- Sports
- BCCIમાં મોટી બબાલ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પત્તું કપાઈ શકે છે, કારણ છે રોહિત શર્મા
BCCIમાં મોટી બબાલ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પત્તું કપાઈ શકે છે, કારણ છે રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટથી ગાલે ખાતે શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. પરંતુ મેદાન પર એક્શન શરૂ થાય તે પહેલાં જ મેદાનની બહાર ક્રિકેટ બોર્ડમાં મોટો ડ્રામા સર્જાયો છે. પ્રાપ્ત રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરની ખુરશી જોખમમાં છે અને તેમની જગ્યાએ 'વેરી વેરી સ્પેશિયલ' એટલે કે વીવીએસ લક્ષ્મણને આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન રોહિત શર્મા છે. રોહિત 2027નો વન-ડે (ODI) વર્લ્ડ કપ રમશે કે નહીં, તે મુદ્દે સિલેક્ટર્સ અને BCCIના ટોચના અધિકારીઓ સામસામે આવી ગયા છે.
રિપોર્ટ મુજબ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ નથી ઈચ્છતા કે રોહિત 2027ના ODI વર્લ્ડ કપના ફ્યુચર પ્લાનનો હિસ્સો હોય. પરંતુ BCCI આલાકમાનનું માનવું આનાથી સાવ અલગ છે. આ વિવાદની શરૂઆત ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થઈ હતી. 16 જુલાઈના રોજ કાર્ડિફ ખાતે રમાયેલી બીજી વન-ડેમાં રોહિત આઉટ થતાં જ રિપોર્ટ્સ વહેતા થયા હતા કે રોહિત લોર્ડ્સ ખાતે પોતાની કારકિર્દીની છેલ્લી વન-ડે રમી શકે છે.
સિલેક્ટર્સે આ અંગે રોહિત શર્મા સાથે વાતચીત કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ભવિષ્યની યોજનાઓનો ભાગ નથી. એક સિલેક્ટરે BCCIના ઉચ્ચ અધિકારીઓને પણ વિશ્વાસમાં લીધા હતા. પરંતુ આ સમાચાર મીડિયામાં લીક થઈ જતા સમગ્ર મામલો બિચકાયો હતો અને સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ હતી. પરિસ્થિતિ વણસતાં BCCI સચિવે સામે આવવું પડ્યું હતું.

રિપોર્ટ મુજબ ડૅમેજ કંટ્રોલ માટે BCCI સેક્રેટરીએ 17 જુલાઈના રોજ સિલેક્ટર્સ સાથે ચર્ચા કર્યા વગર જ નિવેદન આપી દીધું હતું કે રોહિત જ્યાં સુધી ટીમ પ્લાનિંગનો ભાગ છે ત્યાં સુધી રમતો રહેશે. રોહિતની સદીએ સિલેક્ટર્સની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો. 19 જુલાઈના રોજ તે લોર્ડ્સના મેદાન પર ODI સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો. ભારત મેચ હારી ગયું, પરંતુ રોહિતના સ્થાન પર ઉઠી રહેલા સવાલોનો ત્યાં જ અંત આવી ગયો.
સિલેક્ટર્સનું માનવું છે કે રોહિતની હાજરીમાં ટીમ ઈન્ડિયા 2027નો વર્લ્ડ કપ જીતી શકે તેમ નથી, તેથી તેમણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો. પરંતુ BCCIના અધિકારીઓ સોશિયલ મીડિયાના દબાણમાં આવીને વ્યૂહરચના બદલી રહ્યા છે.
બીજી તરફ ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ જૂન 2026માં જ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ BCCI દ્વારા તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અગાઉ તેમનો કાર્યકાળ જૂન 2027 સુધી લંબાવવાની ચર્ચા હતી, પરંતુ હવે સમીકરણો બદલાઈ ગયા છે.
રિપોર્ટ્સ મુજબ BCCIના કેટલાક અધિકારીઓ બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ના હેડ વીવીએસ લક્ષ્મણને ચીફ સિલેક્ટર બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. બોર્ડનું માનવું છે કે લક્ષ્મણની વાતોને ટીમમાં વધુ મહત્ત્વ મળશે અને રોહિત તથા વિરાટ જેવા સિનિયર ખેલાડીઓ પણ તેમની વાત સરળતાથી માનશે. આ અંગેનો આખરી નિર્ણય સપ્ટેમ્બરમાં યોજાનારી BCCIની એન્યુઅલ જનરલ મીટિંગમાં લેવામાં આવશે.
જુલાઈ 2023માં ચીફ સિલેક્ટર બનેલા અગરકર માટે દરવાજા સંપૂર્ણપણે બંધ નથી થયા. તેમની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટાઈટલ જીત્યા છે. રિપોર્ટ મુજબ અગરકરનું ભવિષ્ય હવે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પર ટકેલું છે. જો ટીમ ઈન્ડિયા આ સીરિઝ જીતશે તો અગરકરનો કાર્યકાળ લંબાવાઈ શકે છે. અગરકર પોતે 2027 વર્લ્ડ કપ સુધી આ પદ પર રહેવા માંગે છે, પરંતુ બોર્ડ તરફથી તેમને કોઈ સ્પષ્ટ આશ્વાસન મળ્યું નથી.

ટીમ ઈન્ડિયા માટે તાજેતરનો પ્રવાસ સારો રહ્યો નથી. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટીમ 10માંથી 8 મેચ હારી ગઈ હતી. આ અંગે પ્રવાસ પૂરો થતાં જ BCCIની એક રિવ્યૂ મીટિંગ યોજાવાની હતી, પરંતુ સચિવની તબિયત લથડતાં આ બેઠક મુલતવી રખાઈ હતી. હવે શ્રીલંકા સીરિઝ દરમિયાન જ આ રિવ્યૂ મીટિંગ યોજાઈ શકે છે, જેમાં હેડ કોચ ગૌતમ ગંભીર ઓનલાઈન જોડાશે.
ભારતીય ક્રિકેટ માટે ઓગસ્ટ મહિનો ભારે ધમાકેદાર રહેવાનો છે. એક તરફ ચીફ સિલેક્ટર અજિત અગરકરની ખુરશી દાવ પર છે, તો બીજી તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની દ્રષ્ટિએ પણ શ્રીલંકા સીરિઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

