- Politics
- ચૈતર વસાવાને 7 દિવસના જામીન તો મળ્યા પણ શરતો બહુ અઘરી છે
ચૈતર વસાવાને 7 દિવસના જામીન તો મળ્યા પણ શરતો બહુ અઘરી છે
ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકે તે માટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમના જામીનનો સમયગાળો જેલમાંથી મુક્ત થયાની તારીખથી શરૂ થશે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય સાત આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.
વચગાળાના જામીન મંજૂર કરતી વખતે હાઈકોર્ટે ચૈતર વસાવા પર અનેક શરતો અને નિયંત્રણો લાદ્યા છે. જામીનગાળા દરમિયાન તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં, કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં, જાહેર સભાને સંબોધી શકશે નહીં કે મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં.
કોર્ટે ખાસ નિર્દેશ આપ્યો છે કે મીડિયા દ્વારા ચૈતર વસાવાનો કોઈ ઈન્ટરવ્યુ લેવામાં આવે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે તેમની જામીન અરજીની કાર્યવાહી અંગે થયેલા ખોટા રિપોર્ટિંગ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાના વકીલે કોર્ટની તમામ સૂચનાઓ અને લાદવામાં આવેલી શરતોનું પાલન કરવાની બાંહેધરી આપી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ટાંક્યું હતું કે એક તરફ ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ સરકાર તેમની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરી રહી છે. સરકારી વલણમાં રહેલા આ વિરોધાભાસ સામે કોર્ટે સવાલ કર્યો હતો.
આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે વિધાનસભામાં હાજરી આપવાનું આમંત્રણ ધારાસભાના નિયમો અનુસાર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, જો જામીન આપવામાં આવે તો તે વિધાનસભાના ત્રણ દિવસના સત્ર પૂરતા એટલે કે માત્ર ત્રણ દિવસ સુધી જ મર્યાદિત રાખવામાં આવે. ઉપરાંત, ચૈતર વસાવા રાજકીય પ્રવૃત્તિઓ ન કરે કે મીડિયાને સંબોધિત ન કરે તેવી શરતો મૂકવાની પણ માંગ કરી હતી.
આ પહેલા 24 ઓગસ્ટે હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. તે સમયે કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ શરતી જામીન પર મુક્ત થયા હોવા છતાં તેઓ પાછળથી અન્ય ગુનામાં સામેલ થયા હતા. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે લોકોમાં એવી ગેરસમજ છે કે સત્તામાં બેઠેલા લોકો કસ્ટડીમાંથી મુક્તિ મેળવી શકે છે.
ચૈતર વસાવા સામેનો આ કેસ જમીન વિવાદ અંગે વન વિભાગના એક અધિકારીને પોતાના નિવાસસ્થાને બોલાવી, તેમની સાથે મારપીટ કરવા, ધમકી આપવા અને હવામાં ગોળીબાર કરવાના આરોપ સાથે જોડાયેલો છે. આ મામલે નર્મદા પોલીસે ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો સામે આઈપીસી (IPC) ની કલમ 141, 143, 149, 186, 294, 353 અને 386 તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ગુનો નોંધ્યો હતો.
નર્મદા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકારવામાં આવ્યા બાદ, ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે.

