- National
- 6 વાર MLA રહેલા નરોત્તમ મિશ્રાને ટિકિટ ન આપતા સમર્થકો ગાંડા થયા, પથ્થરમારો, હાઇવે બ્લોક, પોલીસ લોહીલ...
6 વાર MLA રહેલા નરોત્તમ મિશ્રાને ટિકિટ ન આપતા સમર્થકો ગાંડા થયા, પથ્થરમારો, હાઇવે બ્લોક, પોલીસ લોહીલુહાણ...; નેતાજીએ કહ્યું...
મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં શનિવારે હિંસા ફાટી નીકળી. 30 જુલાઈના રોજ યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે BJPના વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રાને ટિકિટ ન મળતા, તેમના સમર્થકોએ પોલીસ સાથે અથડામણ કરી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કર્યો. આટલું બધું થઇ ગયા પછી, નરોત્તમ મિશ્રાએ તેમના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી.
નરોત્તમએ તેમના સમર્થકોને કહ્યું, 'મેં ગઈકાલે વિગતવાર વાત કરી હતી, અને આજે ફરીથી કહી રહ્યો છું. આ પાર્ટીનો નિર્ણય છે. હું તમને અપીલ કરું છું કે આવું કંઈ ન કરો. પાર્ટીના મંચ પર વાતની રજૂઆત થઇ શકે છે, આવો આક્રોશ ન વ્યક્ત કરો.' જ્યારે અધિકારીઓએ અહેવાલ આપ્યો કે 3,000થી વધુ પ્રદર્શનકર્તાઓએ લગભગ 12 કલાક સુધી NH-44ને જામ કરી રાખ્યો હતો, જેમાં દતિયા પોલીસ અધિક્ષક (SP) અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. ત્યાર પછી સુરક્ષા દળોએ હાઇવેને ખાલી કરાવ્યો અને કેટલાક પ્રદર્શનકારીઓ ધરપકડ કરી.
શુક્રવારે શાસક BJPએ દતિયા વિધાનસભા પેટાચૂંટણી માટે આશુતોષ તિવારીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા, જેનાથી મિશ્રાના સમર્થકો ગુસ્સે થયા. દતિયા કલેક્ટર સ્વપ્નિલ વાનખેડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ લગભગ 11-12 કલાક સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કર્યો હતો. રસ્તો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં, તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આની અંદર દતિયા પોલીસ અધિક્ષક, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી હતી કે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો ન હતો. વાનખેડેએ કહ્યું કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ પછીથી રસ્તો ખાલી કરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.
https://twitter.com/ANI/status/2075830782321639920
દતિયા પોલીસ અધિક્ષક મયુર ખંડેલવાલે જણાવ્યું હતું કે, '3,000થી વધુ પ્રદર્શનકારીઓએ દતિયા શહેરમાં શાંતિ ભંગ કરી, બજાર બંધ કરવાનો પ્રયાસ કર્યો અને 12 કલાક સુધી રસ્તો બ્લોક કર્યો.' તેમણે ઉમેર્યું હતું કે, 'પથ્થરમારામાં 6થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અમે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જાણ કરી કે શહેરમાં આદર્શ આચારસંહિતા લાગુ છે.' પરંતુ જ્યારે તેઓ ત્યાંથી હટ્યા નહીં અને પથ્થરમારો શરૂ કર્યો, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
SPએ જણાવ્યું હતું કે, કેટલાક પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જો તેઓ હિંસાનો આશરો લેશે તો કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી. સૂત્રો જણાવે છે કે, શુક્રવારના દિવસે બનેલી રાજકીય ઘટનાના વિરોધમાં જિલ્લા એકમના પ્રમુખ અને સ્થાનિક કાઉન્સિલરો સહિત કેટલાક પક્ષના અધિકારીઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. આશુતોષ તિવારીની ઉમેદવારી ભૂતપૂર્વ મંત્રી મિશ્રા માટે ફટકો હતો, જેમને પક્ષના સૂત્રો અનુસાર ટિકિટ મળવાની આશા હતી અને તેમણે ઉમેદવારી ફોર્મ પણ ખરીદી લીધું હતું.
દતિયાના સેવઢા શહેરના રહેવાસી તિવારી રાજ્ય BJP સંગઠનમાં સક્રિય છે. રાજ્ય BJP કાર્યાલયની બહાર પત્રકારો સાથે વાત કરતા, ઉત્સાહિત તિવારીએ કહ્યું કે, તેઓ વરિષ્ઠ પક્ષના નેતાઓને મળ્યા છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તિવારીએ કહ્યું કે, 'મિશ્રા ખૂબ જ વરિષ્ઠ નેતા અને મારા ગુરુ છે, અને તેમણે કહ્યું છે કે તેઓ પાર્ટી અને મારા માટે પ્રચાર કરશે.'
મિશ્રાના એક સમર્થકે અહેવાલ આપ્યો કે, કેટલાક લોકોએ તેમના શર્ટ ઉતારીને રસ્તા પર સૂઈ ગયા, જ્યારે અન્ય લોકોએ ધરણા કર્યા. અન્ય એક સમર્થકે કહ્યું કે, જ્યાં સુધી 'નરોત્તમ દાદા'ને ટિકિટ નહીં મળે ત્યાં સુધી તેઓ પાછા નહીં હટે અને જો જરૂર પડે તો ભગવા પાર્ટી પણ છોડી દેશે. અહીં તમને બતાવી દઈએ કે, કોંગ્રેસના નેતા રાજેન્દ્ર ભારતીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં દતિયાથી તત્કાલીન ગૃહમંત્રી મિશ્રાને 7,500થી વધુ મતોથી હરાવ્યા હતા.
જોકે, આ વર્ષે એપ્રિલમાં, દિલ્હીની એક કોર્ટે ભારતીને છેતરપિંડીના કેસમાં 3 વર્ષની જેલની સજા ફટકારી હતી, જેના કારણે તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા અને પેટાચૂંટણી જરૂરી બની હતી.જો કે, ત્યાર પછી તેમને જામીન આપવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે તાજેતરમાં જ દતિયા સહિત દેશભરમાં 3 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની જાહેરાત કરી હતી. બાકીની બે બિહાર અને ગુજરાતમાં છે. સમયપત્રક મુજબ, મતદાન 30 જુલાઈએ થશે અને પરિણામો 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.
દતિયામાં થયેલા હોબાળા પછી, સમગ્ર મધ્યપ્રદેશમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજધાની ભોપાલમાં BJP રાજ્ય કાર્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાર્યાલય પરિસરમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને દરેક મુલાકાતીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
http://x.com/KishorJoshi02/status/2075774220265718095
ભોપાલ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ પોલીસ દળ સાથે BJP રાજ્ય કાર્યાલયમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. પોલીસનું કહેવું છે કે, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સાવચેતીના પગલા તરીકે આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યભરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ દેખરેખ વધારી દેવામાં આવી છે, અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

