- National
- તામિલનાડુમાં 60 વર્ષથી બે જ પાર્ટી રાજ કરતી, વિજયે દોઢ વર્ષમાં આ રાજકીય ચક્ર કંઈ રીતે તોડ્યું?
તામિલનાડુમાં 60 વર્ષથી બે જ પાર્ટી રાજ કરતી, વિજયે દોઢ વર્ષમાં આ રાજકીય ચક્ર કંઈ રીતે તોડ્યું?
1991માં, ફિલ્મ 'ઇધયમ' રિલીઝ થઈ હતી. તેના કેટલાક ડાયલોગ્સ આ પ્રમાણે હતા... 'એપ્રિલ અને મેની આ ગરમીમાં, ક્યાંય હરિયાળી નથી... આ શહેર અને આ દુનિયા બધું અસ્તવ્યસ્ત છે, બધું કંટાળાજનક છે.' વર્ષોથી તમિલનાડુની હકીકત કંઇક આવી જ હતી.
હું જ્યારે પણ બાળપણમાં તમિલનાડુ ગયો, ત્યારે ત્યાં મને ફક્ત અમુક જ જોડીઓ નજરે પડતી હતી, AIADMK અને DMK, જયલલિતા અને M. કરુણાનિધિ, કમલ હાસન અને રજનીકાંત.
મારા માટે, તમિલનાડુની દુનિયા આ બે જોડીઓની આસપાસ જ ફરતી હતી. વિકલ્પો ખુબ ઓછા હતા, અને રાજકારણ અતિ કંટાળાજનક બની ગયું.
તમિલનાડુના લાખો યુવાનોની જેમ, મેં પણ જોયું કે કેવી રીતે આ બે પક્ષોએ લગભગ 60 વર્ષ સુધી વારાફરતી શાસન કર્યું. તમિલ ગૌરવ, સંસ્કૃતિ અને હિન્દી વિરોધી લાગણીઓ મારા બાળપણનો એક ભાગ બની ગઈ. મને વિશ્વાસ હતો કે તમિલનાડુની માનસિકતા હંમેશા અમારા 'થાથા-પાટી' (દાદા-દાદી) જેવી જ રહેશે, કઠોર, રૂઢિચુસ્ત, અને વ્યક્તિત્વની પૂજા કરવા વાળા.
એક તરફ જયલલિતાના પ્રભાવથી AIADMK ટકી રહ્યું હતું, અને બીજી તરફ કરુણાનિધિના નેતૃત્વ હેઠળનું DMK, જેણે ભાષા ચર્ચાને ફરીથી વ્યાખ્યાયિત કરી. મંદિરો અને પરંપરાઓની ભૂમિમાં આ નાસ્તિક પક્ષોએ કેવી રીતે પોતાના પગ જમાવ્યા તે હંમેશા મને પરેશાન કરી રહી હતી.
બે દ્રવિડ પક્ષો ભ્રષ્ટાચાર અને 'મોટું વ્યક્તિત્વ' સાબિત કરવા માટેની સ્પર્ધામાં સતત એકબીજાને પછડાતા રહ્યા. તમિલ ઓળખનો સાચો 'કોપીરાઇટ' કોના હાથમાં હતો? મને આ ક્યારેય સમજાયું નહીં.
મારી શાળાની રજાઓ એપ્રિલના અંતથી મેના અંત સુધી ચાલતી હતી. મારા પિતા આખા પરિવારને હંમેશા સ્લીપર ક્લાસમાં ચેન્નાઈ લઈ જતા. મારા દાદા દક્ષિણ રેલ્વેના ભૂતપૂર્વ જનરલ મેનેજર હતા, પરંતુ મારા પિતાએ ક્યારેય લાભોનો લાભ લીધો નહીં.
મુંબઈથી ચેન્નાઈ સુધીની બે દિવસની થકવી નાખતી મુસાફરી, ત્યારપછી ચેન્નાઈની ઘાતક ગરમી અને ભેજ. અમારું ઘર વેલાચેરી મતવિસ્તારના ભાગ અડયારમાં હતું. તે AIADMKનો ગઢ હતો, અને ત્યાં ફક્ત જયલલિતા જ મહત્વના હતા.
વીજળી કાપ, માળખાગત સુવિધાઓ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ગૌણ હતા. 'સર્વોચ્ચ નેતા' જે કંઈ કહે તે જ કાયદો હતો. તમિલ ઓળખના આડમાં લોકોની વ્યવહારિક સમસ્યાઓને હંમેશા પાછળ ધકેલી દેવામાં આવતી હતી. પરિવર્તન અત્યંત જરૂર હતું, પરંતુ સમસ્યા એ હતી કે કોઈ વ્યવહારુ વિકલ્પ દેખાતો ન હતો.
દક્ષિણ ફિલ્મ સ્ટાર્સ હંમેશા ભારતીય રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે. MGR, કરુણાનિધિ, જયલલિતા અને NT રામા રાવ, આ બધા મેગાસ્ટાર જે પડદા પરથી બહાર આવ્યા અને રાજકારણમાં પોતાની જગ્યા બનાવી લીધી. જ્યારે 'થલાપતિ' વિજય રાજકારણમાં પ્રવેશ્યા, ત્યારે એવું લાગતું હતું કે, ઇતિહાસ ફરીથી પોતાનું પુનરાવર્તન કરશે. કમલ હાસન જેવા અનુભવી કલાકારોએ પણ 'મક્કલ નીધી મૈયમ' દ્વારા આશાઓ જગાવી હતી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા.
આ ચૂંટણીમાં કોઈએ વિજયને તક આપી ન હતી. બધા એક્ઝિટ પોલે તેમને ફક્ત 0 થી 6 બેઠકો આપી હતી. પરંતુ શું શાનદાર બદલાવ આવ્યો! ચેન્નાઈથી મદુરાઈ અને કોંગુ નાડુ સુધી, વિજયે તેમની પહેલી જ ચૂંટણીમાં બધાને પાછળ છોડી દીધા. 'ઘિલ્લી' બૉય, જે 'માસ્ટર' બન્યો, હવે એક સાચા 'જન નાયક' તરીકે બહાર આવ્યો છે.
વિજયનો આ વિજય ઐતિહાસિક છે, કારણ કે તેણે તમિલનાડુના 60 વર્ષ જૂના વંશપરંપરાગત અને બે-પક્ષીય માળખાને જડથી ઉખેડી નાખ્યું છે. 'વેતૈકરણ' (શિકારી) હવે રાજકારણમાં સૌથી તેજસ્વી તારલો બની ગયો છે.
વિજયના પક્ષનું પ્રતીક 'સીટી' છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રખ્યાત સૂત્ર 'સીટી પોડુ' છે. હવે વફાદારી બદલવાનો સમય આવી ગયો છે, થાલા ધોનીથી થાલાપતિ વિજય તરફ. તમિલનાડુના આકાશમાં પરિવર્તનની એક નવી અને ધારદાર લાઈન દોરાઈ ગઈ છે. આ વિજય ફક્ત ચૂંટણી વિજય નથી, પરંતુ એક નવા યુગની શરૂઆત છે.

