- National
- AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?
તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ પોતાના એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ આસામ અને પુડ્ડુચેરીમાં ભાજપ, કેરળમાં કોંગ્રેસ અને તામિલનાડુમાં ડીએમકેની સરકાર બનવાની વાત કરે છે. ઘણી બધી એજન્સીઓ પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બનવાની વાત કરે છે. પરંતુ એક્સિસ માય ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠત એજન્સી કે જેનો સફળતાનો દર 80 ટકા જેટલો છે તેણે બંગાળનો ડેટા જાહેર કરવાની ના પાડી દીધી છે. એક્સિસના આ નિર્ણય પછી તમામ આવી એજન્સીઓ પર સવાલ ઉઠી રહ્યા છે કે આ કોઇ મોટું કૌભાંડ તો નથી ને.
બીજી એજન્સીઓએ જ્યાં 29 તારીખે સાંજે 7 વાગ્યા પહેલા જ પોલ જાહેર કરવાની શરૂઆત કરી દીધી ત્યાં એક્સિસે કહ્યું કે તેઓ એક દિવસ પછી જાહેર કરશે. પછી બીજા દિવસે એવી જાહેરાત કરી કે તેઓ ડેટા જાહેર નહીં કરે કારણ કે 70 ટકા જેટલા મતદારોએ તેમને જવાબ આપવાની ના પાડી દીધી છે. તો હવે સવાલ એ થાય છે કે જો આટલી માટે એજન્સી કે જેનો સફળતા નો દર 80 ટકા જેટલો છે તે બંગાળના પોલ જાહેર કરવાથી ડરે છે તો બાકીની એજન્સીઓના ડેટા શું ખોટા છે. એક્સિસ સાથે લોકોએ વાત કરવાની ના પાડી દીધી તો બીજી એજન્સીઓએ કેવી રીતે લીધો હશે. આ અંગે એક્સિસના માલિક પ્રદીપ ગુપ્તા કહે છે કે અમે મતદારોને રૂબરૂ જઇને પૂછીએ છીએ જ્યારે બીજી એજન્સીઓ ફોન કે ઇમેલ દ્વારા પૂછે છે. હવે સવાલ એ છે કે જો રૂબરુમાં લોકો વાત કરવાની ના પાડી દેતા હોય તો ફોન પર જવાબ આપે ખરા..આ ઘટના પછી એક્ઝિટ કે ઓપિનિયન પોલ કરતી એજન્સીઓ પર મોટો પ્રશ્નાર્થ છે. શું તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.

આપણે ભારતમાં એકિઝટ પોલ્સની શરૂઆતની વાત કરીએ તો એનડીટીવી વાળા પ્રણવ રોય, યોગેન્દ્ર યાદવ સહિત બીજા લોકોએ આની શરૂઆત કરી હતી. પરંતુ તેમણે પછી આ કામ બંધ કરી દીધું. સીએસડીએસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા જે પહેલા બેઠકોની સંખ્યા જાહેર કરતી હતી તેણે પણ માત્ર મતોની ટકાવારી આપવાનું શરૂ કરી દીધું. આ પાછળનું કારણ એ હતું કે ભારતમાં એકિઝટ પોલ કરવું ખૂબ અઘરૂં છે. લોકોમાં એટલી વિવિધતા છે કે તમારી ખોટા પડવાની શક્યતા વધારે છે. પછી બીજી નવી એજન્સીઓ માર્કેટમાં આવી. આ એજન્સીઓએ ચોક્કસ આંકડા જાહેર કરવાને બદલે રેન્જ આપવાનું શરૂ કર્યું. આ રેન્જ પણ ખૂબ મોટી હોય છે. પહેલાની એજન્સીઓ એ પણ જાહેર કરતી કે કેટલા મતદારો પર સરવે કર્યો, કયા પ્રકારના મતદારો હતા, કેટલો સમય સરવે ચાલ્યો. કેટલા સવાલ પૂછાયા. તમામ પ્રકારની માહિતી આપતી હતી પરંતુ હવે માત્ર સીટોના આંકડા અપાય છે. પહેલા ઘણીબધી ન્યૂઝ ચેનલ્સ એક્ઝિટ પોલ કરાવતી હતી પરંતુ તેમણે પણ ધીરે ધીરે બંધ કરી દીધું. હાલ બંગાળમાં તો કોઇપણ નેશનલ ન્યૂઝ ચેનલે એક્ઝિટ પોલ એજન્સી રોકી નથી. માર્કેટમાં નવી આવેલી એજન્સીઓ હવે ન્યૂઝ ચેનલ્સને પોતે મફતમાં આંકડા આપે છે. ન્યૂઝ ચેનલો તે જાહેર કરે છે. હવે આપણે સમજી શકીએ છીએ કે સંખ્યાબંધ એજન્સીઓ હવે પોતે જ પોલ કરી રહી છે.

હવે સવાલ એ થાય છે કે કે કોઇપણ એક્ઝિટ કે ઓપિનિયન પોલ કરવા વ્યક્તિદીઠ 200થી 300 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઓછામાં ઓછા માત્ર 10000 લોકોનો સરવે કરો તો પણ રૂ. 20થી 30 લાખનો ખર્ચ થાય. હવે આ એજન્સીઓ આટલો મોટો ખર્ચ ચેનલોને મફતમાં આંકડા આપવા માટે તો નહીં જ કરતી હોય. કારણ કે આ સરવે કરીને તેમને કોઇ નફો તો થતો નથી. ન્યૂઝ એજન્સીઓ તો જાહેરાત કરીને કમાઇ લે. આ એજન્સીઓને શું ફાયદો.
જાણકારો કહે છે કે જુદી જુદી રાજકીય પાર્ટીઓ ચૂંટણી પહેલા આ એજન્સીઓ પાસે પોતાના માટે સરવે કરાવતી હોય છે. તેમાં કંઇ ખોટું પણ નથી. કોઇપણ પાર્ટી મતદારોનો મિજાજ જાણવા આ કરાવી શકે છે. પરંતુ કૌભાંડ ત્યારે શરૂ થાય છે જ્યારે આ એજન્સીઓ રાજકીય પાર્ટીઓ માટે જે સરવે કરે છે તેમાં થોડા આંકડા આમ-તેમ કરીને તેને એક્ઝિટ પોલ તરીકે બતાવે છે. આ આંકડા તેઓ ન્યૂઝ ચેનલોને મફતમાં આપે છે. ન્યૂઝ ચેનલો પણ ટીઆરપી માટે આ આંકડા જાહેર પણ કરી દે છે. પરંતુ આ આંકડા સાચા નથી હોતા, તેમાં ઘાલમેલ હોય છે. ખરેખર તો એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો મળીને આપણને મૂર્ખ બનાવે છે. આ ઉપરાંત એક્ઝિટ પોલના આંકડાનો ઉપયોગ રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકરોનો જોશ જાળવી રાખવા માટે પણ કરે છે. દાખલ તરીકે જો એક્ઝિટ પોલ એવું બતાવતા હોય કે કોઇ પાર્ટી જીતી રહી છે તો તેની અસર કાર્યકરો અને મતગણતરીમાં જોડાયેલા સરકારી સ્ટાફ પર પણ પડે છે. તેઓ મતગણતરી વખતે જીતનારી પાર્ટી માટે સોફ્ટ કોર્નર રાખતા થઇ જાય છે. જો એક્ઝિટ પોલમાં જીતનારી પાર્ટીને થોડાક મતો ખૂટતા હોય તો સરકારી સ્ટાફ તેમને એક યા બીજી રીતે મદદ પણ કરી દે છે. એક્ઝિટ પોલનો બીજો ઉપયોગ સટ્ટો રમાડનારા કરે છે. આ ઉપરાંત શેર બજારમાં ખેલ કરનારા લોકો પણ એક્ઝિટ પોલના આંકડાનો ઉપયોગ કરતા હોય છે. આમ ભારતમાં એક્ઝિટ પોલ એક કૌભાંડ બની ગયું છે.

તો શું એક્ઝિટ પોલ ન કરવા જોઇએ. ખરેખર તો એક્ઝિટ પોલ આંકડાશાસ્ત્ર આધારિત એક વિજ્ઞાન છે. તેના કેટલાક નિયમો પણ છે. પરંતુ ભારતમાં એવી સ્થિતિ છે તે સરવે કરનારી એજન્સીઓ પર દેખરેખ રાખે તેવી કોઇ સંસ્થા નથી. જો કોઇ ખોટી રીતે સરવે કરતું હોય કે ખોટા આંકડા જાહેર કરતું હોય તો તેને અટકાવી શકાતું નથી. હવે એવી માગ ઉઠી રહી છે કે તમામ એજન્સીઓએ પોતાના તમામ આંકડા જાહેર કરવા જોઇએ. તેઓ કઇ મેથોડોલોજી ઉપયોગમાં લે છે તે જણાવવું જોઇએ. બધાએ મળીને કોઇ એસઓપી જાહેર કરવી જોઇએ. તો જનતાને મૂર્ખ બનાવવાથી રોકી શકાશે.

