- National
- કોકરોચનો ઉદ્ભવ 2100 વર્ષ પહેલા ભારતમાં થયો, શંકરાચાર્યે પરિવર્તનના પ્રતીક ગણાવ્યા
કોકરોચનો ઉદ્ભવ 2100 વર્ષ પહેલા ભારતમાં થયો, શંકરાચાર્યે પરિવર્તનના પ્રતીક ગણાવ્યા
હાલમાં કોકરોચ શબ્દે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યંકાતે બેરોજગારો યુવાનોને કોકરોચનો દરજ્જો આપતા કેટલાક યુવાનોએ કોકરોચ જનતા પાર્ટી બનાવી દીધી. તેની સાથે ઇન્ટાગ્રામ પર 50 લાખથી વધુ યુવાનો જોડાઇ ગયા. આ પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે કોકરોચ દુનિયામાં સૌથી જૂના જીવ છે જે અણુબોંબના હુમલાને પણ સહન કરી શકે છે. આપણે થોડાક વૈજ્ઞાનિક અભ્યાસો અને હિન્દુ ધર્મમાં તેના ઉલ્લેખો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.
આમ તો કોકરોચના ઘણા જુદા જુદા પ્રકાર છે પરંતુ તેમાં જર્મન કોકરોચ સૌથી વધુ વિસ્તારોમાં જોવા મળે છે. જર્મન કોકરોચનો ઇતિહાસ જોઇએ તો વર્ષ 2024માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ DNA અભ્યાસ અનુસાર, “જર્મન કોકરોચ” જેનું વૈજ્ઞાનિક નામ Blattella germanica છે, તેનો ઉદ્ભવ લગભગ 2100 વર્ષ પહેલાં ભારત અને મ્યાનમાર વિસ્તારમાં થયો હતો. આ પ્રજાતિ જંગલી એશિયન કોકરોચમાંથી વિકસિત થઈ. માણસ જેમ જેમ ખેતી કરતો ગયો તેમ તે માણસની સાથે રહેવા લાગી. કારણ કે માણસે ખેતી કરીને ખોરાકનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. આ સંગ્રહ કરાયેલા ખોરાકની સાથે તે રહેવા લાગ્યા.

ખેતીનો વિકાસ થયો ત્યારપછી માણસ વેપાર કરવા લાગ્યો. દૂર દૂર સુધી જવા લાગ્યો. એટલે આ કોકરોચ પહેલા ભારતીય ઉપખંડમાંથી અરબ દેશો તરફ વેપારીઓની સાથે પહોંચી ગયા. અરબ દેશોમાં ગયા ત્યારપછી તેઓ યૂરોપ અને અમેરિકા સુધી પહોંચી ગયા. આમ, ભારતીય ઉપખંડમાં પેદા થયેલા આ કોકરોચ આખી દુનિયામાં પહોંચી ગયા. લગભગ 1200 વર્ષ પહેલાં ઇસ્લામિક શાસનકાળ દરમિયાન વેપાર માર્ગો મારફતે તે પશ્ચિમ એશિયામાં પહોંચ્યો. ત્યારબાદ લગભગ 390 વર્ષ પહેલાં ડચ અને બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના જહાજો દ્વારા યુરોપ અને પછી વિશ્વના અન્ય ભાગોમાં ફેલાયો.
ભારતીય સનાતની હિંદુ પરંપરામાં જુદા જુદા દેવી દેવતાઓના વાહનો કોઇને કોઇ પ્રાણી છે પરંતુ કોકરોચ કોઇનું વાહન નથી પરંતુ તેનો ઉલ્લેખ જરૂર જોવા મળે છે. પ્રાચીન સંસ્કૃત વ્યાકરણ અને મનુસ્મૃતિ જેવા ધાર્મિક ગ્રંથોમાં કોકરોચને “તૈલપાયિક” (Tailapayika) તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે — “તેલ પીનાર જીવ”.

હિંદુ માન્યતા મુજબ આત્મા પોતાના કર્મો અનુસાર જુદા જુદા યોનિમાં જન્મ લે છે. કેટલાક પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જે વ્યક્તિ દીવાના તેલની ચોરી કરે છે, તે આગામી જન્મમાં રાત્રિચર કોકરોચ તરીકે જન્મ લે છે.
આદિ શંકરાચાર્યના વિવેકચૂડામણી જેવા વેદાંત ગ્રંથોમાં કોકરોચનો ઉપયોગ આધ્યાત્મિક પરિવર્તનના રૂપક તરીકે થાય છે. તે બતાવે છે કે ગાઢ એકાગ્રતા અને પરિસ્થિતિના પ્રભાવથી જીવ પોતાની અવસ્થામાં સંપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.
જસ્ટિસ સૂર્યકાંતે ભલે કોકરોચને ઉતારી પાડીને બેરોજગારો સાથે સરખાવ્યા પરંતુ ભારતીય સનાતન પરંપરામાં દરેક જીવને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ચારધામોમાં જેનો સમાવેશ થાય છે તે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિર ખાતે એક અનોખી પરંપરા જોવા મળે છે. ઐતિહાસિક માન્યતા મુજબ ભગવાનને મધ્યાહ્ન ભોગ અર્પણ કરતા પહેલાં તૈયાર થતી રસોઈમાંથી એક નાનો ભાગ પ્રતીકાત્મક રીતે મંદિરના છુપાયેલા જીવજંતુઓ અને કોકરોચ માટે સમર્પિત કરવામાં આવે છે.

