- Gujarat
- એવું શું થયું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગવી પડી?
એવું શું થયું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગવી પડી?
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પડઘમ થોડા દિવસોમાં શાંત થઈ જશે. ચૂંટણીનાં માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના ચરખડી ગામે ભાજપ દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર નજીક યોજાયેલી આ સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જિલ્લા ભાજપના અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોને સંબોધિત કર્યા હતા.
આ સભામાં ચરખડી સીટના ઉમેદવાર પુષ્પાબેન દિવ્યેશભાઈ લીલા, જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જલ્પાબેન મકવાણાસ, અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ભાજપ આગેવાન ગોપાલભાઈ શીંગાળા અને કનકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ભાજપના વિકાસના એજન્ડાને સમર્થન આપ્યું હતું.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સભાને સંબોધતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘જો ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ થયો હોય અથવા મારી પંચાયતની કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. મારા સાથી દિવ્યેશભાઈની પણ કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ પણ હું ક્ષમા માંગુ છું. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે, ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ જે કામોના વર્ક ઓર્ડર આવી ગયા છે અને જે કામો અટક્યાં છે, તે તમામ કામો સત્વરે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.’
જયરાજસિંહે વિરોધ પક્ષ દ્વારા ગોંડલમાં 'ગુંડાગીરી' હોવાના આક્ષેપો પર પલટવાર કરતા સભામાં હાજર જનમેદનીને સીધો સવાલ પૂછ્યો હતો કે, ‘શું ગોંડલમાં ગુંડાગીરી છે?’ જેના જવાબમાં ગ્રામજનોએ એકસૂરે કહ્યું હતું કે ‘નથી’. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારું મુખ્ય લક્ષ્ય આગામી સમયમાં સમગ્ર ગોંડલ તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગેસ કનેક્શન પહોંચાડવાનું છે.
તો રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે, ‘ગામમાં 1.67 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર પોતાના ઘર પાસેના રસ્તા બનાવવા માટે ન કરવો, પરંતુ ગામના મુખ્ય માર્ગો અને જ્યાં વધુ લોકોની અવરજવર હોય તેવા રસ્તાઓના વિકાસ માટે પ્રાથમિકતા આપવી જોઈએ.’
પ્રફુલભાઈએ ખેડૂતોના મુદ્દે વાત કરતા જણાવ્યું કે, ‘સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું રજીસ્ટ્રેશન ગોંડલ તાલુકામાં (અંદાજે 34,500 ખેડૂત) થયું હતું અને તમામ ખેડૂતોની જણસી સુવિધાજનક રીતે ખરીદવામાં આવી હતી. તેમણે પોતાની કાર્યપદ્ધતિ પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમે સર્વગુણ સંપન્ન હોવાનો દાવો નથી કરતા, પરંતુ જો અમારી ભૂલ થાય તો જનતાને અમારો કાન પકડવાનો પણ અધિકાર છે.’ સભા દરમિયાન ગ્રામજનોએ જયરાજસિંહ જાડેજાને સામાકાંઠે વિસ્તારમાં વોકરા વાળી ધાબીનું કામ અટક્યું હોવાની રજૂઆત કરી હતી, જેના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી.

