- Politics
- પશ્ચિમ બંગાળ માટે ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, આપ્યા 20 વચન
પશ્ચિમ બંગાળ માટે ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, આપ્યા 20 વચન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે પોતાનું ચૂંટણીલક્ષી સંકલ્પ પત્ર (મેનિફેસ્ટો) જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંકલ્પ પત્ર રજૂ કરતા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને બંગાળની જનતાને ભયમુક્ત શાસનનું વચન આપ્યું હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે, બંગાળની જનતા માટે છેલ્લા 15 વર્ષ ખૂબ જ ડરામણા રહ્યા છે. વર્ષોના કોમ્યુનિસ્ટ શાસનમાંથી મુક્તિ મેળવવા માટે લોકોએ મમતા દીદીને સત્તા સોંપી હતી. તેમણે પાંચ વર્ષ ઓછા હોવાનું કહીને બીજી વાર મેન્ડેટ મેળવ્યો અને ત્રીજી વાર સિન્ડિકેટ, ગુંડાઓ અને ઘૂસણખોરોની મદદથી બહુમતી મેળવી. પરંતુ જે આશા સાથે જનતાએ તેમને સત્તા આપી હતી, તે આજે નિરાશામાં ફેરવાઈ ગઈ છે. બંગાળની જનતા હવે મનથી પરિવર્તન ઈચ્છે છે.
મોદી સરકારના કામોનો ઉલ્લેખ અમિત શાહે ઉમેર્યું કે, છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસના ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોદી સરકારે માત્ર દેશની સમસ્યાઓનું નિરાકરણ જ નથી કર્યું, પરંતુ ભારતને દુનિયામાં વિકાસની રેસમાં આગળ લાવીને ‘ફ્રન્ટ રનર’ બનાવ્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી દરેક વર્ગની આકાંક્ષાઓ પૂરી કરીને એક મજબૂત અને વિકસિત ભારતનું નિર્માણ કર્યું છે.

વિકસિત બંગાળનો રોડમેપ ભાજપના સંકલ્પ પત્ર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, અમારું સંકલ્પ પત્ર એ બંગાળની જનતા માટે ‘ભરોસાની શપથ’ છે. આ બંગાળને વિકસિત બનાવવાનો એક રોડમેપ છે. બંગાળી નવા વર્ષના દિવસથી આ સંકલ્પ સાથે અમારી પ્રચાર યાત્રા શરૂ થશે. અમને પૂરો વિશ્વાસ છે કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ સુધીમાં બંગાળ ભયના ઓથારમાંથી બહાર આવશે અને રાજ્યમાં ભરોસાનું શાસન સ્થપાશે. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે પશ્ચિમ બંગાળની જનતા આ વખતે ભાજપને પાંચ વર્ષ સેવા કરવાની તક ચોક્કસ આપશે.
ભાજપના સંકલ્પ પત્રની મુખ્ય જાહેરાતો:
- ઘૂસણખોરી પર રોક: અમારી સરકાર ઘૂસણખોરી સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવશે. જો ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનશે, તો 'ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ' પોલિસી હેઠળ એક-એક ઘૂસણખોરને શોધીને બંગાળની બહાર કાઢવામાં આવશે.
- સરકારી કર્મચારીઓ માટે: તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) સુનિશ્ચિત કરાશે. સરકાર બન્યાના 45 દિવસમાં 7મું પગાર પંચ લાગુ કરવામાં આવશે.
- મહિલાઓને સહાય: મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાઓની સ્થિતિ સુધારવા માટે ભાજપ સરકાર દરેક મહિલાના બેંક ખાતામાં દર મહિને 1 થી 5 તારીખ વચ્ચે ₹3,000 જમા કરશે.
- કેન્દ્રીય યોજનાઓ: આયુષ્માન ભારત સહિત કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ બંગાળમાં લાગુ કરવામાં આવશે.
- મહિલા આરોગ્ય: મહિલાઓ માટે મફત રસીકરણ, કેન્સર સ્ક્રિનિંગ અને હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિની સુવિધા સુનિશ્ચિત કરાશે.
- UCC (સમાન નાગરિક સંહિતા): સરકાર બન્યાના 6 મહિનામાં બંગાળમાં UCC લાગુ કરવામાં આવશે, જેથી તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હોય.
- પશુ તસ્કરી: બંગાળની સરહદ પરથી એક પણ ગાયની તસ્કરી ભારતની બહાર નહીં થાય તેની ખાતરી અપાશે.
- રોજગારી: ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપીને 1 કરોડ રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરાશે.
- બેરોજગારી ભથ્થું: બેરોજગાર યુવાનોને દર મહિને ₹3,000 ની આર્થિક સહાય આપવામાં આવશે.
- ભ્રષ્ટાચાર સામે તપાસ: TMC ના 15 વર્ષના ભ્રષ્ટાચાર પર 'વ્હાઇટ પેપર' (શ્વેતપત્ર) જાહેર કરાશે અને ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરાશે.
- રાજકીય હિંસાની તપાસ: રાજ્યમાં થયેલી તમામ રાજકીય હિંસાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ એક કમિશન બનાવવામાં આવશે.
- કાયદો અને વ્યવસ્થા: કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર શ્વેતપત્ર જાહેર કરાશે, જેમાં છેલ્લા 15 વર્ષની નિષ્ફળતાઓ અને ભવિષ્યમાં તેને સુધારવાની યોજના જણાવાશે.
- ત્રણ શ્વેતપત્ર: ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને કાયદો-વ્યવસ્થા પરના ત્રણ શ્વેતપત્ર બંગાળની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવશે.
- મહિલા સુરક્ષા: મહિલાઓની સુરક્ષા માટે ખાસ પોલીસ બટાલિયન, 'દુર્ગા સુરક્ષા સ્ક્વોડ' અને સ્વબચાવની તાલીમ માટે અલગ ટીમ બનાવવામાં આવશે.
- ખેડૂતો માટે: ડાંગર, બટાકા અને કેરીની ખેતી કરતા ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અપાશે. સરકાર ડાંગરની ખરીદી ₹3100 ના ભાવે કરશે, જેથી ખેડૂતોને સસ્તા ભાવે પાક વેચવો ના પડે.
- અર્થતંત્રનો રોડમેપ: બંગાળના અર્થતંત્રને મજબૂત કરવા માટે પ્રથમ 100 દિવસમાં એક ખાસ રોડમેપ તૈયાર કરાશે.
- બ્લૂ ઈકોનોમી: બંગાળને માછલી અને દરિયાઈ ઉત્પાદનોના નિકાસનું કેન્દ્ર બનાવવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
- ચાના બગીચા: જૂના ચાના બગીચાઓને નવું જીવન આપવા અને 'દાર્જિલિંગ ટી' બ્રાન્ડને વિશ્વપ્રસિદ્ધ બનાવવા માટે એક કમિશન રચાશે, જે એક વર્ષમાં પોતાનો રિપોર્ટ આપશે.
- શણ (જ્યુટ) ઉદ્યોગ: શણ ઉદ્યોગના આધુનિકીકરણ માટે ભારત સરકારની યોજનાઓને છેક નીચેના સ્તર સુધી પહોંચાડવામાં આવશે.
- શિક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ: ઉત્તર બંગાળના વિવિધ જિલ્લાઓમાં AIIMS, IIM, IIT અને ફેશન ડિઝાઇનિંગની સંસ્થાઓ ખોલવામાં આવશે.

