- National
- દોડતી ટ્રેનમાં બે કોચને જોડતું કપ્લર તૂટ્યું, ટ્રેન બે ભાગમાં વહેંચાઈ, 1200 મુસાફરો બચી ગયા!
દોડતી ટ્રેનમાં બે કોચને જોડતું કપ્લર તૂટ્યું, ટ્રેન બે ભાગમાં વહેંચાઈ, 1200 મુસાફરો બચી ગયા!
પંજાબના લુધિયાણા રેલ્વે સ્ટેશન પર શનિવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થતી થતી રહી ગઈ. નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ ટ્રેન જે આશરે 1200 મુસાફરોને લઈને જઈ રહી હતી, તેનો એક કોચ અચાનક બાજુના કોચથી અલગ થઈ ગયો. ઘટના દરમિયાન મોટો અવાજ થવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો, અને ગભરાટના માર્યા તેઓ કોચમાંથી બહાર નીકળી ગયા.
અહેવાલો અનુસાર, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ ટ્રેન (04081) શનિવારે વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે નવી દિલ્હીથી રવાના થઈ હતી. ટ્રેન સવારે 8:47 વાગ્યે લુધિયાણા રેલ્વે સ્ટેશન પર આવી. ટ્રેન તેના નિર્ધારિત સ્ટોપ પછી ચાલવા લાગી ત્યારે, એક સ્લીપર કોચમાંથી અચાનક જોરદાર અવાજ આવ્યો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અવાજ એટલો જોરદાર હતો કે મુસાફરોને મોટો વિસ્ફોટ થયો હોવાની આશંકા હતી. થોડીવારમાં જ ખબર પડી કે એક કોચને બીજા કોચથી જોડનારો ભાગ તૂટી ગયો હતો અને બંને કોચ અલગ થઈ ગયા હતા. આ ઘટનાથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આ ઘટના પછી ઘણા મુસાફરો પોતાના કોચમાંથી બહાર નીકળી ગયા. તેમણે રેલવે અધિકારીઓને ઘટના અંગે જાણ કરી. થોડા સમય માટે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. જોકે, એકમાત્ર રાહત એ હતી કે ટ્રેન ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હતી અને હજુ સ્ટેશનથી નીકળી જ રહી હતી.
જો આ અકસ્માત ટ્રેન વધુ ઝડપે હોત અને ત્યારે થયો હોત, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. આ સ્થિતિમાં, ખુબ મોટી જાનહાનિ થવાની અને ટ્રેન અકસ્માતની શક્યતા નકારી શકાય નહીં. તેથી, ઘટનાને રેલવે માટે ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.
ઘટનાની માહિતી મળતાં, રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે અસરગ્રસ્ત કોચ અને ટ્રેનના અન્ય ભાગોનું નિરીક્ષણ કર્યું અને ટેકનિકલ તપાસ શરૂ કરી.
લુધિયાણાના ADCP સમીર વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં વિસ્ફોટ કે શંકાસ્પદ પ્રવૃત્તિના કોઈ સંકેત મળ્યા નથી.
સમીર વર્માના જણાવ્યા મુજબ, ટ્રેન સ્ટેશનથી આગળ વધી રહી હતી ત્યારે બે કોચને જોડતું કપ્લર તૂટી ગયું. આ કારણે, એક કોચ બીજા કોચથી અલગ થઈ ગયો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ એક ટેકનિકલ અકસ્માત હતો અને તેમાં કોઈ વિસ્ફોટ થયો ન હતો.
અધિકારીઓનું કહેવું છે કે, ઘટનાના કારણ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. ટેકનિકલ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે કપ્લર કયા કારણોસર તૂટ્યું.
ફિરોઝપુર ડિવિઝનના DRM સંજીવ કુમારે જણાવ્યું હતું કે, રેલ્વે કોચનું સામાન્ય આયુષ્ય આશરે 25 વર્ષ માનવામાં આવે છે. આ ઘટનામાં સામેલ કોચ ફક્ત 15 વર્ષ જૂનો છે.
તેમણે કહ્યું કે, જ્યારે યાંત્રિક ભાગ તૂટે છે, ત્યારે મોટો અવાજ થવો સ્વાભાવિક છે. તેથી, ફક્ત મોટા અવાજના આધારે કોઈ નિષ્કર્ષ કાઢવો ખોટો રહેશે. સમગ્ર ઘટનાની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.
DRMએ કહ્યું કે તપાસ રિપોર્ટ મળ્યા પછી, એ નક્કી કરવામાં આવશે કે કપ્લરમાં ટેકનિકલ ખામી હતી કે ઘટનાનું કોઈ અન્ય કારણ હતું. સમગ્ર મામલાની રેલવે સલામતી ધોરણો હેઠળ સમીક્ષા કરવામાં આવશે.
વૈષ્ણોદેવી જનારા કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી આ કોચ ટ્રેન સાથે જોડવામાં આવ્યો હતો. મુસાફરોનું કહેવું છે કે, કોચની સ્થિતિ જોઈને તેમને પહેલેથી જ કંઈક ખોટું થવાની શંકા જતી હતી.
મુસાફરોના મતે, કોચ ઘણો જૂનો લાગતો હતો અને તેમને શંકા હતી કે તેમાં કોઈ ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે. ઘટના પછી, મુસાફરોએ કહ્યું કે તેમનો ભય સાચો સાબિત થયો છે.
રેલ્વે વહીવટીતંત્રે હાલમાં અસરગ્રસ્ત કોચને દૂર કરીને નવો કોચ જોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેકનિકલ નિરીક્ષણ પૂર્ણ થયા પછી, ટ્રેનને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન, રેલ્વે અધિકારીઓએ મુસાફરોને સલામત મુસાફરીની ખાતરી આપી છે.

