- National
- ‘રાત્રે વાગે છે ઘૂંઘરૂ...’, મહારાષ્ટ્રમાં 300 વિદ્યાર્થીનીઓએ ભૂતના ડરથી શાળા છોડી દીધી; પછી સત્ય આવ્...
‘રાત્રે વાગે છે ઘૂંઘરૂ...’, મહારાષ્ટ્રમાં 300 વિદ્યાર્થીનીઓએ ભૂતના ડરથી શાળા છોડી દીધી; પછી સત્ય આવ્યું સામે
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના મેલઘાટના ધારણી તાલુકામાં આવેલી ડોમા આદિવાસી આશ્રમ શાળામાં એક વિચિત્ર ઘટનાક્રમથીખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓમાં ફૂડ પોઇઝનિંગના તાજેતરના કિસ્સાઓ પછી, શાળામાં આત્માની છાયા હોવાની અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ છે. ભય અને ગભરાટને કારણે 300થી વધુ વિદ્યાર્થિનીઓ પોતાનો અભ્યાસ છોડીને પોતાના ઘરે પરત ફરી ગઇ છે.
આ ઘટનાક્રમ સાત-આઠ દિવસ જૂનો હોવાનું કહેવાય છે. ડોમા સ્થિત આદિવાસી આશ્રમ શાળાની છાત્રાલયમાં રહેતી લગભગ 15 થી 16 વિદ્યાર્થીનીઓના વર્તનમાં અચાનક ધરખમ ફેરફાર થયો; તેઓ અચાનક જોર-જોરથી હસવા અને રડવા લાગી. કેટલીક વિદ્યાર્થિઓએ દાવો કર્યો હતો કે તેમને રાત્રે ઘૂંઘરું વાગવા જેવા રહસ્યમય અવાજો સાંભળવા મળે છે. આનાથી છાત્રાલયમાં ભયનું વાતાવરણ સર્જાયું. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને છાત્રાલયના વોર્ડન ઉજ્વલા ઇંગલેએ તાત્કાલિક શાળાના આચાર્યને જાણ કરી.
આ ઘટનાના સમાચાર શાળા પરિસરમાંથી નીકળીને આસપાસના ગામોમાં ફેલાતા, જોત જોતામાં વિદ્યાર્થીઓને ભૂત વળગેલા હોવાની અફવાઓએ જોર પકડ્યું. ગભરાયેલા માતા-પિતા તેમની દીકરીઓને ઘરે લઈ જવા માટે શાળાએ દોડી ગયા. ભયને કારણે લગભગ 300થી વધુ વિદ્યાર્થિઓ છાત્રાલય છોડીને પોતપોતાના ગામે જતી રહી. કહેવામાં આવી રહ્યું છે કે છાત્રાલય ખાલી કરનારી વિદ્યાર્થિઓમાં સૌથી વધુ સંખ્યા 'એકતાઈ' ગામની છે.
આ બાબતની જાણ થતા આરોગ્ય વિભાગની એક તબીબી ટીમ ડૉક્ટરો સાથે, તાત્કાલિક આશ્રમ શાળામાં પહોંચી. પ્રારંભિક તપાસ પછી, ડૉક્ટરોએ ભૂત કે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા અંગેના દાવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધા. ડૉક્ટરો અને તબીબી અધિકારીઓ જણાવે છે કે આ કોઇ પ્રકારની છાયા કે ભૂતનું વળગણનો મામલો નથી; પરંતુ, તે 'માસ હિસ્ટીરિયા ' સાથે જોડાયેલી માનસિક સ્થિતિ હોય તેવું લાગે છે, જે ઘણીવાર તણાવ અને ભયને કારણે સાથે રહેતા બાળકો અથવા કિશોરીઓમાં ફેલાય છે.
વિદ્યાર્થિનીઓને પાછા લાવવા અને તેમના મનમાંથી અંધશ્રદ્ધાથી જન્મેલા ભયને દૂર કરવા માટે વ્યાપક પ્રયાસો ચાલી રહ્યા છે. 'અંધશ્રદ્ધા નાબૂદી સમિતિ'ના નંદિની જાધવ અને ડૉ. દેશમુખ ખાસ કરીને મુંબઈથી ડોમા ગયા છે. આરોગ્ય વિભાગ, પોલીસ અને અંધશ્રદ્ધા નાબૂદી સમિતિની ટીમો સંયુક્ત રીતે વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ કરી રહી છે. શાળા પ્રશાસને વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શક્ય તેટલી વહેલી તકે તેમની દીકરીઓને શાળા અને છાત્રાલયમાં અભ્યાસ માટે પાછી મોકલવા વિનંતી કરી છે.

