- Politics
- નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે...
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે...
છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. તેમણે CM બન્યા પછી 4 જ મહિનામાં ખુરશી છોડી દીધી છે અને રાજ્યસભા જવા માગે છે. તમે જાણતા જ હશો કે રાજ્યસભા મોટાભાગે એવા લોકોનું સદન છે જેઓ સિનિયર છે એટલે કે રાજકારણમાંથી રિટાયર થવાના છે. એટલે એક રીતે તેમની રિટાયરમેન્ટની ઊંધી ગણતરી શરૂ થઇ ગઇ છે.
આપણા દેશના રાજકારણમાં આ કદાચ પહેલીવાર બન્યું છે કે કોઇ CMની પોસ્ટ છોડીને સીધા રાજ્યસભા જાય. અગાઉ શરદ પવાર, દિગ્વિજયસિંહ, બીજુ પટનાયક જેવા નેતાઓ CM રહ્યા પછી રાજ્યસભા ગયા હતા પરંતુ નીતિશ કુમારની જેમ રાજ્યની સત્તા છોડીને રાજ્યસભા જવું એવી ઘટના બની હોય તેવું જાણવા મળ્યું નથી.
તો પછી સવાલ થાય છે કે એવી તે શું જરૂર પડી કે નીતિશ કુમારે આ પગલું લીધું. પહેલું કારણ એ હોઇ શકે છે કે તેમની ઊંમર 75 વર્ષ જેટલી થઇ ગઇ છે. હવે તેમની શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પણ CM પદને લાયક નથી રહ્યું. એ પરિસ્થિતિમાં જો તેઓ ચાલુ રહે તો પાર્ટીને મોટું નુક્સાન થઇ શકે. તેમણે અને તેમની પાર્ટીઓ વિચાર્યું હોય કે આ સમયે જો તેઓ ભવિષ્યની યોજના બનાવી લે તો પાર્ટી બચી શકે છે.
ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે કોઇ મજબૂત નેતાની આજુબાજુ રચાયેલી પાર્ટી જો સમયસર ભવિષ્યની યોજના નથી બનાવતી તો તે ખતમ થઇ જાય છે. આનો તેમને પોતે પણ અનુભવ છે. મોટા નેતા જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મળીને નીતિશ કુમારે રચેલી સમતા પાર્ટી ખતમ થઇ જવાની હતી. ત્યારે નીતિશ કુમારે જેડીયુ બનાવીને સંગઠન બચાવી લીધું હતું. જોકે, બધાની સાથે એવું બનતું નથી. હરિયાણામાં બંસીલાલે હરિયાણા વિકાસ પાર્ટી બનાવી હતી જે અંતે કોંગ્રેસમાં મર્જ થઇ ગઇ. તે રીતે જ તામિલનાડુમાં જીકે મુપનારની તમિલ મનીલા કોંગ્રેસ પાછી કોંગ્રેસમાં જોડાઇ ગઇ. આમ, નાની પાર્ટીઓ બને તો છે પરંતુ તેના મોટા નેતા ન રહે ત્યારે તે પાછી મોટી પાર્ટીઓમાં મર્જ થવા મજબૂર બને છે.
તો શું જેડીયુમાં વિભાજનનો ડર હતો?
નીતિશ કુમાર ખૂબ જ અનુભવી નેતા છે. તેમણે CM પદ છોડીને જેડીયુને બચાવવાનોં પેંતરો અપનાવ્યો હોય તેવું લાગે છે. કારણ કે જ્યારે તેમને CM બનાવ્યા ત્યારે જ ભાજપ તરફથી કોઇ પોઝિટિવ સંકેતો ન હતા. પરંતુ નીતિશ કુમારે ભાજપને ફાવવા ન દીધી. તેઓ ધરાર CM બન્યા. તેમની પાર્ટીએ 85 અને ભાજપે 89 બેઠકો જીતી. આમ હાલ બિહારમાં એક રીતે ભાજપ અને જેડીયુ સરખે સરખી સ્ટ્રેન્થ ધરાવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે રાજકારણ કરે તે જોતાં તેઓ જો લાંબો સમય CMની ખુરશી પર ચીટકીને બેસી રહે તો બાવાને બેઊ બગડે તેવો ઘાટ થવાની શક્યતા હતી. ભાજપ પહેલાથી જ તેમને CM બનાવવા તૈયાર ન હતું.
બિહાર વિધાનસભાનું ગણિત
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. સરકાર બનાવવા 122 જોઇએ. ભાજપ પાસે 89 છે અને જેડીયુ વગર એનડીએની 102 સીટ થાય. આમ, ભાજપે પોતાના બળે સરકાર રચવા 20 બેઠકો જોઇએ. તે એ પરિસ્થિતિમાં જ શક્ય છે જો જેટીયુમાં વિભાજન થાય. જેડીયુમાં વિભાજનમાં એક તૃત્યાંશ બેઠકો તોડવી પડે એટલે કે 28 જેટલા ધારાસભ્યોને તોડવા પડે જે ભાજપ માટે કોઇ મોટી વાત નથી. મહારાષ્ટ્રમાં તે કરી જ બતાવ્યું છે. આ અનુભવને જોતા નીતિશ કુમારે CM પદ છોડી દીધું હોવાનું વિશ્લેષકો કહે છે.

નીતિશ કુમારે પાર્ટી બચાવી છે
એટલે એક યા બીજી રીતે તેમને ખુરશી છોડવી પડે તેમ હતી. જો તેઓ ખુરશી ન છોડે તો જેડીયુમાં વિભાજન થઇ જાય તેવી શક્યતાઓ દેખાતી હતી. જો વિભાજન થાય તો તેમણે CM પદ છોડવું પડે. એટલે નીતિશ કુમારે પાર્ટીને બચાવવા CM પદ જતું કર્યું હોવાનું દેખાઇ રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે તેઓ પોતાની પાર્ટીને બચાવવા માટે દીકરાને બિહારમાં ચોકીદાર તરીકે મૂકી દેશે અને પોતે દિલ્હીથી રાજનીતિ કરશે. આમ, હાલ તો સત્તા અને પાર્ટી બન્ને બચાવવી હોય તો આ એક જ રસ્તો હતો. જોકે, નીતિશ કુમારે બિહાર છોડ્યા પછી પાર્ટી કેટલી બચશે તે મોટો સવાલ છે.

