- National
- પ્રફૂલ પટેલ પર કાર્યવાહી.... ભત્રીજા અજીતના બળવા પછી જાણો શરદ પવારે શું કહ્યું
પ્રફૂલ પટેલ પર કાર્યવાહી.... ભત્રીજા અજીતના બળવા પછી જાણો શરદ પવારે શું કહ્યું

મહારાષ્ટ્રના રાજકારણમાં આજે આખો દિવસ ગરમાટો ચાલી રહ્યો છે, શિંદે સરકારમાં સામેલ થયા પછી NCPના સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે NCP અને પાર્ટી સિમ્બોલ બંને પર અમારો હક છે અને આગામી બધી ચૂંટણીઓ NCPના નેજા હેઠળ જ લડાશે, તો બીજી તરફ શરદ પવારે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભત્રીજાના દાવાનો જવાબ આપ્યો છે.
મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા શરદ પવારે કહ્યું, અમે ફરીથી પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરીશું. ધારાસભ્યો અને તમામ વરિષ્ઠ નેતાઓ એકસાથે બેસીને બળવાખોર નેતાઓ સામે કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લઇશું. પ્રમુખ હોવાને કારણે મેં પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેને મહત્વના પદો પર નિયુક્ત કર્યા હતા પરંતુ તેઓએ તેમની જવાબદારીઓ નિભાવી ન હતી. તેથી, મારે તેમની સામે કાર્યવાહી કરવી પડશે.
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું કે, આવા બળવાઓ તો પહેલાં પણ જોઇ ચૂક્યા છે.1980માં પણ આવું બન્યુ હતું, 5 લોકો સિવાય બધા પાર્ટી છોડીને ચાલી ગયા હતા.પરંતુ મેં ફરીથી શરૂઆત કરીને પાર્ટી ઉભી કરી હતી. પવારે કહ્યું કે હવે ફરી નવી ટીમ બનાવીશ.
શરદ પવારે કહ્યું કે અલગ અલગ રાજ્યોના નેતાઓના મારી પર ફોન આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને અન્ય લોકો સાથે મારી ફોન પર વાત થઇ છે. પવારે કહ્યું કે, આજે જે બન્યું તેની મને જરા પણ ચિંતા નથી. આવતી કાલે, મહારાષ્ટ્રના પૂર્વ CM યશવંતરાવ ચવ્હાણના આર્શીવા લઇશ અને ફરી એક જાહેર મિટીંગ કરીશ.
શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે મહારાષ્ટ્રની મુખ્ય સહકારી બેંકોમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. આજે NCP નેતા ભાજપમાં સામેલ થઇ ગયા છે, જે બતાવે છે કે ભ્રષ્ટ્રચાર અચાનક સાફ થઇ ગયો છે અને એના માટે હું PM મોદીનો આભાર માનું છું. થોડા દિવસો પછી ખબર પડી જશે કે NCP નેતાઓએ ભાજપ સાથે હાથ કેમ મેળવ્યા છે?
શરદ પવારે કહ્યુ કે, મને લોકો પર વિશ્વાસ છે અને ફરી મજબુત રીતે પાછો ફરીશ એવો પણ મને વિશ્વાસ છે. આવતીકાલે કરાડમાં યશવંત રાવ ચૌહાણની સમાધિ પર શ્રધ્ધાંજલિ અર્પિત કરીને તેમના આર્શીવાદ લઇશ અને એ પછી આખા રાજ્ય અને દેશમાં લોકો વચ્ચે જઇશ.
શરદ પવારે કહ્યુ કે હું ફરી એક વખત ઉર્જાવાન ટીમ બનાવીશ, જે સાચા મનથી મહારાષ્ટ્રની ભલાઇ અને વિકાસ માટે કામ કરશે. તેમણે કહ્યું કે હવે મારું એક માત્ર ફોકસ પાર્ટીને ફરી ઉભી કરવાનું રહેશે.