- Gujarat
- શું ડે. સ્પીકર પૂર્ણેશ મોદી તેમના મતક્ષેત્રની જનતા અને કાર્યકર્તાઓની લાગણી સાચવવામાં નિષ્ફળ છે?
શું ડે. સ્પીકર પૂર્ણેશ મોદી તેમના મતક્ષેત્રની જનતા અને કાર્યકર્તાઓની લાગણી સાચવવામાં નિષ્ફળ છે?
ભાજપનો ગઢ કહેવાતી સુરતની પશ્ચિમ વિધાનસભાના મતદારો હંમેશા ખોબલે ને ખોબલે ભાજપને વોટ આપીને વધાવી લે છે. વર્ષ 2007થી આજ સુધી 4 વાર વિધાનસભાની ચૂંટણીઓમાં 75 ટકાથી વધુ મતો સાથે જીત અપાવે છે. હાલમાંજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ના પરિણામોમાં પણ પશ્ચિમ વિધાનસભાના મતદારોએ ભાજપને મત આપી ઉમેદવારોને વિજયી બનાવ્યા છે.

કાશીરામભાઈ રાણા, ફકીરભાઈ ચૌહાણ અને કિશોરભાઈ વાંકાવાલા જેવા અનેક પીઢ અને પાયાના કાર્યકર્તાઓના સમયથી અહીં ભાજપની લોકચાહના રહી છે. કહેવાય છે કે અહીં ભાજપ રસ્તે ચાલતા અજાણ્યાની ઉમેદવારી નોંધાવી દે તો પણ પ્રજા આંખ મીચીને PM મોદી ની ચાહના ધ્યાને રાખી અને ભાજપ કમળનેજ મત આપે છે! હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ એવું જ થયું છે. પરંતુ સવાલ એ છે કે આ જીત પાછળ સ્થાનિક નેતૃત્ત્વનો ફાળો કેટલો? આ વખતે પાર્ટીએ સ્થાનિક ધારાસભ્યોના કહેવા પર ઉમેદવારોની ટિકિટ આપી હતી. લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ વિસ્તારના લોકોમાં ભારે રોષ હોવા છતાં હાલની ચૂંટણીઓમાં પણ હમેશાની જેમ PM નરેન્દ્ર મોદી અને ભાજપના કમળને વોટ મળ્યા છે નહીં કે સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીના કાર્યો કે લોકચાહના. તેની પાછળના ચોક્કસ કારણો અને ઘટનાઓ છે. આ વિધાનસભા વિસ્તારમાં 4 વાર ચૂંટણીઓ યોજાઇ છે. પહેલી ચૂંટણી કિશોર વાંકાવાલા જીત્યા હતા. તેમના સ્વર્ગવાસ પછી વર્ષ 2013માં પૂર્ણેશ મોદીને પેટાચૂંટણીમાં ટિકિટ અપાઇ. છેલ્લા 13 વર્ષથી પૂર્ણેશ મોદી અહીં થી ધારાસભ્ય છે. તેઓ અહીંથી જીતીને મંત્રી બન્યા. પછી અચાનક રાજીનામું આપ્યું. ત્રીજીવાર ધારાસભ્ય બન્યા અને હાલ ડે. સ્પીકરનું પદ શોભાવે છે. પરંતુ આ વિસ્તારની જનતા તેમનાથી નારાજ કેમ છે.

અહીં જનતા ક્યાંક નારાજ છે...
ગોરાટ હનુમાનજી મંદિર અને અશાંતધારાનો ઉકળતા ચરુ જેવો વિષય ધારાસભ્ય અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી શાંત પાડી શક્યા નથી. અશાંતધારા સંદર્ભે કેટલાક ચોક્કસ વગદાર લોકોને લાભ અપાયાની ચર્ચાઓ ભાજપની હિન્દુત્વની છબિને નુકસાન પહોંચાડી રહી છે. વિકાસના કામ કોઈ ખોટ રહી હોય તો અલગ વાત કહી શકાય પરંતુ અહીં મુદ્દો અને આસ્થાનો છે સાથે સાથે ભાજપ પ્રત્યેની હિદુત્વની વિશ્વસનીયતાની લાગણીનો પણ કહી શકાય જે સાચવવામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી સદંતર નિષ્ફળ નીવડ્યા છે. તેનો પુરાવો એ છે કે પ્રચાર દરમિયાન જ્યારે પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા આ વિસ્તારમાં જ્યારે ગયા હતા ત્યારે લોકોએ તેમને રીતસર ભાગવા મજબૂર કર્યા હતા.
ઉમેદવાર અને સમર્થકોએ મારામારી કરી હોવાનો આરોપ
આ વિસ્તારમાં જ્યારે પ્રચાર માટે ઉમેદવારો ગયા ત્યારે કેટલીક સોસાયટીઓના મતદારોએ તેમને અંદર આવવાની ના પાડી દીધી. છતાં તેઓ બળજબરીથી દરવાજાને ધક્કો મારીને અંદર ગયા. અંદર જઇને મહિલાઓએ તેમનો વિરોધ કર્યો તો મહિલાઓ સાથે મારામારી કરી. કેટલીક મહિલાઓએ તો તેમના કપડા ફાડી નાંખ્યા હોવાનો આરોપ કર્યો. પોલીસ દોડી ગઇ. મામલો શાંત પાડવો પડ્યો. આવી સ્થિત કેમ આવી તેના કારણોમાં પાર્ટીએ ઊંડા ઉતરવું જરૂરી છે. કદાચ ગુજરાતમાં આ એકમાત્ર કિસ્સો હશે જ્યારે ઉમેદવારોએ અને લોકો વચ્ચે મારામારી થઇ.

અહીં કાર્યકર્તાઓ પણ નારાજ છે...
ધારાસભ્ય પૂર્ણેશ મોદી આમ તો સંગઠનના ઘડતર પામેલ કાર્યકર્તા રહ્યા છે પરંતુ જ્યારે જ્યારે સત્તા ની નજીક રહ્યા ત્યારે ત્યારે તેમના વિશ્વાસુ કાર્યકર્તાઓ તેમનાથી દૂર થયા હોવાની ચર્ચા પણ તેમના જ કહેવાતા કાર્યકર્તાઓમાં હાલમાં છે. સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં પણ અહીં પક્ષમાં આંતરિક અસંતોષ અને નિષ્ક્રિયતા નજરે ઊડીને આંખે ચડી છે. ભાજપના મોવડીમંડળ ના ધ્યાનમાં પણ આવ્યું હોવાના સંકેત કાર્યકર્તાઓની ચર્ચામાં છે.
આમ સરેરાશ તારણ એવું કાઢી શકાય કે પૂર્ણેશભાઈ મોદીની પોતાના જ મતવિસ્તારમાં સક્રિયતા અને લોકપ્રિયતા ઘટી છે. પક્ષના કાર્યકર્તાઓમાં પણ તેમના પ્રત્યેની લાગણીઓમાં ઘટાડો થયો છે. હવે જોવાનું રહ્યું કે આ સમીકરણો આથે પૂર્ણેશ મોદીના વર્ષોના અનુભવ અને પક્ષ પ્રત્યેના સમર્પણ ને આવનારા સમયમાં ભાજપ કઈ રીતે સંતુલિત કરશે.

