- National
- કાકડીની ખેતી માટે પોતાના જ પરિવારને 99 લાખની સબસિડી આપનાર કેન્દ્રીયમંત્રીએ પલટી કેમ મારી?
કાકડીની ખેતી માટે પોતાના જ પરિવારને 99 લાખની સબસિડી આપનાર કેન્દ્રીયમંત્રીએ પલટી કેમ મારી?
સંસદીય રાજકારણ અને નૈતિક ધોરણો વચ્ચે ઘણીવાર વિવાદો ઉભા થાય છે, પરંતુ કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ એક નવો દાખલો બેસાડ્યો છે. તેમણે પોતાના મંત્રાલય હેઠળ કાકડીની ખેતી માટે મંજૂર કરાયેલ રૂ. 99 લાખની ખુબ મોટી સબસિડી પુરેપુરી પરત કરી દીધી છે. આ વાત લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબ દરમિયાન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ સંસદમાં સરકારને પૂછ્યું હતું કે, શું છેલ્લા 5 વર્ષમાં રાષ્ટ્રીય બાગાયત બોર્ડની યોજનાઓ હેઠળ કોઈ વર્તમાન કેન્દ્રીય મંત્રી, સાંસદ અથવા તેમના પરિવારના સભ્યોને સબસિડીનો લાભ મળ્યો છે. આ પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુરે ગૃહમાં જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય બાગાયત બોર્ડની યોજનાઓ હેઠળ, પાત્ર ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને વાણિજ્યિક બાગાયત, પોલીહાઉસ ખેતી અને કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં, રાજસ્થાનના BJPના સાંસદ લુમ્બારામને 2025માં સબસિડી માટે મંજૂરી આપવામાં આવી હતી, અને અજમેરના સાંસદ અને વર્તમાન કૃષિ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને 2026માં સબસિડી માટે મંજૂરી આપવામાં આવી હતી.'
રામનાથ ઠાકુરે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, ભગીરથ ચૌધરીએ પોતે મંત્રાલયને જાણ કરી હતી કે, તેમણે મંજૂર સબસિડીની સંપૂર્ણ રકમ સંબંધિત બેંકમાં પાછી જમા કરાવી દીધી છે. આ પછી, સરકારે સંબંધિત બેંકને રાષ્ટ્રીય બાગાયત બોર્ડના ખાતામાં રકમ પાછી ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભગીરથ ચૌધરીને તેમના પોતાના મંત્રાલયની યોજના હેઠળ કાકડી પોલીહાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 99 લાખની સબસિડી મળી હતી. આ પછી, તેમણે નૈતિક ચિંતાઓ અને હિતોના સંઘર્ષને ટાળવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું.
સંસદમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાષ્ટ્રીય બાગાયત બોર્ડના વર્તમાન નિયમોમાં કોઈ ચોક્કસ જોગવાઈ અથવા 'રિક્યુસલ ક્લોઝ' નથી જે જાહેર સેવકો, સાંસદો અથવા તેમના પરિવારના સભ્યોને અરજી કરવાથી અટકાવે છે. આ યોજના ટામેટાં, કેપ્સિકમ અને કાકડી જેવા પાકોના વાણિજ્યિક બાગાયત અને સંરક્ષિત વાવેતરને પ્રોત્સાહન આપવા માટે પારદર્શક રીતે અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મહત્તમ 50 ટકા સબસિડી આપવામાં આવે છે.
નિયમો હેઠળ મળવા પાત્ર હોવા છતાં, સ્વેચ્છાએ પોતાના વિભાગમાંથી નાણાકીય લાભો છોડી દેવા અને સંપૂર્ણ રકમ પરત કરવી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

