- National
- દાગીના ચોરીનો કેસ દાખલ થયો, પોલીસે 'ચોર'ને પકડવા તાંત્રિકની સલાહ લીધી! કોર્ટે અધિકારીઓને ખખડાવી નાંખ...
દાગીના ચોરીનો કેસ દાખલ થયો, પોલીસે 'ચોર'ને પકડવા તાંત્રિકની સલાહ લીધી! કોર્ટે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
રાજસ્થાનના નાગૌર જિલ્લાના શ્રી બાલાજી પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક કેસમાં પોલીસની કામ કરવાની પદ્ધતિ પર સવાલો ઉભા થયા છે. 7 માર્ચ, 2026ના રોજ, એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેના અને તેની પુત્રવધૂના દાગીના ચોરી થયા હોવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસે કેસની તપાસ પણ કરી. પરંતુ, 8 મેના રોજ, મહિલાએ રાજસ્થાન હાઈકોર્ટમાં પોલીસની તપાસ પ્રક્રિયાને પડકારતી અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તપાસ માટે કોઈ તાંત્રિકની મદદ લેવામાં આવી હતી. કોર્ટે પોલીસને ઠપકો આપ્યો અને નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો.
એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ, તપાસ શ્રી બાલાજી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતિરામને સોંપવામાં આવી હતી. અરજદાર ખેમી દેવીએ તપાસ અધિકારીઓને કેટલાક શંકાસ્પદોના નામ આપ્યા હતા, પરંતુ પોલીસ તેમને શોધી શકી ન હતી. કોર્ટે હવે 15 દિવસમાં તપાસ અધિકારીઓને બદલી નાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે, સ્વતંત્ર તપાસ સુનિશ્ચિત કરવા માટે નવા અધિકારીની નિમણૂક બીજા પોલીસ સ્ટેશનમાંથી થવી જોઈએ.
7 માર્ચની રાત્રે, ખેમી દેવી અને તેમની પુત્રવધૂના ઘરેણાં તેમના ઘરમાંથી ચોરાઈ ગયા હતા. તેમાં દોઢ તોલા સોનું, 300 તોલા ચાંદી અને 24,000 રૂપિયા રોકડા, કુલ મળીને 12 લાખ રૂપિયાથી વધુની વસ્તુઓ હતી. ત્યારપછી ખેમી દેવીએ શ્રી બાલાજી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. ફરિયાદ મળતાં, પોલીસે કાર્યવાહી પણ કરી. ત્યારપછી, તાંત્રિકવાળી વાત એમાં ઉમેરવામાં આવી.
અહેવાલ મુજબ, ખેમી દેવીના વકીલ, મનોહર સિંહ રાઠોડે આરોપ લગાવ્યો કે, તપાસ અધિકારી રતિરામ ફરિયાદીની પુત્રવધૂના પિતા અને કેટલાક ગ્રામજનોને અલવર જિલ્લાના એક તાંત્રિક પાસે લઈ ગયા હતા. તાંત્રિકે કથિત રીતે પુત્રવધૂના પિતાનું નામ આરોપી તરીકે આપ્યું હતું. આ પછી, પોલીસે પણ માની લીધું કે તે ચોર છે અને તેના પર આરોપ મૂકવા માટે કામ કરવાનું શરૂ કર્યું.
રાજ્ય સરકાર વતી, સરકારી વકીલ વિક્રમ સિંહે કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટ નાગૌરના પોલીસ અધિક્ષક દ્વારા તેમને મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે, તપાસ અધિકારીએ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી અને અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. જોકે, સ્ટેટસ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, તપાસ દરમિયાન અધિકારીએ અલવરની મુલાકાત લીધી હતી.
આ કેસની સુનાવણી જસ્ટિસ મુન્નુરી લક્ષ્મણની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી અને સત્તાવાર સ્ટેટસ રિપોર્ટની સમીક્ષા કર્યા પછી, જાણવા મળ્યું કે તપાસ અધિકારીએ અલવરમાં તાંત્રિકના સ્થળની મુલાકાત લીધી હોવાની શક્યતા છે. જસ્ટિસ મુન્નુરી લક્ષ્મણે જણાવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં કેસની તપાસ કોઈ તાંત્રિકની સલાહ પર આધારિત ન હોઈ શકે. ખેમી દેવીના વકીલે પણ એવી દલીલ કરી હતી કે કાયદો તાંત્રિકની સલાહ પર આધારિત તપાસની જોગવાઈ કરતો નથી. તપાસ ફક્ત તથ્યો પર આધારિત હોવી જોઈએ.

