ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ? 

ભારત એક લોકશાહી પ્રધાન દેશ છે જ્યાં નાગરિકો પોતાના મતના અધિકારથી સ્થાનિક નેતાઓથી લઈને વિધાનસભા અને લોકસભાના સદસ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દેશના વિકાસ અને જનતાની સેવા માટે કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ હાલમાં જનપ્રતિનિધિઓના પગારભથ્થા, પેન્શન અને સુવિધાઓમાં થયેલા ધરખમ વધારાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે આ જનપ્રતિનિધિઓમાંથી ઘણા આર્થિક રીતે સંપન્ન અને કરોડપતિ હોય ત્યારે તેમને આવા લાભો આપવાની શું જરૂરિયાત છે? આ વિષય પર ગંભીર ચિંતન અને જનજાગૃતિની આવશ્યકતા છે.

Parliament3
PIB

સૌથી પહેલો સવાલ એ ઉભો થાય છે કે શું જનપ્રતિનિધિઓને નોકરીયાટ ગણવા જોઈએ? જો હા તો નોકરીમાં સામાન્ય રીતે ચોક્કસ સમયગાળા બાદ જ પગારવધારો કે પેન્શનની પાત્રતા મળે છે. પરંતુ અહીં તો એક ટર્મ ચૂંટાયા પછી જ આજીવન લાભો મળવાની વ્યવસ્થા છે! આવી રીતે જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ થાય તે ન્યાયી ગણાય? ખાસ કરીને જ્યારે ઘણા સાંસદો અને ધારાસભ્યો પાસે પહેલેથી જ કરોડોની સંપત્તિ હોય ત્યારે તેમને વધારાના ભથ્થા, મફત હવાઈ મુસાફરી કે અન્ય સુવિધાઓ આપવી શા માટે જરૂરી છે?

Parliament1
PIB

આપણે એ સમજવું જોઈએ કે નાગરિકો સરકારને ટેક્સ દેશના વિકાસ માટે ચૂકવે છે નહીં કે ધનવાન જનપ્રતિનિધિઓની વૈભવી જીવનશૈલીને ટેકો આપવા માટે. જો કોઈ જનપ્રતિનિધિ આર્થિક રીતે નબળા હોય અને તેમને પોતાની જવાબદારીઓ નિભાવવા માટે સહાયની જરૂર હોય તો તેને લાભો આપવાનું યોગ્ય ગણાય. પરંતુ જેમની પાસે પહેલેથી જ પૂરતી સંપત્તિ છે તેમના માટે આવા લાભો સરકારી તિજોરી પર બિનજરૂરી ભારણ કહેવાય. આ બાબત નૈતિકતાનો પણ સવાલ ઉભો કરે છે. જે સાંસદો કે ધારાસભ્યો પોતાને જનતાના સેવક કહે છે તેમણે નૈતિકતા દાખવીને આવા લાભોનો ત્યાગ કરવો જોઈએ અને દેશના હિતને પ્રાધાન્ય આપવું જોઈએ.

આ મુદ્દો માત્ર સરકારી નીતિઓની ઉણપ નથી દર્શાવતો પરંતુ લોકશાહીમાં નાગરિકોની જવાબદારી પણ નક્કી કરે છે. આપણે નાગરિકો તરીકે આવા વિષયો પર જાગૃત રહેવું જોઈએ અને સરકારનું ધ્યાન દોરવું જોઈએ. ખાસ કરીને યુવાનો જેઓ દેશનું ભવિષ્ય છે તેમણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ, સવાલો ઉઠાવવા જોઈએ અને જનજાગૃતિ ફેલાવવી જોઈએ. 

Parliament
PIB

દેશની અને રાજ્યોની સરકારોએ પણ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. એક એવી નીતિ ઘડવી જોઈએ જેમાં જનપ્રતિનિધિઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને લાભોનું વિતરણ થાય. ઉદાહરણ તરીકે જેમની આવક ચોક્કસ મર્યાદાથી વધુ હોય તેમને આવા ભથ્થા કે સુવિધાઓમાંથી બાકાત રાખી શકાય. આવી નીતિ ન્યાયી હશે અને સરકારી નાણાંનો સદુપયોગ થશે. 

આજના સમયમાં, જ્યારે દેશ પ્રગતિની દિશામાં છે ત્યારે આવા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું અત્યંત જરૂરી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા ક્ષેત્રોમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં કે ધનવાન સાંસદોની સુવિધાઓમાં વધારો કરવામાં. જો સરકાર અને જનપ્રતિનિધિઓ ખરેખર દેશના હિતની ચિંતા કરતા હોય તો તેમણે આવા લાભોનો ત્યાગ કરીને નૈતિક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ ત્યારે જ ભારતની લોકશાહી સાચા અર્થમાં મજબૂત બનશે.

Related Posts

Top News

શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ...
Gujarat 
શ્રી શ્રી રવિ શંકરે સોમનાથ મંદિરના શિવલિંગ પર એવું શું કહી દીધું કે હોબાળો થયો

તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગ છે. IPL ટુર્નામેન્ટ હંમેશા ખૂબ જ ખાસ રહી છે. ...
Sports 
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી...
Gujarat 
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી...
National 
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.