- Politics
- મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મ...
મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીનો પિત્તો ગયો હતો. તેમણે ચૂંટણી કમિશનરને અત્યાર સુધીના સૌથી "અહંકારી" અધિકારી ગણાવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જીએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું, "હું ખૂબ જ દુઃખી છું. હું લાંબા સમયથી રાજનીતિમાં છું, 7 વાર સાંસદ અને 4 વાર મંત્રી રહી ચૂકી છું, પરંતુ મેં આટલા અહંકારી અને જુઠ્ઠા ચૂંટણી કમિશનર ક્યારેય જોયા નથી. મેં તેમને સ્પષ્ટ કહ્યું કે હું તમારી ખુરશીનું સન્માન કરું છું, પરંતુ યાદ રાખજો કે કોઈ પણ ખુરશી કાયમી હોતી નથી."

મમતા બેનર્જીએ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા (SIR) પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ શાસિત આસામમાં આ પ્રક્રિયા કરવામાં આવી નથી, પરંતુ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુને નિશાન બનાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીનો આરોપ છે કે બંગાળમાં 58 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને પોતાનો બચાવ કરવાની તક પણ આપવામાં આવી નથી.
તેમણે કહ્યું કે, "SIRના નામે લોકો પાસે તેમના પિતાના જન્મ પ્રમાણપત્ર માંગવામાં આવે છે. પહેલાના જમાનામાં પ્રસૂતિ ઘરોમાં થતી હતી, હોસ્પિટલોમાં નહીં. શું વડાપ્રધાન પાસે તેમના માતા-પિતાનું ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી સર્ટિફિકેટ છે?"
https://twitter.com/ANI/status/2018268354524688845
સોમવારે દિલ્હીના ચાણક્યપુરી સ્થિત 'બંગ ભવન' બહાર મમતા બેનર્જી અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મમતાએ આરોપ લગાવ્યો કે બંગ ભવનમાં રોકાયેલા બંગાળના પરિવારોને દિલ્હી પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું- "હું અહીં આંદોલન કરવા નથી આવી, જો હું આંદોલન પર ઉતરી હોત તો તમે તમારો સંયમ ગુમાવી બેઠા હોત. દિલ્હી હવે જમીનદારી જેવી થઈ ગઈ છે જ્યાં ગરીબો માટે કોઈ જગ્યા નથી."
ટીએમસીના મીડિયા નિવેદન મુજબ, 15 સભ્યોના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચના મુખ્યાલયની મુલાકાત લીધી હતી, જેમાં મમતા બેનર્જી, અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી અને SIRથી પ્રભાવિત 12 પરિવારોના સભ્યોનો સમાવેશ થાય છે. આમાં પાંચ મતદારોનો સમાવેશ થાય છે જેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓમાંથી પાંચ એવા પરિવારના સભ્યો હતા જેમનું SIR નોટિસ મળ્યા પછી મૃત્યુ થયું હતું. વધુમાં, ત્રણ પરિવારોના સભ્યો હાજર હતા જેમના BLOs (BLOs) મૃત્યુ પામ્યા હતા, કથિત રીતે કામના ભારણને કારણે.

તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જીએ આ પ્રવાસ બજેટ સત્ર દરમિયાન એટલે પસંદ કર્યો છે કારણ કે તમામ વિપક્ષી નેતાઓ અત્યારે દિલ્હીમાં હાજર છે. તેઓ SIR પ્રક્રિયા વિરુદ્ધ અન્ય વિપક્ષી દળોનું સમર્થન મેળવવા માંગે છે. નોંધનીય છે કે તેમણે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે.
મમતા બેનર્જી 5 ફેબ્રુઆરી પહેલા કોલકાતા પરત ફરે તેવી શક્યતા છે, કારણ કે તે દિવસે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 'વોટ ઓન એકાઉન્ટ' રજૂ થવાનું છે. અત્યારે દિલ્હીમાં બંગ ભવન અને નિર્વાચન સદન (ચૂંટણી પંચ ઓફિસ) બહાર ભારે પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

