- Opinion
- ‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ)
મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે. ઐતિહાસિક, આર્થિક અને સામાજિક રીતે જોવામાં આવે તો આ ત્રણેય સમુદાયોએ મળીને આ શહેરને આજે જે સ્વરૂપમાં આપણે જોઈએ છીએ ત્યાં સુધી પહોંચાડ્યું છે.
સાત ટાપુઓથી મહાનગર સુધી
મુંબઈ પહેલા સાત અલગ અલગ ટાપુઓનો સમુહ હતો. અહીં સૌથી પહેલા વસવાટ કરનાર આગરી, ભંડારી અને કોળી જેવા મરાઠી મૂળના સમુદાયો હતા. 13મી સદીથી 16મી સદી દરમિયાન મુંબઈ ગુજરાત સલ્તનતના અધીન હતું, જેના કારણે અનેક ગુજરાતી વાણિયા અને પારસી પરિવારો મુંબઈમાં વસવાટ કરવા લાગ્યા.
પછી પોર્ટુગીઝો અને ત્યારબાદ અંગ્રેજો દ્વારા મુંબઈનો વહીવટ હાથમાં લેવામાં આવ્યો. અંગ્રેજોએ મુંબઈને વેપાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાનું શરૂ કર્યું. અહીંથી શરૂ થાય છે ગુજરાતી અને પારસી સમુદાયનો ઊંડો સંબંધ આ શહેર સાથે.
1. ટાટા પરિવાર (નવસારીથી મુંબઈ):
જમશેદજી ટાટાએ 1868માં ટાટા ગ્રુપની સ્થાપના કરી. તેમણે ટેક્સટાઈલ, સ્ટીલ, ઓટોમોબાઇલ અને હૉસ્પિટાલિટી ક્ષેત્રોમાં નવો ચમત્કાર સર્જ્યો. ટાટા ગ્રુપ માત્ર ઉદ્યોગ માટે નહીં, પરંતુ સામાજિક વિકાસ માટે પણ અગ્રણી રહ્યું છે – જેમ કે IISc, TISS, Tata Memorial વગેરેની સ્થાપના.
2. વાડિયા પરિવાર (સુરતથી મુંબઈ):
લોવજી નૌશેરવાનજી વાડિયાએ 1736માં શિપ બિલ્ડિંગ ઉદ્યોગની શરૂઆત કરી. વાડિયા પરિવારે બ્રિટિશ નૌકાદળ માટે દુર્લભ અને મજબૂત નૌકાઓ બનાવવાની શરૂ કરી. આ ઉદ્યોગે મુંબઈને વૈશ્વિક નૌકાવહન નકશા પર મુક્યું.
3. ગોદરેજ પરિવાર (ભરૂચથી મુંબઈ):
અરદેશર ગોદરેજે 1897માં ગોદરેજ એન્ડ બોયસ શરૂ કર્યું. તેમણે ભારતના પહેલા લોક, સાબુ અને સલામતી ઉપકરણો બનાવ્યા.
4. પૂનાવાલા પરિવાર (નવસારીથી મુંબઈ):
સાયરસ પૂનાવાલાએ 1966માં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી, જે આજે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.
આ સિવાય દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પણ ગુજરાતી જ છે, મુંબઈમાં તેમણે દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર બનાવ્યું છે.
જૈન અને વાણીયાઓનું યોગદાન: હીરા ઉદ્યોગ
પાલનપુર અને ભાવનગર જેવા વિસ્તારોમાંથી આવેલા જૈન વાણીયાઓએ હીરા ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ભજવી. તેઓએ હીરાની કટિંગ, પોલિશિંગ અને નિકાસમાં મુંબઈને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી. ઓપેરા હાઉસ, ભારત ડાયમંડ બુર્સ (BDB) જેવા વિસ્તારોમાં તેમની ઊંડી હાજરી છે. આજકાલ મુંબઈની આર્થિક નબળાઈ વચ્ચે પણ હીરા ઉદ્યોગે શહેરને નાણા, નોકરી અને પ્રતિષ્ઠા આપી છે.
મરાઠી સમુદાયનું યોગદાન: શ્રમ અને સંસ્કૃતિ
મરાઠી સમુદાયે મુંબઈના સ્થાનીક વહીવટ, મિલ ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ટેક્સટાઇલ મિલોના સુસંચાલન માટે શ્રમિક તરીકે મોટી સંખ્યામાં મરાઠી લોકો આગળ આવ્યા. BMC (બ્રૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) જેવા સંસ્થાઓમાં તેમનું નેતૃત્વ જોવા મળે છે.
સાંસ્કૃતિક રીતે નાટક, સાહિત્ય અને સંગીતમાં મરાઠી પરંપરા સશક્ત રહી છે. મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવામાં મરાઠી સમુદાયની રાજકીય અને સામાજિક શક્તિ જવાબદાર રહી છે.
રાજકારણ અને વિવાદ
હાલના સમયમાં રાજકીય પક્ષો અને નેતાઓ - ખાસ કરીને રાજ ઠાકરે જેવા - ગુજરાતીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપે છે કે ‘ગુજરાતીઓ મુંબઈ પર કબજો કરી રહ્યા છે’. આ પ્રકારના નિવેદનો ઐતિહાસિક તથ્યો અને સહઅસ્તિત્વની ભાવનાને અવગણે છે.
મુંબઈ એક જ સમુદાયની મિલ્કત નથી. આ શહેર હંમેશાં અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ અને ધર્મોના મેળથી બન્યું છે. ગુજરાતી સમુદાયે માત્ર ધંધો કર્યો નથી, પણ હોસ્પિટલ, શિક્ષણ અને સામાજિક સંસ્થાઓ માટે પણ અઢળક યોગદાન આપ્યું છે.
સહઅસ્તિત્વનું શહેર
મુંબઈ એ મરાઠી શ્રમ, ગુજરાતી વ્યાપારિક કુશળતા અને પારસી દૃષ્ટિકોણ – આ ત્રણેયની ઊંડાણભરી ભેટ છે. મુંબઈને એક સમુદાયના કાચા દાવાની સામે, જરૂર છે સહિયારા ઈતિહાસ અને યોગદાનને માન્યતા આપવા. ગુજરાતી, પારસી અને મરાઠી – ત્રણેય સમુદાયોએ આ શહેરને પોતાનું ઘર બનાવ્યું છે અને સતત તેની સિદ્ધિઓમાં ફાળો આપ્યો છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
