- National
- મહિલાઓએ સાબિત કરી દીધું છે કે જ્યારે પણ તેમને સમાન તકો મળી છે તેમણે પુરુષો કરતા વધુ સારું પ્રદર્શન ક...
મહિલાઓએ સાબિત કરી દીધું છે કે જ્યારે પણ તેમને સમાન તકો મળી છે તેમણે પુરુષો કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે
ભારતીય સંસ્કૃતિમાં નારીને હંમેશા શક્તિના સ્વરૂપ તરીકે પૂજવામાં આવી છે. દુર્ગા, કાલી કે લક્ષ્મીના રૂપે તેમની આરાધના થાય છે પરંતુ વાસ્તવિક જીવનમાં નારીને સમાન તકો અને આદર આપવો એ જ સાચી પૂજા છે. તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યું તે એક ઐતિહાસિક ક્ષણ છે. આ ૧૧ એકરમાં ફેલાયેલો કેમ્પસ આદિવાસી અને ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, ડિજિટલ તાલીમ, આરોગ્ય અને આજીવિકાના માધ્યમથી સશક્ત બનાવવાનું કેન્દ્ર બનશે. વાર્ષિક 15000થી વધુ મહિલાઓને તાલીમ આપવાની ક્ષમતા ધરાવતું આ કેન્દ્ર પૂર્ણપણે ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત જે નારી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે.
રાજનાથ સિંહજ એ પોતાના ભાષણમાં કહ્યું કે, "મહિલાઓએ સાબિત કરી દીધું છે કે જ્યારે પણ તેમને સમાન તકો મળી છે, તેમણે પુરુષો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે." આ વાત સાચી છે. એલા ભટ્ટજીની સ્થાપના કરેલી સેવા (SEWA) કે લિજ્જત પાપડ જેવી સંસ્થાઓએ લાખો મહિલાઓને આર્થિક સ્વાવલંબન આપ્યું છે જેનાથી રાષ્ટ્રીય વિકાસને વેગ મળ્યો છે. આ સેન્ટર પરંપરાગત કલાઓથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની તાલીમ આપીને મહિલાઓને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવશે. આનાથી 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના સ્વપ્નને વાસ્તવિકતા મળશે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક રાકેશજીની દીર્ઘદૃષ્ટિ આ પ્રોજેક્ટનું મુખ્ય આધાર છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની શિક્ષણો પર આધારિત આ મિશન આધ્યાત્મિકતા સાથે સામાજિક સેવાને જોડે છે. આ વર્ષે મિશનની ૨૫મી વર્ષગાંઠ અને ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્રના આગમનના 125 વર્ષ પૂર્ણ થવાના સંયોગે આ ઉદ્ઘાટન વધુ મહત્ત્વપૂર્ણ બન્યું છે. આ કેન્દ્ર માત્ર આર્થિક સશક્તિકરણ જ નહીં પરંતુ આધ્યાત્મિક ચિંતન માટે પણ સમય અને સ્થળ પૂરું પાડશે, જેથી મહિલાઓ સંપૂર્ણ વિકાસ પામી શકે.
નારી શક્તિનો આદર એ રાષ્ટ્રનો આદર છે. આવા પ્રોજેક્ટ્સથી ગ્રામીણ અને આદિવાસી મહિલાઓનું જીવન બદલાશે, તેમની પ્રતિભા ખીલશે અને સમાજ વધુ સમૃદ્ધ બનશે. આપણે સૌએ આવી પહેલોને સમર્થન આપીને નારી શક્તિને વધુ મજબૂત બનાવવી જોઈએ. ધરમપુરનું આ સેન્ટર દેશભરમાં પ્રેરણારૂપ બની રહેશે.

