- South Gujarat
- સરદારે સ્થાપેલા આ એકમાત્ર આશ્રમની તેઓ FDના વ્યાજથી ચલાવવાની વ્યવસ્થા કરી ગયા
સરદારે સ્થાપેલા આ એકમાત્ર આશ્રમની તેઓ FDના વ્યાજથી ચલાવવાની વ્યવસ્થા કરી ગયા
(બારડોલી સ્વરાજ આશ્રમ થી હરેન્દ્રસિંહ બારડ). નારાયણભાઈ દેસાઇએ કહ્યું હતું કે, “સત્યાગ્રહ અને રચનાત્મકતા એ બેય પાસાનો સંગમ બારડોલીમાં થયો એટલે જ બારડોલી સત્યાગ્રહ આટલો સફળ રહ્યો હતો.” તેમણે બારડોલીને સત્યાગ્રહની પ્રયોગશાળા ગણાવી હતી. દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ગણાતા બારડોલી સત્યાગ્રહના વિજય પછી બારડોલી એ ઐતિહાસિક સ્થળ બન્યું. સરદાર પટેલ એટલા ખાનદાન હતા કે, તેમણે પોતાના નિવાસ સ્થાનની જાળવણીનો ખર્ચનો આશ્રમ પર ભાર ન પડે એ માટેની પણ પૂરી વ્યવસ્થા તેઓ કરી ગયા હતા. તેમણે આશ્રમની ભવિષ્યમાં જાળવણી કરવા માટે રૂ. 60 હજારની ફિક્સ ડિપોઝિટ મૂકી હતી અને તેના વ્યાજમાંથી જ આશ્રમની જાળવણી થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.”
બારડોલી સ્વરાજ આશ્રમના માનદ મંત્રી નિરંજનાબેન કલાર્થીએ અમારી ટીમ સાથે સરદાર પટેલ અને સ્વરાજ આશ્રમ સાથે વિગતવાર વાતચીત કરી હતી. સરદાર પટેલના આશ્રમ અને આશ્રમ સાથે જોડાયેલા નાનામાં નાના માણસો માટેની લાગણી અંગે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, “સરદાર સાહેબ નાનામાં નાના વ્યક્તિઓની અને આશ્રમવાસીઓની ઝીણવટભરી કાળજી રાખતા.” તેઓ નાનપણનો એક પ્રસંગ યાદ કરતાં જણાવે છે કે, “આશ્રમના એક સેવકભાઈ ખરજવાના રોગથી ત્રાસીને ડિપ્રેશનમાં આવી ગયા, તેથી તેમણે આશ્રમનું કામ છોડી દીધું હતું!, થોડા વખત પછી સરદાર સાહેબને બારડોલી આવવાનું થયું અને પેલા સેવકભાઈને યાદ કરીને તેમના વિષે પૂછપરછ કરી કે તેઓ કેમ દેખાતા નથી? સરદાર પટેલે અન્ય આશ્રમવાસીઓ પાસેથી હકીકત જાણી અને તેઓ તુરંત સેવકભાઈને મળવા ગયા. તેમની સારવારની તમામ વ્યવસ્થા સરદાર સાહેબે જાતે કરી હતી.”
“સરદાર પટેલના આશ્રમ અને આશ્રમવાસીઓ પ્રત્યેની લાગણીને કારણે જ બારડોલીનો આ સ્વરાજ આશ્રમ અદ્ભુત ત્યાગની વિરાસતથી રચાયેલી સંસ્થા બની છે એના ઉદ્દેશો માત્ર સેવાપરત રખાયેલા છે.એમ તેમણે ઉમેર્યું હતું.સ્વરાજ આશ્રમના ઇતિહાસ અંગે વાત કરતાં તેઓ નિરંજના કલાર્થીએ જણાવ્યુ હતું કે, “આ આશ્રમ સત્યાગ્રહમાં લડનારાઓ માટે બનાવવામાં આવ્યું હતું, સ્વરાજ માટે નીકળેલા લોકો માટેનું આશ્રમ એટલે સ્વરાજ આશ્રમ એવું નામ પડ્યું. 1928ની સાલમાં બારડોલી સત્યાગ્રહ સમયે આ આશ્રમ પુરબહારમાં ખીલ્યો.સ્વરાજ આશ્રમ પર વધુ ખર્ચનો ભાર ન પડે તે વાતની સરદાર પટેલ ખાસ કાળજી લેતા હતા. આ અંગે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, “બારડોલી સત્યાગ્રહ થયો ત્યારથી સ્વરાજ આશ્રમ બારડોલી એ સરદાર પટેલના નિવાસનું મુખ્યમથક બન્યું. તેમણે બનાવેલ સરદાર નિવાસની જાળવણી માટે તે વખતે સાથ હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી હતી. જેથી તેમના નિવાસની જાળવણીનો ભાર આશ્રમ પર ન પડે.”

સરદાર પટેલ બારડોલી છેલ્લે આવ્યા ત્યારે આશ્રમને વધુ જમીનની જરૂર પડશે તેવું લાગતાં તેમણે વધુ 12 એકર જમીન ખરીદી કરી આશ્રમને 24 એકરમાં વિકસાવ્યો હતો. આ ઐતિહાસિક સ્થળને વિકાસવવા માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સરકારે કુલ 18.60 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં આશ્રમમાં વિવિધ પ્રકલ્પો ઊભા કરવાની સાથે નવીનીકરણનું કામ શરૂ કરાયું છે. આ અંગે સ્વરાજ આશ્રમના પ્રમુખ ભિખાભાઈ પટેલે જણાવ્યુ હતું કે, “સ્વરાજ આશ્રમની સ્થાપના વર્ષ 1922માં થઈ અને આ આશ્રમ સરદાર પટેલ દ્વારા સ્થાપવામાં આવેલો એક માત્ર આશ્રમ છે.
તેમનું નિવાસસ્થાન પણ આજે સચવાયેલું છે. હાલ આશ્રમમાં સરકારના સહયોગથી નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં ઓડિટોરિયમ, સરદાર પટેલ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ ભવનો અને ઝંડા ચોક સહિતની કામગીરી હવે અંતિમ ચરણમાં છે. ત્રણથી ચાર મહિનામાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ બીજા અને ત્રીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે, “આશ્રમના વિકાસ થવાથી અનેક લોકો અહી આવતા થશે. સરદાર પટેલની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. જેનાથી આવનારી પેઢી સરદાર પટેલના કામોથી વાકેફ થઈ શકે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ હેરિટેજ સર્કિટની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, અમદાવાદ, બારડોલી અને દાંડીને હેરિટેજ સર્કિટ સાથે જોડવામાં આવી હતી. અને તેને અનુલક્ષીને હાલ બારડોલીમાં સ્વરાજ આશ્રમના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.

