- National
- વિજયનો ધર્મ શું? માતા હિન્દુ, પિતા ખ્રિસ્તી અને પોતે નમાજ પઢે છે; પરિણામો પહેલા મંદિરમાં પૂજા કરી હત...
વિજયનો ધર્મ શું? માતા હિન્દુ, પિતા ખ્રિસ્તી અને પોતે નમાજ પઢે છે; પરિણામો પહેલા મંદિરમાં પૂજા કરી હતી!
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી, થલાપતિ વિજય ફરી એકવાર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમની પાર્ટી, 'તમિલગા વેટ્ટી કઝગમ'એ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ રાજકીય સફળતા સાથે, લોકોને વિજયના અંગત જીવન વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે.
અભિનેતા વિજય થલાપતિએ તમિલનાડુમાં જબરદસ્ત વિજય મેળવ્યો. TVKએ થોડા જ સમયમાં તમિલનાડુની ચૂંટણીમાં સુનામી લાવી દીધી. અભિનેતા તરીકે વિજયની જેટલી ખ્યાતિ હતી, તેના કરતા રાજકારણમાં પ્રવેશ્યા પછી તેની ખ્યાતિ વધારે વધી ગઈ છે. દરેક વ્યક્તિ વિજય થલાપતિ વિશે વધુને વધુ જાણવા માંગે છે. વિજય થલાપતિની પત્ની કોણ છે? વિજય થલાપતિના કેટલા બાળકો છે? અને ત્યાં સુધી કે, તમિલનાડુના થનારા નવા CM વિજય કયા ધર્મના છે?
થલાપતિ વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમના નામમાં જોસેફના કારણે તેમના ધર્મની ઓળખ થઇ જાય છે. જો કે, તેમાં પણ એક વળાંક છે. વિજય થાલાપતિનો જન્મ એક એવા પરિવારમાં થયો છે, જે હિન્દુ અને ખ્રિસ્તી બંને માન્યતાઓનું પાલન કરે છે. હકીકતમાં તેમની માતા હિન્દુ છે અને તેમના પિતા ખ્રિસ્તી છે, તેથી તેમનો પરિવાર બંને ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે.
વિજયના પિતા S.A. ચંદ્રશેખર છે. તેઓ એક ખ્રિસ્તી છે અને તમિલ સિનેમામાં જાણીતા ફિલ્મ નિર્માતા છે. વિજયની માતા, શોભા ચંદ્રશેખર, એક હિન્દુ છે. વિજયની માતા એક પ્રખ્યાત ગાયિકા હતી અને ગાયક તરીકે ખૂબ જ સફળ કારકિર્દી રહી હતી. જોકે, S.A. ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા પછી તેમણે પોતાની ગાયકી કારકિર્દી છોડી દીધી હતી.
વિજયે અનેક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેના માતાપિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ અલગ અલગ ધર્મના હતા. જોકે, બંને સ્વતંત્ર હતા, તેથી લગ્નમાં કોઈ મોટી મુશ્કેલી ન આવી. તેમના લગ્ન પછી તેમનો જન્મ થયો હતો. વિજયે કહ્યું કે તેમના ઘરનું વાતાવરણ ક્યારેય એવું નહોતું, જ્યાં કોઈના પર ધાર્મિક સીમાઓ લાદવામાં આવતી હોય. કોઈના પર ધર્મ જબરજસ્તી નાખવામાં ના આવ્યો, તેમના ઉછેરના આ વાતાવરણે તેમને ધર્મ પ્રત્યેના પોતાના દ્રષ્ટિકોણને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વિજય મિશ્ર ધાર્મિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે. જો કે, તેમણે ક્યારેય જાહેરમાં પોતાને કોઈ એક ધર્મ સાથે ઓળખાવ્યા નથી. તેના બદલે, તેમણે કોઈ એક ધર્મ પ્રત્યેના તેમના પાલન કરતાં ઈશ્વરમાં તેમની શ્રદ્ધા પર સતત ભાર મૂક્યો છે. વિજય દરેક પૂજા સ્થળોની મુલાકાત લે છે અને તે બધામાં એક પ્રકારની આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. તે મંદિરોમાં પૂજા કરે છે, મસ્જિદોમાં નમાઝ પઢે છે, અને ચર્ચમાં જઈને પ્રાર્થના પણ કરે છે.
વિજયનો આ દ્રષ્ટિકોણ એક ઉદાર દ્રષ્ટિને દર્શાવે છે, એક એવો વિચાર કે જે, ધાર્મિક લેબલનું બંધન અથવા ઓળખાણ કરતાં આધ્યાત્મિકતાને વધુ મહત્વ આપે છે. વિજયનું જાહેર જીવન પણ આ સમાવેશી દ્રષ્ટિકોણને મજબૂત બનાવે છે. તે ઘણીવાર તેની માતા સાથે મંદિરોમાં જોવા મળે છે. તે ઘણીવાર પરંપરાગત હિન્દુ પ્રતીકો, જેમ કે ચંદનનો લેપ (તિલક) અથવા કપાળ પર રુદ્રાક્ષની માળા પહેરેલો જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે દિવસે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, તે દિવસે વિજય સવારે સૌથી પહેલા મંદિરમાં ગયા હતા અને ત્યાં તેમણે પૂજા કરી હતી. વિજયે એમ પણ કહ્યું છે કે, તેનો ઉછેર એક એવા વાતાવરણમાં થયો હતો જ્યાં તેને પોતાની આસ્થા અને વિશ્વાસ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. તેમણે આ વિચારને તેમના પરિવારમાં પણ આગળ ધપાવ્યો છે, અને ખાતરી કરી છે કે, તેમના બાળકો પણ બધા ધર્મો માટે આ જ પ્રકારના ખુલ્લાપણું અને આદર સાથે મોટા થાય.
થલાપતિ વિજયના મૂળ ભલે હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેમાં હોઈ શકે છે, પરંતુ તેઓ પોતાને કોઈ એક ધાર્મિક ઓળખ સુધી મર્યાદિત નથી રાખતા. તેના બદલે, તેઓ પોતાને એક એવા વ્યક્તિ તરીકે જુએ છે, જે ભગવાનમાં માને છે અને બધા ધર્મોનો સમાન રીતે આદર કરે છે.

