- Politics
- તમિલનાડુમાં DMK-AIADMK ગઠબંધનની અટકળો, શું વિજયને રોકવા માટે કટ્ટર વિરોધી એક સાથે આવશે?
તમિલનાડુમાં DMK-AIADMK ગઠબંધનની અટકળો, શું વિજયને રોકવા માટે કટ્ટર વિરોધી એક સાથે આવશે?
આ વખતે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીના આવેલા પરિણામોમાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુએ સૌને ચોંકાવ્યા. પશ્ચિમ બંગાળમાં ભાજપે એકતરફી શાનદાર જીત મેળવી, જ્યારે તામિલનાડુમાં બધા નિષ્ણાંતોની ભવિષ્યવાણી ખોટી પાડતા અભિનેતા વિજયની પાર્ટી તામિલનાડુમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે, પરંતુ તેને પણ સ્પષ્ટ બહુમત મળ્યું નથી. ત્યારે તમિલનાડુમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
નવી સરકારની રચનાને લઈને તમિલનાડુમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન, રાજ્યમાં DMK અને AIADMK જેવા કટ્ટર વિરોધી પક્ષો વચ્ચે સંભવિત ગઠબંધન અંગે અટકળો ચાલી રહી છે. આ અગાઉ, TVKના વડા વિજય લોકભવનમાં રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. વિજયે રાજ્યપાલને 112 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો. જોકે, રાજ્યપાલે 118 ધારાસભ્યોના સમર્થન પત્રની માંગ કરી, જેના કારણે વિજયે વધારાનો સમય માંગ્યો હતો.
તો VKCએ DMK સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે TVKની સરકાર બનાવવા માટે VCK વિજય સાથે જઇ શકે છે. સત્તામાં કોનો સાથ આપવાનો છે તેને નક્કી કરવા માટે VCK આજે બેઠક કરવાની હતી પરંતુ હવે DMK અને AIADMKના ગઠબંધનની અટકળો વચ્ચે VCKએ બેઠક રદ કરી દીધી છે. આ અગાઉ TVKના નિમંત્રણ છતા વામપંથી દળો અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પોતાનું સમર્થન આપવાની ના પાડી દીધી છે. AIADMKએ વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો છે. AIADMKએ કહ્યું કે, TVKને સમર્થન આપવા સાથે જોડાયેલા બધા સમાચાર ખોટા છે.
જો DMK અને AIADMKના આંકડાઓ પર નજર નાખીએ તો DMKએ ચુંટણીમાં 59 બેઠકો જીતી છે, જ્યારે AIADMKએ 47 બેઠકો પર જીત હાંસલ કરી છે. જો બંને પાર્ટીઓ ગઠબંધન કરે છે તો આંકડો 106 થઈ જશે, જે બહુમત 118ના આંકડાથી 12 બેઠક દૂર છે. એવામાં બંને કટ્ટર વિરોધી પાર્ટીઓએ સરકાર બનાવવા માટે અન્ય પાર્ટીઓનું સમર્થન લેવું પડશે.
નોંધનીય છે કે તમિલનાડુની ચૂંટણીમાં TVK 108 બેઠકો જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જોકે, તે 118 ધારાસભ્યોના બહુમતી આંકડાને પાર ન કરી શકી. 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં TVKએ 108 બેઠકો મેળવી. વિજય બે મતવિસ્તારમાંથી જીત્યા હોવાથી, જો તે એક બેઠક છોડી દેવાનો નિર્ણય લે, તો પક્ષની સંખ્યા ઘટીને 107 થઈ જશે.
પહેલાના અહેવાલો હતા કે વિજય 7 મેના રોજ પદના શપથ લેશે. તેને કોંગ્રેસ પક્ષનો પણ ટેકો છે. જોકે, સરકાર બનાવવા માટે જરૂરી 118 ધારાસભ્યોની સંખ્યાના અભાવે પરિસ્થિતિ ફસાતી નજરે પડી રહી છે. એવામાં, શપથ ગ્રહણ સમારોહ મુલતવી રાખવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે AIADMKની સ્થાપના 1972માં થઈ હતી. તેની શરૂઆત એવા સમયે થઈ જ્યારે એમ.જી. રામચંદ્રન (MGR)ને DMKએ સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ MGRએ પોતાની નવી પાર્ટી બનાવી જેને AIADMK નામ આપવામાં આવ્યું. આ પાર્ટી આગળ જઈને તામિલનાડુની રાજનીતીમાં એક મોટી તાકાતના રૂપમાં ઊભરી અને DMK સાથે તેની લાંબી રાજકીય સ્પર્ધા થઈ.

