- National
- મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?...
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?
એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી હતી.
ડોક્ટરોએ આ બધી વસ્તુઓ સફળતાપૂર્વક કાઢી અને મહિલાનો જીવ બચાવ્યો.
પરંતુ પ્રશ્ન એ રહે છે કે આ બધી વસ્તુઓ મહિલાના પેટમાં કેવી રીતે ગઈ?
સામાન્ય રીતે, ખોરાક સિવાયની નાની વસ્તુઓ પણ ગળી જવાથી પેટમાં તીવ્ર દુખાવો અથવા ઝાડા થાય છે.
પરંતુ પેટમાં રહેલી આ પ્રકારની વસ્તુઓથી એ મહિલાને કેવા પ્રકારની સમસ્યાઓ થઈ હશે?
આ વસ્તુઓ કેવી રીતે બહાર નીકાળવામાં આવી તે અંગેની જાણકારી તેની સર્જરી કરનારા ડોક્ટરોએ મીડિયા સૂત્રોને આપી છે.
અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાવપેટની 33 વર્ષીય પરિણીત મહિલાને છાતીની ડાબી બાજુએ ભારે દુખાવો થયો.
ત્યારપછી તેના પરિવારે તેને માતાશ્રી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી.
ડોક્ટરોએ તાત્કાલિક ECG અને એન્ડોસ્કોપી કરી. ડો. રામચંદ્ર રેડ્ડીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, ECG પર બધું બરાબર હતું. જોકે, એન્ડોસ્કોપીમાં તેના પેટમાં પેન, ચમચી અને મીણબત્તીઓ સહિત અમુક બહારની વસ્તુઓ મળી આવી.
ડૉ. રામચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે CT સ્કેન દ્વારા તાત્કાલિક પુષ્ટિ કર્યા પછી, તેમણે એન્ડોસ્કોપી અને લેપ્રોસ્કોપિક સર્જરી કરવાનો નિર્ણય લીધો.
તેમણે જણાવ્યું કે આ સર્જરી દ્વારા બધી પેન, મીણબત્તીઓ અને લાકડાની ચમચીઓ દૂર કરવામાં આવી હતી.
બાળકો માટે વપરાતી 25 સેન્ટિમીટર લાંબી પેનના કારણે મહિલાના પેટમાં કાણું પડી ગયું હતું, જેના કારણે 'ન્યુમોમેડિયાસ્ટિનમ' નામની સ્થિતિ સર્જાઈ હતી.
તેમણે જણાવ્યું કે મહિલા તીવ્ર દુખાવો થતા તેમની પાસે આવી હતી.
ડૉ. રામચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે પછી લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા આ વસ્તુઓ મહિલાના પેટમાંથી કાઢવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, મહિલાના પેટમાંથી કુલ 13 પેન, 1 મીણબત્તી અને 5 લાકડાની ચમચી કાઢવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે મહિલાની સ્થિતિ હાલમાં સ્થિર છે.
આ પ્રકારની સમસ્યા સામાન્ય રીતે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા લોકોમાં થાય છે.
ડૉ. રામચંદ્ર રેડ્ડીએ કહ્યું કે, માતા પિતાની જવાબદારી હોય છે કે, માનસિક બીમારીથી પીડાતા લોકોની સંભાળ રાખવી અને ખાતરી કરવી કે તેઓ તેમની દવાઓ સમયસર લે છે.
મહિલાએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા, પણ તેણે આવી જ રીતે 4 પેન ગળી હતી. તે સર્જરી દ્વારા દૂર કરવામાં આવી હતી.
ડૉ. રામચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે તે માનસિક સમસ્યાઓથી પીડાતી હતી અને તેને મનોચિકિત્સક પાસે રિફર કરવામાં આવી હતી. તે હાલમાં સારવાર હેઠળ છે.
જોકે, દરેક વ્યક્તિ આવી વસ્તુઓ ગળી શકતી નથી. તેમણે સ્પષ્ટતા કરી કે માનસિક સમસ્યાઓથી પીડાતા દર્દીઓ જ આવું ઘણીવાર કરતા હોય છે.
તેમણે કહ્યું કે 25 સેન્ટિમીટર લાંબી વસ્તુ પેટ સુધી પહોંચે તે ખૂબ જ દુર્લભ છે. તેમની કારકિર્દીમાં આ પહેલી વાર છે જ્યારે તેમણે કોઈને આટલી મોટી પેન ગળી જતા જોયા છે.
ડૉક્ટરે જણાવ્યું કે મહિલાનો તેના પિતા સાથે ઝઘડો થયો હતો, જેના પછી તેણે આ વસ્તુઓ ગળી લીધી હતી.
જોકે, ડૉ. રામચંદ્ર રેડ્ડીએ કહ્યું કે, ઘણા લોકો એવી વસ્તુઓ ખાય છે જે પચાવી શકાતી નથી, જેમ કે વાળ.
આ કિસ્સાઓને ટ્રાઇકોબેઝોઅર્સ કહેવામાં આવે છે.
જો ગળી જવા દરમિયાન અંદર કોઈ કાણું ન પડે તો આંતરડામાં અટકી જાય છે અને ઉલટી થઈ શકે છે.
બોલ્ટ અને પેન જેવી તીક્ષ્ણ વસ્તુઓ ગલી જવાથી આંતરડામાં કાણું પણ પડી શકે છે.
તેમણે આગળ જણાવ્યું કે કેટલીક નાની વસ્તુઓ મળ દ્વારા બહાર નીકળી શકે છે. નાના બાળકો અજાણતાં સિક્કા ગળી જાય છે. ક્યારેક તેમના માતાપિતા પણ આ વાતથી અજાણ હોય છે. આ સિક્કા પાછળથી મળ દ્વારા બહાર નીકળી જાય છે.
તેમણે એમ પણ જણાવ્યું કે જો આંતરડામાં કાણું પડી જાય, તો કેટલાક દર્દીઓને ચેપ અને સેપ્ટિક થઇ શકે છે, જે જીવલેણ હોઈ શકે છે.
ગુંટુરના ડૉ. સાઈ કૃષ્ણાએ મીડિયા સૂત્રને જણાવ્યું કે, આવા કિસ્સાઓ ક્યારેક ક્યારેક બને છે. આમાંથી 90 ટકા કિસ્સાઓમાં, દર્દીઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હોય છે.
તેમણે જણાવ્યું કે, આવા દર્દીઓ એક જ સમયે બધું જ નથી ગળી જતા. ક્યારેક, તેઓ જે ગળી જાય છે તે ઘણા મહિનાઓ સુધી તેમના પેટમાં રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે આ વસ્તુઓ પેટમાં ફસાઈ જાય છે ત્યારે જ દુખાવો થાય છે. પેટમાંથી આ વસ્તુઓને તાત્કાલિક નિકાળવા માટે એન્ડોસ્કોપી અને લેપ્રોસ્કોપી જેવી સર્જરી કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, તેમણે તાજેતરમાં જ દર્દીના પેટમાંથી 20 બેટરી કાઢી છે. તેમણે જણાવ્યું કે આ વસ્તુઓ ક્યારેક ગળી ગયા પછી મહિનાઓ સુધી પેટમાં રહી શકે છે. એકવાર પેટમાં ગયા પછી, તે આંતરડા સુધી પહોંચતા નથી. જો તે આંતરડા સુધી પહોંચે છે, તો એક્સ-રે અને સર્જરી જરૂરી છે. આવા કિસ્સાઓમાં, સર્જરી દરમિયાન લેપ્રોસ્કોપી કરવામાં આવે છે.
ડૉ. સાઈ કૃષ્ણાએ કહ્યું કે ટ્રાઇકોબેઝોઅરના કિસ્સામાં, વાળ પેટમાં જ રહે છે અને સર્જરી દ્વારા તેને દૂર કરવાની જરૂર પડે છે.
તેમણે જણાવ્યું કે નરસારાવેટ ઘટનામાં, દર્દીના શરીરમાં એક કાણું પડી ગયું હતું. આ એક મોટી સમસ્યા હતી. તેથી, ડોકટરોએ મહિલા પર તાત્કાલિક સર્જરી કરવી પડી.

