- World
- અમેરિકાએ ભારતને હંમેશાં છેતર્યું છે
અમેરિકાએ ભારતને હંમેશાં છેતર્યું છે
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો લાંબા સમયથી જટિલ અને અવિશ્વાસપૂર્ણ રહ્યા છે. અનેક ભારતીયોનું માનવું છે કે અમેરિકાએ વારંવાર ભારતને છેતર્યું છે. ભારતના વ્યૂહાત્મક હિતોને અવગણ્યા છે અને પોતાના રાષ્ટ્રીય સ્વાર્થ માટે ભારતને પડતું મૂક્યું છે. આ વાત અતિશયોક્તિભરી નથી પરંતુ ભૂતકાળની ઘટનાઓ પર આધારિત છે. અમેરિકાની વિદેશનીતિ હંમેશાં તેના ભૂરાજનીતિક હિતોને પ્રાથમિકતા આપે છે જેમાં ભારતને વારંવાર નુકસાન થયું છે. આ અહેવાલમાં આવા મુખ્ય દાખલાઓનું વિશ્લેષણ કરીશું...
શીત યુદ્ધના કાળમાં અમેરિકાએ પાકિસ્તાનને વ્યાપક સૈન્ય સહાય આપી. 1965ના ભારતપાક યુદ્ધમાં અમેરિકાએ આપેલા હથિયારો અને ટેન્કોનો પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઉપયોગ કર્યો. ભારતે નોનએલાઈન્ડ મૂવમેન્ટ અપનાવી ત્યારે અમેરિકાએ તેને અવગણ્યું અને પાકિસ્તાનને SEATO તથા CENTO જેવા ફોરમોમાં સામેલ કરીને ભારતને ઘેરી લીધું. ભારત માટે સ્પષ્ટ એ છેતરપિંડી હતી કારણ કે લોકતાંત્રિક ભારતને બદલે સૈન્ય શાસનવાળા પાકિસ્તાનને વધુ મહત્વ આપવામાં આવ્યું.

1971નું બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ આ વિષયનું સૌથી મોટું ઉદાહરણ છે. રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન અને હેનરી કિસિન્જરે પાકિસ્તાનનો પક્ષ લીધો. તેઓએ ઇન્દિરા ગાંધીને ‘witch’ કહી અપમાન કર્યું અને યુએસ નેવીનું ન્યુક્લિયર સુવિધા ધરાવતું US Enterprise જહાજ બંગાળના અખાતમાં મોકલીને ભારતને ધમકી આપી. આ ન્યુક્લિયર બ્લેકમેલ હતું. આ ઘટનાએ ભારતને સોવિયેત યુનિયન તરફ વાળ્યું અને અમેરિકા પરનો અવિશ્વાસ કાયમી બનાવ્યો.

પરમાણુ ક્ષેત્રે પણ અમેરિકાએ ભારતને અવરોધ્યું. 1974ના ‘સ્માઈલિંગ બુદ્ધા’ અને 1998ના પોખરણ-2 પરીક્ષણો પછી અમેરિકાએ આર્થિક સેન્ક્શન લાગુ કર્યા. તેણે સુપરકોમ્પ્યુટર, ક્રાયોજેનિક એન્જિન અને અન્ય અદ્યતન ટેક્નોલોજી નકારી કાઢી. આથી ભારતે આત્મનિર્ભર બનવું પડ્યું અને વિકાસમાં વર્ષોનો વિલંબ થયો. તે જ સમયે અમેરિકાએ પાકિસ્તાનને પરમાણુ સહાય આપવાનું ચાલુ રાખ્યું.
આર્થિક ક્ષેત્રે પણ છેતરપિંડી ચાલુ છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વારંવાર ઊંચા ટેરિફ્સ લગાવ્યા છે. તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ 50% ટેરિફ્સ લાગુ કરવામાં આવ્યા અને સુધારા આજેય થઈ રહ્યા છે. રશિયન તેલ ખરીદવા બદલ CAATSA સેન્ક્શનની ધમકી, H-1B વીઝા પર પ્રતિબંધ અને વેપાર વિવાદોમાં ભારતને નુકસાન પહોંચાડવું એ અમેરિકાની નીતિનું નવું સ્વરૂપ છે. આ બધું ભારતની આર્થિક સ્વાયત્તતા અને વિકાસને અવરોધે છે.
જો કે, 2008ના સિવિલ ન્યુક્લિયર ડીલ અને QUAD જેવા સંગઠનોમાં સહયોગ પણ થયો છે પરંતુ તે પણ અમેરિકાના ચીન વિરોધી વ્યૂહમાંથી આવે છે નહીં કે ભારતના હિત માટે. આથી વિશ્વાસની ખોટ તો કાયમ રહે છે.

તારણ એ જ છે કે... અમેરિકાએ ભારતને વારંવાર છેતર્યું છે તેના અસંખ્ય પુરાવા છે. આ પાઠ શીખીને ભારતે ‘આત્મનિર્ભર ભારત’ અને વિવિધપૂર્ણ વિદેશ નીતિ અપનાવવી જોઈશે. અમેરિકા સાથે વ્યવહારિક સંબંધો રાખવા જોઈએ પરંતુ આંધળા વિશ્વાસ વિના. માત્ર આ રીતે જ ભારત વૈશ્વિક મંચ પર સ્વાભિમાની અને સશક્ત બની શકશે.

