- Sports
- શું મોહમ્મદ શમીનું ઈન્ટરનેશનલ કરિયર પતી ગયું?
શું મોહમ્મદ શમીનું ઈન્ટરનેશનલ કરિયર પતી ગયું?
ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે ટકરાવાની છે. આગામી T20 વર્લ્ડ કપ પહેલા કિવી ટીમ ભારતનો પ્રવાસ ખેડશે, જેમાં 3 વનડે અને 5 T20 મેચો રમાશે. T20 સીરિઝ માટે ટીમની જાહેરાત અગાઉ થઈ ચૂકી હતી, પરંતુ શનિવારે (3 જાન્યુઆરી) BCCIની બેઠક બાદ વનડે સીરિઝ માટેના ખેલાડીઓની જાહેરાત કરી દેવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં ઈજાના કારણે બહાર રહેલા શુભમન ગિલ ફરી એકવાર કેપ્ટન તરીકે પરત ફર્યો છે. તેની ગેરહાજરીમાં કેએલ રાહુલે જવાબદારી સંભાળી હતી. આ સીરિઝમાં શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજની પણ વાપસી થઈ છે. જોકે, શાનદાર ફોર્મમાં હોવા છતાં મોહમ્મદ શમીને ફરી એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. વારંવારની અવગણનાથી શમીની પણ ધીરજ ખૂટી રહી છે. એક્સપર્ટ્સ તો એવું કહે છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવી શમી માટે મુશ્કેલ થઈ જશે. કારણ કે તેની જગ્યાએ અનેક ઓપ્શન હાલમાં છે.

વિકેટકીપર તરીકે ઋષભ પંત પર પસંદગીકારોએ ફરી વિશ્વાસ મૂક્યો છે. વિજય હજારે ટ્રોફીમાં ખરાબ ફોર્મ છતાં તેને બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનાર ઈશાન કિશનને T20 ટીમમાં તો સ્થાન મળ્યું છે, પણ વનડે માટે હજુ પ્રતિક્ષા કરવી પડશે.
શ્રેયસ અય્યર ઉપકેપ્ટન તરીકે પરત ફર્યો છે, પરંતુ BCCIએ શરત મૂકી છે કે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ તે મેદાનમાં ઉતરી શકશે. મોહમ્મદ શમીની વાત કરીએ તો, ઘરેલું ક્રિકેટમાં સારા પ્રદર્શન છતાં પસંદગીકારોએ તેને ટીમમાં સ્થાન આપ્યું નથી. અજીત અગરકરે અગાઉ ફિટનેસનું કારણ આપ્યું હતું, પરંતુ શમીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કરી હોવા છતાં તેની પસંદગી થઈ નથી.
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ વનડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન)*, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જાયસ્વાલ.

