- National
- હવે મૃત્યુથી સુંદર કંઇ નથી, પૂર્વ મહિલા પ્રોફેસરે કેમ ઇચ્છા મૃત્યુની માગ કરી?
હવે મૃત્યુથી સુંદર કંઇ નથી, પૂર્વ મહિલા પ્રોફેસરે કેમ ઇચ્છા મૃત્યુની માગ કરી?

દિલ્હી યુનિવર્સિટીની એક પૂર્વ મહિલા પ્રોફેસરે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. તેણીએ પોતાની ફેસબુક વોલ પર લાંબુ લખાણ લખીને વ્યથા ઠાલવી છે. પૂર્વ મહિલા પ્રોફેસરનું નામ ડો. પાર્વતી કુમારી છે અને તેઓ સત્યવતી કોલેજમાં હિંદીના પ્રોફેસર હતા.
ડો. પાર્વતીએ ફેસબુક વોલ પર લખ્યું છે કે, હવે મૃત્યુથી સુંદર કશું નથી. મને ઇચ્છા મૃત્યુ આપવામાં આવે. હું ભારતના દરેક નાગરિકને અપીલ કરુ છુ કે હવે એક જીવતી લાશમાં પરિવર્તિત થઇ ગઇ છું. સત્યવતી કોલેજમાંથી મને કાઢી મુક્યા પછી હું ક્ષણે ક્ષણે મરી રહી છું. હવે હું એવું ઇચ્છું છું કે કાયમ માટે મારી પીડા સમાપ્ત થઇ જાય.
ડો. પાર્વતીએ આગળ લખ્યું છે કે ઇશ્વરે મારી આંખની રોશની છિનવી લીધી, તો લાગ્યું કે વાંધો નહીં, કોઇક રીતે જિંદગી તરી જઇશ. પરંતુ મને એ ખબર નહોતી કે બૌદ્ધિકોના સમાજમાં મારા જેવી કમનસીબની આત્માને ચાકુથી લોહીલુહાણ કરી દેશે. હું એકદમ ગભરાયેલી છું અને એવું લાગે છે કે હું બીજી વખત અંધ થઇ ગઇ છું. પૂર્વ પ્રોફેસરે લખ્યું કે હે ઇશ્વર, તારો ન્યાય ક્યાં ગયો? કઇંક તો મારા પર દયા કર.
પોતાની લાઇફ સ્ટોરી વિશે ડો. પાર્વતીએ કહ્યં કે હું જન્મથી અંધ નથી. હું જ્યારે 10માં ધોરણમાં ભણતી હતી ત્યારે મારી આંખોની રોશની ચાલી ગઇ હતી. તે વખતે હું કોમામાં સરી પડી હતી અને 3 મહિના પછી જ્યારે મને હોંશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી. મને હોંશ તો આવ્યો હતો, પરંતુ મને કશુ દેખાતું નહોતું. મેં મારા પિતાને કહ્યુ કે, મને કશું દેખાતું નથી. ડોકટરોને બોલાવાયા તો તેમણે મારી સમસ્યાને મનોવૈજ્ઞાનિક સમસ્યા હોવાનું કહ્યુ. એ પછી મારી આંખની રોશની ન આવી અને ડોકટરોએ મને દ્રષ્ટિવિહિન જાહેર કરી.
મારી સામે એક સન્નાટો છવાઇ ગયો હતો. મને એ વાતનો ભય લાગતો હતો કે ગરીબ પરિવાર હોવાને કારણે મને ક્યાંક ભીખ માંગવા ન મોકલી દે, ઘણા બધા નકારાત્મક વિચારો આવતા હતા, છતા હું ડર્યા વગર આગળ વધી. ભણતા ભણતા મેં JNUમાં એમ.ફીલ અને Ph.d. પણ કર્યું. મારું લખેલું પુસ્તક પ્રકાશિત થયું છે. એક સ્ટોરી કલેક્શન છે. ઘણા બધા મારા લેખો પ્રતિષ્ઠિત અખબારોમાં પ્રસિદ્ધ થયા છે. પરંતુ મારી કોલેજે એક સામાન્ય બી.એ., એમ.એ અને NET પાસ કરેલા વિદ્યાર્થીને મારી જગ્યાએ રિપ્લેસ કરી દીધો. આ મારા માટે મારી હત્યા સમાન છે.
ડો. પાર્વતીએ લખ્યું કે, અંધ વ્યકિતના સંઘર્ષો વિશે તમે જાણતા નથી. જિંદગીના દરેક પડાવ પર હું ઝઝુમુ છું. ઇશ્વરે મારી બધી ઇચ્છાઓનું દમન કરી નાખ્યું અને આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી દીધી. મારી જિંદગીમાં હવે કશું બચ્યુ નથી. આત્મહત્યા કરવાનો તો અનેક વખત વિચાર આવ્યો, પરંતુ હું ઇચ્છા મૃત્યુનો આગ્રહ રાખુ છું.