- Tech and Auto
- બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી
એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતે સ્પષ્ટ કર્યું છે કે, નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનું કોઈ ભવિષ્ય નથી. આનો અર્થ એ છે કે, આખી રમત હવે પુરી રીતે બદલાઈ જવાની છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોનો યુગ ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે.

નવી દિલ્હીમાં થયેલા બસવર્લ્ડ કોન્ક્લેવ 2026ના આયોજનમાં બોલતા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, 'આ પરંપરાગત ઇંધણ (પેટ્રોલ અને ડીઝલ) પર ચાલતા વાહનોનું નજીકના ભવિષ્યમાં કોઈ ભવિષ્ય નથી.' તેમણે ઓટો ઉદ્યોગને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, હવે ઝડપથી સ્વચ્છ અને સસ્તા ઇંધણ તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે.
નિતિન ગડકરીએ ઓટોમેકર્સને શક્ય તેટલી વહેલી તકે બાયોફ્યુઅલ અને અન્ય વૈકલ્પિક ઇંધણ તરફ વળવા અપીલ કરી. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ માત્ર મોંઘા જ નથી પણ દેશ માટે એક ગંભીર સમસ્યા પણ બની રહ્યા છે. ગડકરીએ કહ્યું કે, ભારત દર વર્ષે મોટા પ્રમાણમાં અશ્મિભૂત ઇંધણની આયાત કરે છે, જે દેશના અર્થતંત્ર પર દબાણ લાવે છે. આ ઉપરાંત, પ્રદૂષણ પણ ઝડપથી વધી રહ્યું છે. તેમણે આને અર્થતંત્ર અને પર્યાવરણ બંને માટે એક મોટો પડકાર ગણાવ્યો.

કેન્દ્રીય મંત્રીના મતે, પરિવહન ક્ષેત્રે હવે સસ્તું, પ્રદૂષણમુક્ત અને સ્વદેશી ઉકેલો અપનાવવા પડશે. તેમણે કહ્યું કે હાઇવે અને શહેરોમાં ગતિશીલતામાં ઝડપી વધારા સાથે, એક મજબૂત અને કાર્યક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા આવશ્યક છે. ગડકરીએ હાઇડ્રોજનને ભવિષ્યનું ઇંધણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રમાં સંશોધન મહત્વપૂર્ણ છે, અને આ દિશામાં કામ પણ શરૂ થઈ ગયું છે. દેશમાં અનેક રૂટ પર હાઇડ્રોજન સંચાલિત ટ્રક અને બસોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
https://twitter.com/nitin_gadkari/status/2049018671956475943
ગડકરીએ બસોની ગુણવત્તા અને સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મુસાફરોની અપેક્ષાઓ હવે બદલાઈ રહી છે અને તેઓ વધુ આરામ અને સલામતીની માંગ કરે છે. તેથી, બસ ડિઝાઇન અને ઉત્પાદન વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવા જોઈએ. તેઓ કહે છે કે હાલમાં, દેશમાં પ્રતિ 1,000 લોકો દીઠ માત્ર બે જ બસો છે, જે વૈશ્વિક સ્તરે આ આંકડો 8 બસ નો છે.
ગડકરીના મતે, આ વિસંગતતા સ્પષ્ટપણે ભારતમાં બસની તીવ્ર અછત દર્શાવે છે, અને આ ક્ષેત્રમાં ખુબ વધારે વિકાસની સંભાવના છે. તેમણે બતાવ્યું કે, હાલમાં દેશમાં વાર્ષિક આશરે 70,000 બસોનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ આશરે રૂ. 35,000 કરોડના ટર્નઓવરનો ધંધો કરે છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આગામી 3 વર્ષમાં ફક્ત ઇલેક્ટ્રિક બસોની માંગ 150,000 યુનિટ સુધી પહોંચી શકે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે EV બસ સેગમેન્ટ ઝડપથી વિકાસ પામવા માટે તૈયાર છે, જે કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ તક રજૂ કરી રહ્યું છે.

