- National
- બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં બનેલો એક પુલ. તેની આસપાસ ન તો કોઈ મોટો રસ્તો છે કે ન તો કોઈ નદી. ખેતરની એકદમ વચ્ચે જ એન્જિનિયરે આ પુલ બનાવી દીધો. ન તો અહીંથી કોઈએ પસાર થવાનું છે, ન તો આગળ કોઈ એવો રસ્તો બનવાનો છે. આમ છતાં પણ, ફક્ત સરકારી ભંડોળની ઉચાપત કરવા માટે અધિકારીઓની મિલીભગતથી મનરેગા યોજના હેઠળ આ કૌભાંડ કરવામાં આવ્યું હતું, અને લોકોના પૈસાનો બગાડ કરવામાં આવ્યો હતો.
આ મામલો પૂર્વ ચંપારણનો છે, જ્યાં મનરેગા યોજના હેઠળના એક બાંધકામ પ્રોજેક્ટે વહીવટી તંત્ર પર સવાલો ઉભા કર્યા છે. કેસરિયા બ્લોકની ઢેકહા પંચાયતમાં, ખેતર અને કાદવથી ભરેલા માર્ગ વચ્ચે એક પુલ બનાવવામાં આવ્યો હતો, જ્યાં નથી કોઈ રસ્તો કે નથી કોઈ આવવા જવા માટેનો સીધો માર્ગ. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલના ફોટા અને વીડિયો સામે આવ્યા પછી, આ મામલો ચર્ચાનો વિષય બન્યો.
સ્થાનિક લોકોનો આરોપ છે કે, મનરેગા યોજનાનો ઉપયોગ વિકાસના હેતુઓ માટે નહીં પણ સરકારી ભંડોળનો દુરુપયોગ કરવા માટે થઈ રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, ગંડક નદીના પટ્ટા અને કાદવથી ભરેલા માર્ગ પર 4 પુલ બનાવવામાં આવ્યા છે, જોકે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો જ નથી. પરિણામે, આ પુલનો ઉપયોગ કોણ કરશે તે સમજવું મુશ્કેલ છે. અહેવાલો અનુસાર, દરેક પુલના નિર્માણ પર આશરે સાડા ચાર લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આનો અર્થ એ થાય કે સરકારી ભંડોળમાંથી 4 પુલ પર લાખો રૂપિયા ખર્ચવામાં આવેલા. જો કે, જ્યાં તે બનાવવામાં આવ્યા હતા ત્યાં ન તો લોકોની કોઈ નિયમિત અવાર જવર છે અને ન તો કોઈ સારી સડક.
પુલ બાંધકામમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ભૂમિકા પર હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સામાન્ય જનતામાં એવી ચર્ચા થઇ રહી છે કે, મનરેગા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ કેટલાક વિસ્તારોમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ માટે 'કમાણીનું સાધન' બની ગયું છે. જ્યાં જરૂર નથી ત્યાં બાંધકામ કાર્ય કરીને સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, કેસરિયા બ્લોકના મનરેગા પ્રોગ્રામ ઓફિસર (PO) આશુતોષ કુમારે બાંધકામ કાર્યનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ પુલની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે દરેક પુલનો ખર્ચ આશરે 4.5 લાખ રૂપિયા થયો હતો.

