- Gujarat
- ‘ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ થાય’, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો લવારો, જુઓ વીડિયો
‘ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ માસિયાઈ ભાઈ થાય’, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો લવારો, જુઓ વીડિયો
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓને લઈને અવરનવાર વિવાદ છેડાતો રહે છે. ક્યારેક તેમના પુસ્તકોના લખાણને લઈને તો ક્યારેક સ્વામીઓના નિવેદનને લઈને. આ વખતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના નિવેદનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે ગણપતિ બાપ્પા અને ઘનશ્યામ મહારાજને માસિયાઈ ભાઈ કહી દીધા.
સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓના લગ્ન ધર્મદેવ સાથે થયા હતા અને એક પુત્રીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા. આ તર્કના આધારે તેમણે દાવો કર્યો કે, ભક્તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. જો તેઓ સગી બહેનો હોય તો તેમના સંતાનો એટલે કે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈઓ ગણાય.
સાધુ સમાજમાં એવી પણ ચર્ચા છે કે જો સમયાંતરે આવા નિવેદનો અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સનાતન ધર્મના સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ નિવેદનની જાણ થતા જ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રના અગ્રણી સંત અને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વામિનારાયણ સંતની બુદ્ધિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે આ પ્રકારના નિવેદનો પાયાવિહોણા અને શાસ્ત્ર વિરુદ્ધના છે.
ઇન્દ્રભારતીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ભગવાન ગણપતિ તો અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ભગવાન ભોળાનાથના લગ્ન થયા ત્યારે પણ ગણપતિજી ત્યાં હાજર હતા, તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. બીજી તરફ ઘનશ્યામ મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવને હજુ માંડ 200-250 વર્ષ જેટલો સમય થયો છે. આવી સ્થિતિમાં અનાદિ દેવને અર્વાચીન સમયના સંત સાથે માસિયાઈ ભાઈ તરીકે સરખાવવા તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે.’
ઇન્દ્રભારતી બાપુએ વધુમાં કહ્યું કે આવા લોકો ક્યાંથી આવા તર્ક શોધી લાવે છે તે સમજવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે આવા પાયાવિહોણા નિવેદનો સાંભળીને મર્યાદા ભૂલી જવાય તેવી સ્થિતિ પેદા થાય છે. સનાતન ધર્મના મૂળભૂત પાયા અને દેવી-દેવતાઓના સ્વરૂપ સાથે છેડછાડ કરવી એ અક્ષમ્ય અપરાધ સમાન છે. હાલમાં આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના તે સંત પાસે માફીની માંગ કરી રહ્યા છે.

