- Sports
- આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી
આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી
દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પોતાના ઘર આંગણે પહેલી વખત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝ ગુમાવી છે. કિવી ટીમ 1989થી ભારતનો પ્રવાસ કરી રહી છે, પરંતુ સીરિઝ જીતવા માટે 2026 સુધી રાહ જોવી પડી હતી. ન્યૂઝીલેન્ડે સતત 2 વન-ડે જીતીને ભારત સામે 3 મેચની સીરિઝ જીતી લીધી છે. તેની સાથે જ 2019થી ઘર આંગણે સતત વન-ડે સીરિઝ જીતવાનો ભારતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો. સીરિઝમાં હાર બાદ, ભારતીય ટીમની ભારે ટીકા થઈ રહી છે. ચાલો આગળ જાણીએ ભારતીય ટીમે કયા 5 કારણે વન-ડે સીરિઝ ગુમાવી દીધી.
ભારતીય ટીમ હંમેશાં ઘરઆંગણે મજબૂત રહી છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં તેના બોલરો નબળી કડી સાબિત થયા. ઇન્દોર વન-ડેમાં ભારતીય બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડના બોલરો આખી સીરિઝમાં હાવી રહ્યા. ડેબ્યૂટન્ટ ક્રિશ્ચિયન ક્લાર્ક 3 મેચમાં 7 વિકેટ લઈને ટોપ પર રહ્યો, જ્યારે કાયલ જેમિસન 6 વિકેટ સાથે બીજા સ્થાને રહ્યો. ભારતના હર્ષિત રાણા 6 વિકેટ સાથે ત્રીજા સ્થાને રહ્યો. બેટિંગમાં, ડેરિલ મિશેલે 3 ઇનિંગ્સમાં 352 રન સાથે સીરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલી 240 રન સાથે બીજા સ્થાને રહ્યો.
ત્રીજી વન-ડેમાં રોહિત અને ગિલની બેટ શાંત રહી
રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલની ઓપનિંગ જોડી સારી શરૂઆત ન અપાવી શકી. ભારતીય ટીમ 338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ બંને ઓપનર્સે માત્ર 28 રનની પાર્ટનરશિપ કરીને ભારતની શરૂઆત ખરાબ કરી દીધી. રોહિત શર્મા 13 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, જ્યારે ગિલ 18 બોલમાં 23 રન બનાવીને આઉટ થઇ ગયો. ભારતની વન-ડે સીરિઝની હારમાં ભારતીય ઓપનિંગ જોડીએ મુખ્ય ભૂમિકા ભજવી.
શ્રેયસ ઐયર નિરાશ કર્યા
મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર પર વધારે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, પરંતુ તેણે પણ નિરાશ કર્યા. ટીમને જ્યાઈ તેની જરૂરિયાત હતો ત્યારે શ્રેયસ પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્રીજી વન-ડેમાં શ્રેયસે 10 બોલમાં 3 રન બનાવ્યા. તેનાથી સ્પષ્ટ થાય છે કે શ્રેયસે રન બનાવવા માટે કેટલો સંઘર્ષ કર્યો.
જાડેજા બેટિંગ અને બોલિંગમાં સુપર ફ્લોપ રહ્યો
રવીન્દ્ર જાડેજાની બેટિંગ અને બોલિંગ સમગ્ર સીરિઝ દરમિયાન સારી ન રહી. જાડેજા બેટ અને બોલ બંનેમાં સુપર ફ્લોપ રહ્યો. ઇન્દોર વન-ડેમાં તેણે 16 બોલમાં 11 રન બનાવ્યા, જ્યારે બોલિંગની વાત કરીએ તો તેણે 6 ઓવરમાં 41 રન આપ્યા, પરંતુ કોઈ વિકેટ ન મળી. જાડેજાની બોલિંગ પણ ધીમે-ધીમે ફિક્કી પડી રહી છે.
કુલદીપ યાદવની ફિરકીનો જાદુ ન ચાલ્યો
ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવનો જાદુ આખી સીરિઝમાં ન ચાલ્યો. તે હંમેશાં ઘરઆંગણે અસરકારક રહ્યો છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તેની સ્પિન બિનઅસરકારક સાબિત રહી. ત્રીજી વન-ડેમાં તેણે 6 ઓવરમાં 48 રન આપ્યા અને એક વિકેટ લીધી. તાજેતરના સમયમાં વન-ડે સીરિઝમાં ભારતીય ટીમની આ ત્રીજી હાર છે. આ અગાઉ, ભારતીય ટીમને શ્રીલંકાએ હરાવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ તેને વન-ડે સીરિઝમાં હરાવી હતી.

