- Politics
- શું જયેશ રાદડિયાને નજીકના સમયમાં ગુજરાતની રાજનીતિમાં અગત્યની ભૂમિકાની જવાબદારી સોંપશે ભાજપ?
શું જયેશ રાદડિયાને નજીકના સમયમાં ગુજરાતની રાજનીતિમાં અગત્યની ભૂમિકાની જવાબદારી સોંપશે ભાજપ?
ગુજરાતમાં ભાજપની સરકાર અવિરત પોતાની ભજવી વિજયપતાકા લહેરાવી રહી છે અને સ્થિર સરકાર ચાલતી આવી છે. ઘણીવાર સરકાર અને સંગઠનમાં સ્થાનિક નેતૃત્વની કાર્યશૈલીમાં રહી જતી ક્ષતિઓ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકાથી ઠરીઠામ થતી આવી છે.

ગુજરાતમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમ ભૂમિકા ભજવી રહ્યા છે અને નવા મંત્રીમંડળના મંત્રીઓ હજુસુધી કોઈ વિવાદ વિના કામગીરી કરી રહ્યા છે એ એક મજબુત પાસું હાલ પુરવાર થઈ રહ્યું છે. સંગઠનની વાત સમજીએ તો સીઆર.પાટીલના કાર્યકાળમાં ગુજરાત ભાજપનું સંગઠન સાવ ખાડે ગયું, કાર્યકર્તાઓનું મનોબળ તૂટ્યું, વડીલ શીર્ષસ્થ કાર્યકર્તાઓની અવગણના થઈ અને સંગઠનમાં ના થવાનું અણછાજતું બધુ જ થયું પરંતુ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ આ બધા જ બગડેલા સમીકરણો ઠરીઠામ કરીને કાર્યકર્તાઓને સાથે લઈને આગળ વધતા જણાઈ રહ્યા છે. જૂના નવા કાર્યકર્તાઓમાં જૂની ભાજપ અને મૂળ સંગઠનની વિચારધારા પાછી આવી રહી છે એવી આશાનું કિરણ ઉદભવ્યું છે.

સૌરાષ્ટ્ર ભાજપમાં દિગ્ગજ યુવા નેતા કહેવાતા જયેશ રાદડિયા માટે છેલ્લા કેટલાક સમયથી સંજોગો અને સમીકરણો વિપરીત રહ્યા જેના માટે વિશ્વનીય સૂત્રોનું માનવું છે કે આ માટે પૂર્વાધ્યક્ષ સીઆર. પાટીલની નારાજગી જવાબદાર છે. હાલ ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખામાં પ્રશાંત કોરાટને મહામંત્રીની જવાબદારી આપવામાં આવી છે ત્યારથી ફરીથી જયેશ રાદડિયાની શું જવાબદારી આપવામાં આવશે અને આપવામાં આવશે કે નહીં એની ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપમાં મહેનત કરનાર કાર્યકર્તાની વહેલી મોડી પણ ચોક્કસ કદર થાય છે એટલે એ વાતમાં તથ્ય નથી કે યુવા નેતા જયેશ રાદડિયાને પડતા મૂકાય. પક્ષને સૌરાષ્ટ્રમાં પ્રત્યક્ષ એક મજબૂત નેતૃત્વની હાલ ખોટ જણાય તો રહી છે પરંતુ બની શકે કે યોગ્ય સમયની રાહ જોવાતી હોય. આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં અગત્યની ભૂમિકા ભજવશે એવી ચર્ચાઓ પણ ભાજપના સંગઠનના અનુભવી લોકોમાં થઈ રહી છે. જયેશ રાદડિયા સંયમ અને શિસ્તની પક્ષની મર્યાદા જો જાળવી શકશે તો ચોક્કસથી આવનારા સમયમાં ગુજરાતની સૌરાષ્ટ્રની પાટીદાર સમાજથી રાજનીતિના કેન્દ્રબિંદુમાં હશે એમાં કોઈ મીનમેખ જણાતી નથી.

