- National
- પેટાચૂંટણી પહેલા મુસ્લિમ મતદારો માટે CM સુવેન્દુની શરત; 'મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે તેઓ BJPના મિત...
પેટાચૂંટણી પહેલા મુસ્લિમ મતદારો માટે CM સુવેન્દુની શરત; 'મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે તેઓ BJPના મિત્ર છે નહિતર...,'
પશ્ચિમ બંગાળની બે વિધાનસભા બેઠકો, નંદીગ્રામ અને રેજીનગર માટે 6 ઓક્ટોબર, 2026ના રોજ પેટાચૂંટણીઓ યોજાવાની છે. CM સુવેન્દુ અધિકારીએ આને રાજ્યના મુસ્લિમ મતદારો માટે એક કસોટી તરીકે વર્ણવ્યું છે. તેમણે મુસ્લિમોને એ નક્કી કરવા માટે કહ્યું કે, તેઓ તેમની સરકારને ટેકો આપવા માંગે છે, તેની સાથે રહેવા માંગે છે, કે BJPનો વિરોધ કરવા માંગે છે.
CM સુવેન્દુ અધિકારી પેટાચૂંટણીઓમાં તેમના પક્ષના ઉમેદવારો માટે લઘુમતીના મતોની માંગણી કરી રહ્યા હતા. તેમની ટિપ્પણીઓએ રાજકીય વિવાદ ઉભો કર્યો. વિપક્ષે CM સુવેન્દુ અધિકારી પર સરકારી યોજનાઓની પહોંચને પક્ષની વફાદારી સાથે જોડીને ઘમંડી અને મતદારોને ડરાવવાનો આરોપ લગાવ્યો.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, હલ્દિયામાં BJPની રેલીમાં બોલતા CM સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, પેટાચૂંટણીઓએ બંને વિધાનસભા બેઠકો પર લઘુમતીઓને તેમના રાજકીય વલણ દર્શાવવાની તક આપી છે. તેમણે કહ્યું, 'હું જોઉં છું કે ઘણા લઘુમતી લોકો અહીં આવ્યા છે, જેમણે મને કે BJPને મત આપ્યો નથી. તમારી પાસે એક તક છે. શું તમે સરકાર સાથે રહેવા માંગો છો કે નહીં? તે તમારે નક્કી કરવાનું છે.' CM સુવેન્દુ અધિકારીએ આગળ કહ્યું, 'જો તમે સરકાર સાથે રહેવા માંગો છો, CM સાથે રહેવા માંગો છો, સહકાર આપવા ઈચ્છો છો, કામ કરવા માંગો છો અને ઘણા લાભ ઉઠાવવા માંગો છો, તો તમારી કસોટી 6 ઓક્ટોબરે નંદીગ્રામ અને રાજનગરમાં છે. હું તમારા પર નિર્ણય લેવાનું છોડી દઉં છું કે તમે આ કસોટીમાં પાસ થાઓ છો કે નાપાસ થાઓ છો.' મીડિયા સૂત્રો અનુસાર, CM સુવેન્દુ અધિકારીએ ત્યાર પછી કહ્યું કે, મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે તેઓ BJPના મિત્ર છે.
CM સુવેન્દુ અધિકારીની ટિપ્પણી પર વિરોધ પક્ષોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. નૌડાના ધારાસભ્ય કબીરે CM સુવેન્દુ અધિકારીને સાંપ્રદાયિક રાજકારણી અને ઘમંડી ગણાવ્યા. તેમણે કહ્યું, 'CM બન્યા પછી, CM સુવેન્દુ અધિકારી રાજકીય રીતે ઘમંડી બની ગયા છે અને સાંપ્રદાયિક વલણ અપનાવવા લાગ્યા છે. હવે તેઓ ધર્મના આધારે મુસ્લિમ સમુદાયના સભ્યોને લાભ આપવાનો ઇનકાર કરી રહ્યા છે, ત્યારે તેઓ મુસ્લિમ સમર્થન કેવી રીતે મેળવી શકે? DMને મુસ્લિમ મહિલાઓને અન્નપૂર્ણા યોજના જેવી સુવિધાઓ ન આપવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.' કબીરે કહ્યું કે, મુસ્લિમ મતદારો CM સુવેન્દુ અધિકારીના ઇરાદા સમજી ગયા છે અને 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણીમાં તેમને જોરદાર યોગ્ય જવાબ આપશે.
અહીં તમને બતાવી દઈએ કે, સુવેન્દુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક જીતી હતી. તેમણે આ બેઠક ખાલી કરી છે, જેના કારણે પેટાચૂંટણી જરૂરી બની છે. આ ઉપરાંત, આમ જનતા ઉન્નયન પાર્ટીના હુમાયુ કબીરે પણ રેજીનગર બેઠક ખાલી કરી છે. BJPએ નંદીગ્રામથી હસિરાની રથ અને રેજીનગરથી S. સરકારને મેદાનમાં ઉતાર્યા છે. CM સુવેન્દુ અધિકારીએ 2021માં TMCના વડા અને બંગાળના ભૂતપૂર્વ CM મમતા બેનર્જીને 1956 મતોથી હરાવ્યા હતા. 2026માં પણ તેમણે તે જ બેઠક પરથી TMCના પવિત્રને પણ લગભગ 15,000 મતોથી હરાવ્યા હતા.

