- National
- 15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની
ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે 65 વર્ષ બાદ તેના પરિવારને ફરી મળી શકી. અને આ બધું તેની પુત્રીને કારણે શક્ય બન્યું. આ કહાની એ વિચારવા મજબૂર કરે છે કે, 15 વર્ષની ઉંમરે અપહરણ અને પછી ઘરથી અલગ થવા પર કેટલું દુ:ખ થાય છે.
શું છે આખી કહાની?
65 વર્ષ અગાઉ હરદોઈ જિલ્લા મુખ્યાલયથી લગભગ 15 કિલોમીટર દૂર આટ ગામની બહાર આ કહાની શરૂ થઈ હતી. ગામની બહારના હિસામાં 3-4 ઘર હતા. તેમાંથી એક બળદેવનું ઘર હતું. આજતકના અહેવાલ મુજબ, 1961-62માં, 100થી વધુ ડાકુઓ લૂંટ કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. બળદેવના ઘરમાં લૂંટ કરવા યોગ્ય કંઈ નહોતું, પરંતુ લૂંટારાઓએ ઘર પર જબરદસ્ત ગોળીબાર કર્યો. ત્યારબાદ તેમણે બળદેવ અને તેના પુત્ર શિવલાલને તીક્ષ્ણ હથિયારોથી ઇજાગ્રસ્ત કરી દીધા. ત્યારબાદ તેમણે બળદેવની 15 વર્ષની પુત્રી મીઠનીનું અપહરણ કર્યું.
લૂંટના થોડા દિવસ અગાઉ જ મીઠનીના લગ્ન થયા હતા. આ એવો સમય હતો જ્યારે ભારતમાં નાની ઉંમરે લગ્ન સામાન્ય વાત કરી. જ્યારે લૂંટારાઓએ તેનું અપહરણ કર્યું, ત્યારે તેના આગામી મહિને તેના ગૌના (ઉત્તર ભારતમાં લગ્ન બાદનો એક રિવાજ) નક્કી થયા હતા. તેના અપહરણનું કારણ ક્યારેય જાણી શકાયું નહોતું. પરંતુ તેનું અપહરણ કર્યા બાદ, તેઓ તેને લઈને ફરતા રહ્યા. અહેવાલો અનુસાર, લૂંટારાઓએ મીઠનીને ઘણી વખત માર માર્યો. અંતે, તેમણે મીઠનીને અલીગઢમાં કોઈ પરિચિતને સોંપી દીધી.
જો મીઠની અહીં રહી હોત, તો તેની સાથે કંઈ પણ થઈ શક્યું હોત. પરંતુ અલીગઢના સમેઘા ગામમાં રહેતા સોહનલાલને આ વાતની ખબર પડી. સોહનલાલ એક કુસ્તીબાજ હતો, અને તેના ઘણા મિત્રો પણ કુસ્તી કરતા હતા. જ્યારે તેને ખબર પડી કે ડાકુઓએ નજીકના ગામની એક છોકરીનું અપહરણ કર્યું છે, ત્યારે તેણે અને તેના સાથીઓએ ગામ પર છાપો માર્યો. તેમણે મીઠનીને આઝાદ કરાવી. જોકે, મીઠનીને આટલું બધુ થવાને કારણે આઘાત લાગ્યો હતો. મીઠની ખૂબ જ સુંદર હતી, એટલે કુસ્તીબાજ સોહનલાલે તેની સાથે લગ્ન કરી લીધા. સોહનલાલ અને મીઠનીને 5 પુત્રીઓ અને 3 પુત્રો થયા.
લગ્ન બાદ, મીઠનીનું જીવન બદલાઈ ગયું. તેનું ઘર વસી ગયું, પરંતુ તે પોતાનું પિયર હરદોઈને ન ભૂલી શકી., એ જ ઘર જ્યાં ડાકુઓએ હુમલો કર્યો હતો. તે ઘણીવાર તેના બાળકોને ડાકુઓની વાર્તાઓ કહેતી. તે તેમને કહેતી કે તેનું અપહરણ કેવી રીતે થયું હતું. તેને એ વાત યાદ હતી કે, તેના પિતા અને ભાઈ પર ડાકુઓએ હુમલો કર્યો હતો. તે વિચારતી હતી કે પિતા અને ભાઈ બચી ગયા હશે કે નહીં. ખૂબ ઉંમર થઈ ગયા છતા મીઠનીને તેનું ઘર અને ગામ યાદ હતું. તે તેમને કહેતી કે તેનું ગામ સકાહા નામના ગામની બાજુમાં છે. ત્યાં એક મોટું શિવ મંદિર છે, જ્યાં વર્ષમાં બે વાર મેળો ભરાય છે.
મીઠનીની એક પુત્રી સીમા યાદવ, નોઈડામાં રહે છે. જ્યારે સીમાએ આ કહાનીઓ સાંભળતી, ત્યારે તેનું મન કરતું કે, તે ક્યારેક પોતાની માતાને ઘરે લઈ જાય. તો દીકરીએ નક્કી કર્યું કે, માતાને જેટલું પણ યાદ છે, તે તેના આધારે તેનું ઘર શોધશે અને તેના પિયરે પહોંચાડશે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ, સીમા તેની 80 વર્ષની માતા સાથે નીકળી પડી. પહેલા તે અલીગઢથી એટા, અને પછી ત્યાંથી ફર્રુખાબાદ થઈને હરદોઈ પહોંચી. હરદોઈમાં, તેણે સકાહા ગામ અને તેની માતાએ ઉલ્લેખ કરેલા શિવ મંદિર અંગે પૂછપરછ કરી. સકાહાનું શિવમંદિર જોઈને મીઠનીને બધી વસ્તુ યાદ આવવા લાગી.
પછી, સીમાએ આસપાસના લોકોને મીઠનીના ભાઈ સુબેદાર અને શિવલાલ વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. લોકોએ કહ્યું કે તેઓ તો હવે હયાત નથી, પરંતુ તેમનો પરિવાર હજુ પણ ગામમાં રહે છે. જો કે, લૂંટના સમયે શિવલાલ પણ ઘરે હતો, તો તેના પરિવારને પણ આ ઘટનાની જાણ હતી. તેઓ જાણતા હતા કે મીઠનીનું 65 વર્ષ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું. મીઠની ક્યાં છે તેની જાણ થતા, તેમણે તેનું ઘરમાં સ્વાગત કર્યું. સાથે સંબંધીઓનો ધસારો થવા લાગ્યો. મીઠનીની ભાભી તેને અંદર લઈ ગઈ. ઘણા વર્ષો પછી તેને જોઈને બધા ભાવુક થઈ ગયા. મીઠનીની ભાભી અને ભત્રીજીઓએ તેને ગળે લગાવી. અને આ રીતે એક પુત્રીના પ્રયાસોથી 6 દાયકા પછી મીઠનીને તેના પિયરના લોકો સાથે મળાવી દીધી.

