ' થિયરી અપનાવ્યા પછી થઈ છે, તે જ સ્થિતિ ભાજપની પણ થવાનો ભય છે.

વરૂણ પટેલે પત્રના અંતે ભાજપ પ્રદેશ પ્રમુખને આ વિષયને ખૂબ ગંભીરતા પૂર્વક વિચારીને યોગ્ય નિર્ણય લેવા માટે નમ્ર વિનંતી કરી છે. તેઓએ ભાર મૂક્યો છે કે, જો યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તો તે ગુજરાત, ભાજપ અને ગુજરાતના તમામ વર્ગ માટે હિતાવહ રહેશે.

