- National
- ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?
ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?
તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને સત્તામાંથી બહાર કરી દેવામાં આવી છે, અને TVKના વડા થલાપતિ વિજય CM છે. સત્તામાં આ પરિવર્તન સાથે, ચેન્નાઈથી લઈને દિલ્હી સુધીનું રાજકારણ પણ બદલાતું નજર આવી રહ્યું છે. કોંગ્રેસ DMK છોડીને વિજયની સરકારમાં જોડાઈ ગઈ છે, અને BJP DMK સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દિશામાં રાજકીય કવાયત પણ શરૂ થઈ ગઈ છે.
દક્ષિણ તમિલનાડુમાં રાજકીય પરિદૃશ્ય બદલાતા, કોંગ્રેસ DMK છોડીને વિજયમાં જોડાઈ ગઈ. કોંગ્રેસના આ વલણથી MK સ્ટાલિનને ભારે ઝટકો લાગ્યો છે, જેના પગલે DMKએ વિપક્ષી INDIA બ્લોકથી પોતાને અલગ કરી લીધું છે. હવે, આ તકનો લાભ લેવા માટે, BJPએ DMKને NDAમાં લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NDA DMKના 22 લોકસભા સાંસદો અને 8 રાજ્યસભા સાંસદો પર નજર રાખી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, DMK તરફથી બહારથી ટેકો મેળવવા માટે મુદ્દાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે NDA સંસદમાં બે તૃતીયાંશ બહુમતી ઇચ્છે છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પછી તરત જ DMKએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા. DMKએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને લોકસભામાં કોંગ્રેસથી અલગ બેસવાની વિનંતી કરી હતી. જોકે, સનાતન ધર્મના મુદ્દા પર DMKના રાજકીય વલણને જોતાં, ઔપચારિક જોડાણની શક્યતા ઓછી માનવામાં આવે છે. જોકે, DMKનો ટેકો મેળવવા માટે એક અલગ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
મોદી સરકારના રણનીતિકારો માને છે કે, BJD, YSR કોંગ્રેસ અને BSPની જેમ, DMK પણ મુદ્દાઓ પર આધારિત NDAને ટેકો આપી શકે છે. સૂત્રો કહે છે કે, DMK તોડવાથી કોઈ ખાસ ફાયદો થશે નહીં, તેથી તમામ 22 સાંસદોનો ટેકો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન DMK NDAનો ભાગ હતો.
BJP સંસદમાં બે તૃતીયાંશ બહુમતીના જાદુઈ આંકડાને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વાકાંક્ષી અને ચમત્કારિક મિશન પર આગળ વધી રહી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય તમિલનાડુમાં સત્તા પરથી દૂર કરાયેલા DMKને NDAમાં લાવવાનો છે. DMK પાસે 22 લોકસભા સાંસદો અને 8 રાજ્યસભા સાંસદો છે, તેમનો ટેકો જો BJPને મળી જતો હોય તો, તે સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની નજીક પહોંચી શકે છે.

મહિલા અનામત સંબંધિત સીમાંકન બિલ અને બંધારણીય સુધારા બિલ પર સંસદમાં તાજેતરમાં થયેલી ચર્ચા દરમિયાન, એ સ્પષ્ટ થઈ ગયું કે સાધારણ બહુમતી હોવા છતાં, BJP મોટા બંધારણીય ફેરફારો માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીથી થોડી દૂર રહી ગઈ હતી.
એક રાષ્ટ્ર, એક ચૂંટણી, સીમાંકન અને ન્યાયિક સુધારા જેવા મોટા ઐતિહાસિક નિર્ણયો કોઈપણ બંધારણીય અવરોધો વિના પસાર કરવા માટે, સરકારને લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે તૃતીયાંશ સભ્યોના સમર્થનની જરૂર છે.
NDA પાસે બહુમતી છે, પરંતુ હજુ પણ બે તૃતીયાંશ બહુમતી (360+ બેઠકો)થી દૂર છે. તેથી, આ સાંસદોનો ટેકો બે તૃતીયાંશ બહુમતી પ્રાપ્ત કરવાનું ખૂબ સરળ બનાવશે. તેથી, BJP કોઈ પણ રીતે DMKને સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે, તેના માટે સીધા હાથ મેળવવાને બદલે પડદા પાછળથી સમર્થન મેળવવા માટે કોશિશ ચાલુ છે.

