મામલતદારે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાની ખેતીની જમીન સરકાર હસ્તક કરવાનો આપ્યો આદેશ, જાણો આખો મામલો
ખોટા ખેડૂત ખાતેદાર બની જમીન હડપવાના મામલે ઈડરના મામલતદાર પૂજા જોશીએ ધારાસભ્ય રમણલાલ વોરા સહિત તેમના પરિવારને મોટો ઝટકો આપ્યો છે. દાવડ ગામની સીમમાં આવેલી જમીનને સરકાર હસ્તાક (શ્રી-સરકાર)માં ફેરવી દેવામાં આવી છે.
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં શાસક પક્ષના વર્તમાન ધારાસભ્ય સામે થયેલી આ પ્રકારની આ કદાચ પહેલી મોટી કાર્યવાહી છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ નિર્ણય બાદ સાબરકાંઠા કોંગ્રેસે ભાજપના ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે, ખોટા દસ્તાવેજોના આધારે જમીન ખરીદવાનો પ્રયાસ થયો છે અને સમગ્ર મામલે છેતરપિંડી સહિતના ગુનાઓ દાખલ થવા જોઈએ. હવે આ ઐતિહાસિક નિર્ણય બાદ ધારાસભ્ય રમણ વોરા અથવા ભાજપ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને આગળ કઈ કાનૂની કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર મંડાઈ છે.
શું છે આખો મામલો?
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, રમણલાલ વોરા ખોટા દસ્તાવેજો રજૂ કરીને કાયદાકીય રીતે ‘ખેડૂત ખાતેદાર’ બન્યા હતા. તેમણે ઈડરના દાવડ ગામમાં સર્વે નંબર 792 અને સર્વે નંબર 548 હેઠળની 7 એકરથી વધુની કિંમતી જમીન પોતાના પુત્ર સુહાગ વોરા, ભૂષણ વોરા અને પત્ની કુસુમબેન વોરાના નામે ખરીદી લીધી હતી. સત્તાના નશામાં આચરવામાં આવેલો આ ખેલ લાંબો સમય ચાલી શક્યો નહીં અને સમગ્ર મામલો કૃષિ પંચ (ગણોત પંચ) સમક્ષ પહોંચ્યો હતો.
ફરિયાદીએ લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો હતો કે, ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં આવેલ સર્વે જમીનોમાં ધારાસભ્ય રમણ વોરા સહિત અન્ય બિનખેડૂતોને ખોટી રીતે ખેડૂત ખાતેદાર તરીકે દાખલ કરવામાં આવ્યા છે. અરજદારે ગણોતધારા હેઠળ કાર્યવાહીની માંગ કરતા કલેક્ટર કચેરીએ ઈડરના નાયબ કલેક્ટરને તપાસ કરી અહેવાલ આપવા માંગણી કરી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીમાં તપાસ શરૂ થઈ.
સમગ્ર કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય રમણ વોરા સહિત તેમના પરિવારજનો સતત ગેરહાજર રહ્યા હતા. મુદતો પતી જવા છતા તેઓ હાજર ન થતા મામલતદારે ઉપલબ્ધ પુરાવાઓ અને દસ્તાવેજોના આધારે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. ખેડૂતોના લાભાર્થે અને સરકારી જમીનના રક્ષણ માટે આવા ચુકાદાઓને સ્થાનિક લોકોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. આ કાર્યવાહીથી ધારાસભ્ય રમણ વોરા માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે.
કૃષિ પંચમાં ફરિયાદ નોંધાયા બાદ કાયદાનો સિંકજો કસાતો ગયો હતો. ઇડરના મામલતદાર પૂજા જોશીએ કોઈ પણ રાજકીય દબાણમાં આવ્યા વિના કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ આકરો નિર્ણય લીધો છે. મામલતદાર કોર્ટ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરા અને તેમના પરિવારના સભ્યોને પોતાનો પક્ષ રાખવા અને સાચા ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, રાજકીય પ્રોટોકોલ પાછળ ભરાઈને ધારાસભ્ય કે તેમનો પરિવાર એક પણ મુદતમાં હાજર રહ્યો નહોતો અને પોતે સાચા ખેડૂત છે તે સાબિત કરી શક્યા નહોતા. આથી, ગણોત ધારાના ભંગ બદલ તંત્ર દ્વારા તેમને જંત્રી મુજબનો 300 ટકા જેટલો મસમોટો દંડ ભરવા આદેશ કરાયો હતો, પરંતુ તેમણે આ દંડ પણ ભર્યો નથી
ગુજરાતના કાયદા મુજબ ખેતીની જમીન માત્ર અસલી ખેડૂત જ ખરીદી શકે છે. જેમાં પોતે ખેડૂત હોવાનું સાબિત કરવા ધારાસભ્ય રમણલાલ વોરાએ વર્ષ 2004નું એક ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્ર તત્કાલીન મામલતદાર દસક્રોઈ (અમદાવાદ) દ્વારા ઓગણજ ગામના સર્વે નં. 719/3ની ખેતીની જમીનના આધારે ઇશ્યૂં કરાયેલું હોવાનો દાવો કરાયો હતો.
આ પ્રમાણપત્રની સત્યતા તપાસવા ઇડર મામલતદારે ઘાટલોડીયા મામલતદાર કચેરીને પત્ર લખી રેકોર્ડ વેરિફિકેશન કરાવ્યું હતું. ઘાટલોડીયા મામલતદારે મોકલેલા સત્તાવાર ગુપ્ત અહેવાલમાં સ્પષ્ટ ખુલાસો થયો હતો કે વર્ષ 2004 માં દસક્રોઈ કચેરી દ્વારા ઓગણજની જમીનના આધારે જે અસલી ખેડૂત પ્રમાણપત્ર ઇશ્યૂ કરાયું હતું.
તે વાસ્તવમાં રમણભાઈ ઈશ્વરભાઈ પટેલના નામે હતું. ધારાસભ્ય રમણલાલ ઈશ્વરભાઈ વોરાએ માત્ર પોતાના નામની સાધારણ સમાનતાનો વગદાર અને ગુનાહિત દુરુપયોગ કરીને પટેલના પ્રમાણપત્રને પોતાનું વોરાનું પ્રમાણપત્ર ગણાવી સરકારી ચોપડે કૌભાંડી નોંધ કરાવી લીધી હતી.
રમણલાલ ઇશ્વરભાઈના મળતા નામે અટક વિનાનો દાખલો મેળવીને ધારાસભ્ય રમણલાલ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામમાં પણ સાડા 3 એકર જેટલી ખેતીની જમીન ખરીદી હોવાનો ધડાકો થયો છે. આ જમીનનો વિવાદ પણ એટલો વકર્યો છે કે, ખુદ ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરાના ખોટા ખેડૂત પ્રકરણની તપાસ કરવા છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. હવે દાવડની જમીન બાદ ગાંધીનગર-પાલેજની જમીન પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
રમણલાલ વોરા ભાજપના વરિષ્ઠ દલિત નેતા છે અને અગાઉની સરકારોમાં મંત્રીપદ પણ ભોગવી ચૂક્યા છે. આ કૌભાંડમાંથી બચવા માટે તેમણે દિલ્હીના આંટાફેરા પણ માર્યા હતા પરંતુ કોઈ મેળ પડ્યો નથી. થોડા સમય અગાઉ ઈડરના જ એક ગાયનેક ડોક્ટર પણ ખોટા ખેડૂત બન્યા ત્યારે ખુદ મામલતદાર ફરિયાદી બન્યા હતા અને ડોક્ટરને 10 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારે હવે સામાન્ય જનતામાં ચર્ચા છે કે જો કાયદો બધા માટે સરખો હોય તો ધારાસભ્ય વિરુદ્ધ પણ તાત્કાલિક રાહે ફોજદારી ગુનો (FIR) દાખલ થવો જોઈએ.

