- Lifestyle
- વાળંદની માલિશ કરવાથી યુવાનો બની રહ્યા છે સ્ટ્રોકનો ભોગ! ન્યુરોલોજીસ્ટે આખી વાત સમજાવી
વાળંદની માલિશ કરવાથી યુવાનો બની રહ્યા છે સ્ટ્રોકનો ભોગ! ન્યુરોલોજીસ્ટે આખી વાત સમજાવી
સ્ટ્રોક એક એવી સમસ્યા છે જે વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. ભારતમાં, 30થી 45 વર્ષની વયના યુવાન લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. આની પાછળ કોઈ એક કે ચોક્કસ કારણ નથી, પરંતુ તેની પાછળ ઘણા કારણો છે. પ્રખ્યાત ભારતીય ન્યુરોલોજીસ્ટ ડૉ. (કર્નલ) જોય દેવ મુખર્જીએ બતાવ્યું હતું કે, સ્ટ્રોકનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે, જેને લોકો ઘણીવાર હળવાશથી લે છે. ડૉ. મુખર્જીએ ચેતવણી પણ આપી હતી કે, ગરદનની માલિશ પણ સ્ટ્રોકનું કારણ બની શકે છે.
ન્યુરોલોજીસ્ટ ડૉ. (કર્નલ) જોય દેવ મુખર્જીએ સ્ટ્રોકના કારણો વિશે ખુલીને વાત કરી અને સાથે તેને રોકવા માટે સૂચના પણ આપી હતી. તેમણે સમજાવ્યું કે, હાઈ બ્લડ પ્રેશર, અથવા હાઈપરટેન્શન, સૌથી સામાન્ય કારણ છે, કારણ કે હાઈપરટેન્શનથી પીડિત લોકોમાં સ્ટ્રોકના કોઈ લક્ષણો નથી હોતા. રક્તવાહિની અચાનક ફાટી શકે છે અને મગજમાં રક્તસ્ત્રાવ થઈ શકે છે, જેના કારણે હેમોરેજિક સ્ટ્રોક થાય છે. સૌપ્રથમ તો તમારે સમજવું જોઈએ કે સ્ટ્રોક ક્યારે થાય છે?
સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે લોહી મગજ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી. લોહી મગજને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે, તેથી લોહીનો પ્રવાહ બંધ થતાં જ મગજના ભાગો કામ કરવાનું બંધ કરી દે છે.
સ્ટ્રોકના બે પ્રકાર છે. પહેલો બ્લોક્ડ સ્ટ્રોક છે, જેને ઇસ્કેમિક સ્ટ્રોક પણ કહેવાય છે. આ ત્યારે થાય છે જ્યારે રક્ત વાહિનીમાં લોહી ગંઠાઈ જાય છે, જેના કારણે લોહી આગળ વહેતું અટકી જાય છે.
બીજો હેમરેજિક સ્ટ્રોક છે, જેને બ્રેન હેમરેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે મગજની નસ ફાટી જાય છે અને લોહીથી ભરાઈ જાય છે.
ડૉ. જોય દેવના મતે, સ્ટ્રોકના મુખ્ય કારણોમાં વધુ પડતો દારૂનું સેવન, ધૂમ્રપાન અને વેપિંગ, ઓછી શારીરિક પ્રવૃત્તિ, ચરબીયુક્ત અને પ્રોસેસ્ડ ખોરાક, મોડે સુધી જાગવું અને તણાવનો સમાવેશ થાય છે. તેમણે સમજાવ્યું કે આજકાલ લોકો જીમમાં જાય છે, પરંતુ તેઓ તેમના ખાવા પીવા પ્રત્યે લાપરવાહી કરતા હોય છે. શારીરિક રીતે ફિટ રહેવાનો અર્થ એ નથી કે તેઓ અંદરથી સ્વસ્થ છે. આપણે ઘણા યુવાનોને કસરત કરતી વખતે પણ સ્ટ્રોક અથવા બ્લડ પ્રેશરને કારણે પડી જતા જોઈએ છીએ.
ડૉ. જોય દેવ મુખર્જીએ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે, આજકાલ સ્ટ્રોકનું વધતું જોખમ ફક્ત ઉંમરને કારણે નથી, પરંતુ બિનઆરોગ્યપ્રદ ટેવો અને જીવનશૈલીને કારણે પણ છે. તેમણે કહ્યું કે ઘણા લોકો જીમમાં જાય છે, સ્વસ્થ દેખાય છે, અને લાગે છે કે બધું બરાબર છે, પરંતુ તેમની રક્તવાહિનીઓ અને હૃદય અંદરથી સ્વસ્થ નથી. ઘણા યુવાનો ધૂમ્રપાન કરે છે, વેપ કરે છે, દારૂ પીવે છે અને ન ખાવાનું હોય તેવું ખાવાનું ખાય છે, જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે, જે ચુપચાપ ધમનીઓમાં જમા થતું રહે છે. તેમણે ગરદનના માલિશને પણ સ્ટ્રોકનું કારણ ગણાવ્યું. જો તમે પણ વાળંદ પાસે માલિશ કરાવો છો, તો સાવચેત રહો, કારણ કે તે સ્ટ્રોકનું કારણ બની શકે છે.
ડૉ. મુખર્જી સમજાવે છે કે ગરદનમાં બે મહત્વપૂર્ણ નસો હોય છે: કૈરેટિડ ધમનીઓ. જો જોરથી માલિશ કરવામાં આવે, આંચકો લાગે, અથવા ગરદનને અચાનક ખેંચવામાં આવે તો આ નસોની દિવાલમાં નાની ઇજા થઇ શકે છે, જ્યાં લોહી ગંઠાઈ જવાથી લોહીની આ ગાંઠ મગજ સુધી પહોંચી શકે છે જે રક્ત પુરવઠાને અવરોધે છે, જે સ્ટ્રોક આવવાનું કારણ બની શકે છે. આનો અર્થ એ છે કે જે દેખીતી રીતે સ્વસ્થ વ્યક્તિ પોતાને સ્વસ્થ માનતી હતી તેને અચાનક સ્ટ્રોક આવી શકે છે.
કૈરોટિડ ધમની આપણા શરીરની સૌથી મહત્વપૂર્ણ નસોમાંની એક છે, જે ગરદનની બંને બાજુએ હોય છે. તેનું કાર્ય હૃદયથી મગજ સુધી સ્વચ્છ (ઓક્સિજનયુક્ત) લોહીને પહોંચાડવાનું હોય છે. આ નસ આગળ જઈને બે ભાગોમાં વિભાજીત થાય છે. પહેલી, જેને આંતરિક કૈરોટિડ ધમની કહેવાય છે, તે મગજને લોહી પહોંચાડે છે. બીજી, જેને બાહ્ય કૈરોટિડ ધમની કહેવાય છે, તે ચહેરા, માથા અને ગરદનને લોહી પહોંચાડે છે. જો આ નસ કડક અથવા સાંકડી થઈ જાય (લોહીમાં ચરબી અથવા ગંઠાવાને કારણે), તો મગજમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેનાથી સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
સ્ટ્રોક આવવાને હવે ફક્ત ઉંમર સાથે કોઈ સંબધ નથી હોતો, પરંતુ જીવનશૈલીનો રોગ બની ગયો છે. જો સમયસર સાવચેતી રાખવામાં ન આવે તો જોખમ વધશે. ડૉ. જોય દેવ મુખર્જી સ્ટ્રોકને રોકવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ભાર મૂકે છે.
ધૂમ્રપાન અને દારૂ છોડો, જંક અને ચરબીયુક્ત ખોરાક ઓછો કરો, દરરોજ 30-45 મિનિટ કસરત કરો, રાત્રે સમયસર સૂઈ જાઓ, વર્ષમાં એક વાર આરોગ્ય તપાસ કરાવો, જોરથી કરવામાં આવતી ગરદનની માલિશ કરવાનું ટાળો.
ડૉ. મુખર્જીના મતે, ઘણી વખત સ્ટ્રોક પહેલા કોઈ મોટા સંકેતો દેખાતા નથી, પરંતુ શરીર ચોક્કસ કેટલાક સંકેતો આપતું જ હોય છે. જેમ કે વારંવાર માથાનો દુખાવો, ચક્કર આવવા, શરીરની એક બાજુ ઝણઝણાટ, એક આંખમાં ઝાંખું દેખાવું. આ એવા સંકેતો છે જેને મોટાભાગના લોકો ગંભીરતાથી લેતા નથી.

