- Politics
- શું સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના છે, 28 તારીખે તેમણે...
શું સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના છે, 28 તારીખે તેમણે...
કર્ણાટકમાં રાજકીય ઉથલ-પાથલ પર વિરામ લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 28 મેના રોજ એટલે કે આ ગુરુવારે તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ અગાઉ મંગળવારે, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા 28 મેના રોજ મુખ્યમંત્રી પદ છોડી દેશે. તેઓ આ પહેલા બુધવારે બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરે તેવી પણ અપેક્ષા છે.
સિદ્ધારમૈયા 28 મેના રોજ તેમના નિવાસસ્થાને કેબિનેટ માટે બ્રેકફાસ્ટ મીટિંગનું આયોજન કરશે. કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા બુધવારે બેંગલુરુ પહોંચશે. આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે, સૂરજેવાલા મુખ્ય પક્ષના નેતાઓ સાથે મીટિંગ કરે તેવી શક્યતા છે.
આ અગાઉ, આજે દિલ્હીમાં ઘણા કલાકો સુધી ચાલેલી મેરેથોન મીટિંગો બાદ, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે મેરાથન બેઠકમાં આગામી રાજ્યસભા અને MLC ચૂંટણીઓ પર જ ચર્ચા થઇ છે. તમે લોકો મુખ્યમંત્રી બદલવાની જે અટકળો લગાવી રહ્યા છો, તેમાં કોઈ સત્ય નથી.
વેણુગોપાલે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વિગતવાર બેઠક કરી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, કર્ણાટક પાર્ટીના પ્રભારી રણદીપ સૂરજેવાલા અને હું આ બેઠકનો ભાગ હતા. આખી વાતચીત આગામી રાજ્યસભા અને MLC ચૂંટણીઓ પર કેન્દ્રિત હતી. તમે જે અટકળો લગાવી રહ્યા છો તેમાં કોઈ તથ્ય નથી; કોઇ વાસ્તવિકતા નથી. આજની બેઠકમાં બસ આજ નક્કી થયું છે. પરંતુ, આ નિવેદન પછી, સૂત્રોના સંદર્ભે એવા અહેવાલો બહાર આવ્યા છે કે બેઠક દરમિયાન, કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રાજીનામું આપવા કહ્યું હતું.
કોંગ્રેસ હાઇકમાન્ડે તેમને રાજ્યસભામાં મોકલવાની વાત કહી હતી અને તેમને દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીની ખાતરી આપી હતી; જોકે, સિદ્ધારમૈયા તેના માટે સહમત નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતૃત્વ ઇચ્છે છે કે સિદ્ધારમૈયા પાર્ટીના અગ્રણી OBC ચહેરાઓમાંથી એક તરીકે ઉભરી આવે. રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણી અગાઉ સામાજિક ન્યાય અને જાતિ પ્રતિનિધિત્વ અંગે કોંગ્રેસની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથેની આ મેરેથોન બેઠકો દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે OBC મતોને મજબૂત કરવા માટે દિલ્હીમાં સિદ્ધારમૈયાની જરૂર છે. સિદ્ધારમૈયાનું રાજકીય કદ કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે જો સિદ્ધારમૈયા તેમના પદ પરથી રાજીનામું આપીને રાજ્યસભામાં બેઠક સ્વીકારે છે, તો પાર્ટી નેતૃત્વએ તેમને ખાતરી આપી છે કે તેમની અન્ય બધી ચિંતાઓનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં આવશે. પરંતુ કહાની અહીં સમાપ્ત ન થઈ. થોડા સમય બાદ, અહેવાલો બહાર આવ્યા કે સિદ્ધારમૈયા તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. પરંતુ મોડી રાત્રે અહેવાલો સામે આવ્યા કે સિદ્ધારમૈયા ગુરુવારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે.
નોંધનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીમાં સત્તા વહેંચણી અંગે અટકળો વારંવાર સામે આવી રહી છે. ડી.કે. શિવકુમારના સમર્થકોનો દાવો છે કે 2023ની વિધાનસભા ચૂંટણી બાદ તેમને મુખ્યમંત્રી પદનું વચન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતૃત્વએ હજુ સુધી કર્ણાટકમાં સંભવિત નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

