- National
- સરકારી નોકરી બચાવવા મા-બાપે પોતાના 3 દિવસના બાળક સાથે એવું કર્યું કે કાળજું કંપી ઉઠે
સરકારી નોકરી બચાવવા મા-બાપે પોતાના 3 દિવસના બાળક સાથે એવું કર્યું કે કાળજું કંપી ઉઠે
એક કહેવત તમે સાંભળી હશે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય... એટલે કે સંતાન ક્યારેક એવી પાકે કે જે માવતરના કહ્યામાં ના હોય. એવા પણ લોકો જોઈએ છીએ કે જે પોતાના મા-બાપને ખૂબ દુખ આપે છે. પોતાના મા-બાપને ના સાચવતા અને તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો તો અગણિત છે. આજના જમાનામાં તો સંપત્તિ માટે મા-બાપને મારી નાખે એવો સંતાનો પણ પેદા થાય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું કે માવતર પોતાના સંતાનોને દુખ આપે? ઉલટાના વિશ્વના દરેક મા-બાપ પોતાના મોઢાનો કોળિયો કાઢીને પોતાના સંતાનોને ખવડાવતા હોય છે. દુનિયાના દરેક મા-બાપ પોતાની શક્તિ પ્રમાણે પોતાની સંતાનને સારામાં સારી રીતે ઉછેરતા હોય છે અને સારામાં સારું પોષણ આપતા હોય છે. આમ આ કહેવત માવતરની મોટાઈ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કહેવત ખાસ કરીને ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે કે જયારે સંતાન પોતાના માવતરને ખુબ દુખ આપે પણ એના બદલામાં માવતર એને પ્રેમ અને ત્યાગ જ આપતા હોય છે.
પણ અમુક વાર આ કહેવત પણ ખોટી પડી જાય છે. આવો જ એ કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને આંચકો લાગી જાય. મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સરકારી શાળાના શિક્ષક અને તેની પત્નીએ તેના માત્ર ત્રણ દિવસના ચોથા બાળકને જંગલમાં પથ્થર નીચે જીવતું દફનાવી દીધુ હતું. સદનસીબે પસાર થતા લોકોની સતર્કતાથી બાળકનો બચાવ થયો, પરંતુ તેની હાલત ગંભીર છે. શિક્ષકે પોતાની નોકરી બચાવવા માટે આ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની માહિતી અનુસાર આ ઘટના ધનોરા ચોકી હેઠળના નંદનવાડી ગામના ગાઢ જંગલમાં બની હતી. આરોપી બબલુ દાંડોલિયા, નંદનવાડી પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં શિક્ષક છે. તેને પહેલાથી જ બે પુત્રીઓ અને એક પુત્ર છે. તેના નવા જન્મેલા ચોથા પુત્રને પરિવારનો બોજ માનીને બબલુએ તેની પત્ની રાજકુમારી સાથે કાવતરું રચ્યું. તેઓ નવજાત બાળકને જંગલમાં લઈ ગયા, તેને પથ્થરો નીચે દફનાવી દીધો અને ભાગી ગયા. બાળકના રડવાથી ગ્રામજનોનું ધ્યાન ખેંચાયું.

જ્યારે પસાર થતા લોકોએ પથ્થરો હટાવ્યા, ત્યારે નવજાત કીડીઓથી ઘેરાયેલું હતું. તેના નાજુક શરીર પર ગંભીર કરડવાના ઘા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ અહેવાલ આપ્યો કે ચેપ અને ઇજાઓ જીવલેણ હતી, પરંતુ તે વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
પોલીસે શરૂઆતમાં તેના પર બાળક ત્યજી દેવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ ફોરેન્સિક તપાસ અને સાક્ષીઓના નિવેદનોમાં પૂર્વયોજિત હત્યાનો ખુલાસો થયો છે. આરોપી દંપતી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને તેમની ધરપકડ કરવામાં આવી છે. સિધૌલી પોલીસ સ્ટેશનના તામિયાના રહેવાસી આ દંપતી હવે ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસ અધિક્ષક (એસપી) એ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા પછી કડક સજા સુનિશ્ચિત કરવામાં આવશે.
દંપતી 2009 થી પ્રાથમિક સરકારી શાળામાં ધોરણ 3 ના શિક્ષક તરીકે કામ કરે છે. પોતાના કૃત્યની કબૂલાત કરતા તેઓએ કહ્યું કે ચોથા બાળકના કારણે તેમને તેમના શિક્ષણ પદ પરથી સસ્પેન્ડ અથવા બરતરફ થવાનો ડર હતો અને તેથી આ પગલું ભર્યું. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં 2થી વધુ બાળકો હોય તો સરકારી નોકરી ગુમાવવી પણ પડી શકે છે. 2023માં ત્રીજું સંતાન હોવાને કારણે એક ટીચરની નોકરી ચાલી ગઈ હતી.
જોકે, આરોપી દંપતી દ્વારા કહેવામાં આવેલી વાર્તાથી ગ્રામજનો સહમત નથી. તેઓ પ્રશ્ન કરે છે કે શું દંપતીના કૃત્યો ફક્ત તેમની નોકરી બચાવવા માટે હતા કે પછી તેઓએ કોઈ અન્ય કારણોસર બાળક પર આ સ્થિતિ લાવી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

