- National
- Gen Z પાસે એવું તે શું છે કે સૌથી શક્તિશાળી સરકારે પણ ઝૂકવું પડ્યું?
Gen Z પાસે એવું તે શું છે કે સૌથી શક્તિશાળી સરકારે પણ ઝૂકવું પડ્યું?
શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના શક્તિશાળી વડાપ્રધાન રહ્યા છે. તેમણે 12 વર્ષ સુધી સતત રાજ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. દેશમાં તમામ લોકોને લાગતું હતું કે હવે વિપક્ષ ખતમ થઇ ગયો છે. તમામ સંસ્થાઓ પર સરકારનો કબ્જો છે. દેશમાં કોઇ આંદોલન સફળ થઇ શકે નહીં. પરંતુ ઇન્સ્ટાગ્રામ પરથી ઊભા થયેલા નીટ પેપર લીક સામેના એક આંદોલને 35 જ દિવસમાં શક્તિશાળી સરકારને ઝૂકાવી દીધી. આવું કઇ રીતે બન્યું. સરકારે કેમ ઝૂકવું પડ્યું. આ સવાલોના જવાબ માટે Gen Zની માનસિકતા સમઝવાની જરૂર છે.
Gen Z શું છે?
Gen Z એટલે વર્ષ 1997થી વર્ષ 2012 વચ્ચે જન્મેલા બાળકો. આ બાળકો વિશેષ પરિસ્થિતિમાં ઉછર્યા છે. તેમની માનસિકતા બીજી જનરેશન કરતા જુદી છે. એટલે તેમને સમઝાવવા અઘરા છે. તો આપણે આ અંગે થયેલા કેટલાક અભ્યાસોને આધારે સમઝવાનો પ્રયાસ કરીએ.
ટેક્નોલોજી- આ બાળકો જન્મથી જ ટેક્નોલોજીની સમઝ કેળવી રહ્યા છે. તેઓ ટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ જ સહજ રીતે કરે છે. તેઓ નવા નવા રસ્તે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જંતર મંતર પર ઇન્ટરનેટ બંધ કરી દેવાયું તો તેઓ બ્લુટૂથ અને બીજી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા હતા.
કોમ્યુનિકેશન-અગાઉના સમયમાં કોમ્યુનિકેશનના સાધનો ખૂબ ઓછા હતા. પરંતુ હવે આ જનરેશન પાસે ઘણા સાધનો છે. તેઓ ખૂબ જ ઝડપથી પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. જંતર મંતર પરથી તેમણે આખા દેશમાં જે કોમ્યુનિકેશન કર્યું તે મોટાભાગે ઇન્ટાગ્રામ પરથી જ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને સમજાવવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સવાલો કરે છે- અગાઉની જનરેશન વડીલોની વાતો સીધેસીધી સ્વીકારી લેતી હતી. પરંતુ આ જનરેશન સવાલો પૂછે છે. તેમને જ્યાં સુધી લોજિકલ જવાબો ન મળે ત્યાં સુધી તેઓ માનતા નથી. તેમની સૌથી મોટી શક્તિ જ આ જ છે. તેની પાછળનું કારણ એ છે કે તેમની વિચારધારા ગ્લોબલ છે. તેઓ બીજી કોઇપણ વિચારધારા કરતા સાયન્સ એન્ડ ટેક્નોલોજીથી વધારે પ્રભાવિત છે. તેમના માટે લોજિક સૌથી વધુ મહત્ત્વનું છે. આ આંદોલન વખતે પણ પરંપરાગત મીડિયા અને સરકારના સમર્થકોએ તેમને પાકિસ્તાની, ચાઇનાથી ફંડેડ. સીઆઇએના ષડયંત્રકારી બતાવવાના પ્રયત્નો કર્યા પરંતુ આવા દરેક એજન્ડા સામે તેમણે એવા સવાલો કર્યા કે તે ટકી શકયા નહીં.

માહિતીના સ્ત્રોત ઘણા છે- અગાઉની જનરેશન વડીલોની વાતો એટલા માટે માની લેતી હતી કારણ કે તેમની પાસે માહિતીના સ્ત્રોત ખૂબ ઓછા હતા. આજની જનરેશન પાસે માહિતીના સ્ત્રોત એટલા બધા છે કે તેઓ કોઇપણ વાતને માનતા પહેલા ઘણા પ્રકારની માહિતી એકઠી કરીને બેઠી હોય છે. તેમને કોઇ નવી વસ્તુ શીખવવી તે માટે કોઇપણ વ્યક્તિએ એક્સપર્ટ હોવું જરૂરી છે. આ આંદોલન કરનારાઓ પાસે પોતાના હક્કોની બધી જ જાણકારી હતી. આ ઉપરાંત શું કરવું અને શું ન કરવું તે અંગે પણ બધી જાણકારીઓ લઇને આવ્યા હતા. એટલે જ તેઓ કોઇ ટીવી મીડિયા કે અખબારોની માહિતી પર ભરોસો કરવાની જગ્યાએ યૂ ટ્યૂબરો પર વધારે ભરોસો કરતા હતા.
સતત નવું અને ઝડપથી શીખતા રહેવું- તેમના માટે ડિગ્રી એટલી મહત્ત્વની નથી જેટલું લર્નિંગ મહત્ત્વનું છે. તેઓ સતત કંઇક ને કંઇક શીખવા માગે છે. કારણ કે તેમને ખબર છે કે ટેક્નોલોજી સતત બદલાય છે. જો તે નવું નહીં શીખે તો સર્વાઇવ નહીં કરી શકે. એટલે તેઓ સતત નવું નવું શીખતા રહે છે. જે રીતે મોબાઇલમાં સતત અપડેટ આવતા રહે છે તેમ આ જનરેશન પણ સતત અપડેટ થતી રહે છે.

સાહસિક છે- આ જનરેશન સાહસિક છે. તેમને ડર નથી લાગતો. આંદોલન વખતે આપણે જોયું છે કે તેઓ પોલીસથી ડરતા ન હતા. પોલીસ મારે તો મારા ખાવા માટે તૈયાર હતા. સામેથી જઇને પોલીસને પૂછતા હતા કે આજે મારશો કે.. આવું એટલા માટે છે કારણ કે આ જનરેશનને તેમના માતા-પિતાએ એ રીતે જ ઉછેરી છે. તેમને ભાગ્યે જ માર માર્યો છે. તેમને હમેશા પ્રોટેક્ટ કર્યા છે. એટલે તેઓ કોઇ ઓથોરિટી સામે ઝૂકતા નથી. સામે સવાલ પૂછે છે. સામે જવાબ આપે છે. જંતર-મંતર પર આ જનરેશન ન તો સરકારથી ડરી હતી ન કોઇ મીડિયાથી. એકવાર સરકારે વાતચીત કરવા માટે 2 કલાક બેસાડી રાખ્યા તો બીજીવાર પોતાની શરતો પર જ વાત કરવાની વાત કહી દીધી.

સામાજિક રીતે જાગૃત છે- તેમનો ઉછેર ગ્લોબલ થિંકિંગ સાથે થયો છે. તેઓ દુનિયાભરમાં શું થઇ રહ્યું છે તે અંગે જાણકારી રાખે છે. તે અંતે તેમના પોતાના મતો છે. તેઓ પર્યાવરણ વિશે જાગૃત છે. તેઓ ધર્મ, લિંગ, જ્ઞાતિ જેવી એકબીજાને લોકોથી અલગ કરતી વિચારધારાને વધુ સમર્થન આપતા નથી. તેઓ સન્માન બધાનું કરે છે પરંતુ કોઇની આંધળી ભક્તિ કરવામાં માનતા નથી. એટલે જ આપણે જોઇ શકીએ છીએ કે કોઇ ધાર્મિક કે સામાજિક ગુરૂ કે લીડર જે લોજિકલ વાત કરે છે તેને તે સમર્થન આપે છે.

Gen Zના આંદોલનની સફળતા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે જે લોકો આંદોલન કરી રહ્યા હતા કે જેઓ આંદોલનનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા તેમની સરેરાશ ઉંમર 20થી 30 વચ્ચેની હતી જ્યારે જેમની સામે તેઓ આંદોલન કરી રહ્યા હતા તેમની સરેરાશ ઊંમર 60થી 70 વચ્ચેની હતી. સીધી વાત કરીએ તો સરકાર આ જનરેશનને સમઝી શકી ન હતી. એમ કહી શકીએ કે તેનો અંદાજ લગાવી શકી ન હતી. એટલે અંતે ઝૂકવું પડ્યું હતું.

